5 - ત્રિપુર માલિની મંદિર જલંધર ત્રિપુર માલિની શક્તિપીઠ પંજાબના જલંદર શહેરમાં આવેલું છે. તે 52 શક્તિપીઠમાં નું એક છે. અગાઉ આપણે આ સિવાયના ચાર શક્તિપીઠ વિશેની માહિતી મેળવી છે. 'સહજ સાહિત્ય પોર્ટલ' ટીમના માધ્યમ દ્વારા આપણે અગાઉના પ્રકરણોમાં ચાર શક્તિપીઠ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આજે આપણે પાંચમાં શક્તિપીઠ એવા શ્રી ત્રિપુર માલીની માતાજી વિશે માહિતી મેળવવાની છે. માતાજી સાથે જોડાયેલી કથા તેનો ઇતિહાસ તેનું પૌરાણિક મહત્વ વગેરે બાબતો વિશે આપણે આજે જાણીશું. માતાજીનું ક્યુ અંગ આ સ્થાન પર છે?પૌરાણિક માન્યતા મુજબ જ્યારે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતાજીના શરીરનું વિભાજન કર્યું ત્યારે માતાજીના શરીરનો જમણો ભાગ આ સ્થાન પર પડ્યો હતો.માતાજીનું આ મંદિર અમૃત સરોવરના કિનારે આવેલું છે. આ મંદિરમાં માતા ત્રિપુર માલીની સિવાય માતા સરસ્વતી, માતા લક્ષ્મી તથા માતા વૈષ્ણવીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે વર્ષો પહેલા મંદિર સાવ નાનું એવું અને ખુલી જગ્યામાં હતું. બાદમાં સ્થાનિક લોકો દ્વારા મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને મંદિરને મોટું કરી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.મંગળવારના દિવસે મોટી સંખ્યામાં લોકો આ સ્થાને આવી અને માતાજીની પૂજા અર્ચના કરે છે. નવરાત્રી દરમિયાન આ મંદિરે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના અને કીર્તન કરે છે. પંજાબ અને જલંધર આવવાવાળા દરેક વ્યક્તિ એકવાર અચૂક માતાજીના આ શક્તિપીઠ ના દર્શન કરે છે એવું માનવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શંકરની એક મૂર્તિ છે. તેને ભીષણ ભૈરવ મહાદેવ કહેવામાં આવે છે. આ મંદિરની એક વિશેષતા એ પણ છે કે એપ્રિલ મહિનાના પ્રથમ શુક્રવારે અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.બાબા હેમગીરી નામક સાધુએ આ મંદિરમાં આવેલ એક વૃક્ષની નીચે બેસી વર્ષો સુધી તપ કર્યું હતું અને માતાજીનું ધ્યાન કર્યું હતું. અહીં મંદિરની નજીક એક તળાવ આવેલું છે, એવું માનવામાં આવે છે કે માતાજીની આ મૂર્તિ અહીં આવેલા તળાવમાંથી નીકળી હતી. તેથી તેના સ્થાનિક લોકો આ મંદિરને 'દેવી તાલાબ મંદિર' એ નામથી ઓળખે છે. મંદિરમાં અધિષ્ઠાત્રિ દેવી માતા તારા, માતા કાલી અને માતા સરસ્વતી છે.કેટલાય સાધુઓએ આ સ્થાને પૂજા કરી છે. વશિષ્ઠ, વ્યાસ, મનુ, જમદગ્નિ, પરશુરામ જેવા ઘણા ઋષિઓએ અહીં પૂજા તથા તપ કરેલું છે. એવુ પૌરાણિક તથ્ય છે. ભગવાન શિવ દ્વારા જલંધર નામક રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જ આ સ્થાનનું નામ જલંધર પડ્યું હતું. આ મંદિરની એક ખાસિયત એ પણ છે કે આ મંદિરનું શિખર સુવર્ણ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં જાગરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જેને ત્યાંના સ્થાનિક લોકો 'જગરાતા ' નામથી ઓળખે છે. આ સમયે ભક્તો આખી રાત જાગી અને માતાજીની પૂજા ભક્તિ તથા કીર્તન કરે છે. એવુ માનવામાં આવે છે કે માતા ત્રિપુર માલિની જો કોઈ વ્યક્તિ સાચા હ્રદય અને શ્રદ્ધાથી માતાજીની પૂજા ભક્તિ અને પ્રાર્થના કરે તો માતાજી તેની દરેક મનોકામના ચોક્કસ પૂર્ણ કરે છે. આમ આ પ્રકરણમાં આપણે માતા ત્રિપુર માલીની જે માતાજી માં આદ્યશક્તિનું પાંચમું સ્વરૂપ છે. તેમના વિશે માહિતી મેળવી. ત્યાં યોજાતો મેળો, ત્યાં યોજાતો ઉત્સવ એટલે કે જગરાતા વિશે પણ માહિતી મેળવી હવે પછીના પ્રકરણમાં આપણે છઠ્ઠા શક્તિપીઠ વિશે માહિતી મેળવીશું. વિવિધ માધ્યમો અને સ્ત્રોતના આધારે તેની દંતકથા પૌરાણિક મહત્વ. ત્યાં સુધી વાંચતા રહો અને વધુ લોકો સુધી શેર કરો ...સહજ સાહિત્ય ટીમ વતી ...
સંકલન અને આલેખન - જય પંડ્યા
નોંધ : પ્રસ્તુત માહિતી જે તે સ્ત્રોતમાંથી મેળવી અને અહીં રજૂ કરવામાં આવી છે.