મિત્રો આપણે અગાઉના બે પ્રકરણમાં માતા શક્તિના બે શક્તિપીઠ, બે સ્વરૂપ વિશે માહિતી મેળવી જેમા પ્રથમ 1 હિંગળાજ માતા મંદિર ( પાકિસ્તાન ) અને 2 નૈના દેવી મંદિર ( હિમાચલ પ્રદેશ, ભારત ) હવે પછી આ જ વિષય પર આપણે આજે માતાજીના 52 શક્તિપીઠમાંથી તેમના ત્રીજા સ્વરૂપ એવા સુગંધા દેવી / સુનંદા દેવી વિશે માહિતી મેળવીશું. જેમા તેમની સાથે જોડાયેલી દંતકથા તથા ધાર્મિક માહાત્મ્ય વગેરે બાબતો જાણીશું.
3 સુનંદા / સુગંધા માતા મંદિર બાલસુલ , બાંગ્લાદેશ ક્યાં સ્થિત છે માતાજીનું આ મંદિર આ મંદિર બાંગ્લાદેશના 'બાલીસાર 'થી 21 કિલોમીટરની દુરી પર શિકારપુર નામક ગામ ખાતે સુનંદા નદીના તટ પર સ્થિત છે. આ મંદિર "ઉગ્રતારા મંદિર" તરીકે પણ પ્રચલિત છે. "સુગંધા" શક્તિપીઠ નામ કંઈ રીતે પડ્યું ? એક દંતકથા મુજબ જયારે ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ દ્વારા માતાજીના અંગોનું સુદર્શન ચક્ર દ્વારા વિભાજન કરવમાં આવ્યું ત્યારે માતાજીનું "નાક "આ સ્થાન પર પડ્યું હતું. જેથી સમય જતા આ સ્થળ "સુગંધા માતા શક્તિપીઠ "તરીકે પ્રસિદ્ધ થયું. આ મંદિર સુનંદા નદીના તટ પર સ્થિત હોવાના કારણે આ મંદિરના દેવી 'સુનંદા' અને "ભૈરવ ત્ર્યમ્બક" છે. આ મંદિરની બનાવટ અલૌકિક છે. આ મંદિરની દીવાલ પર ઘણા દેવી દેવતાંની મૂર્તિ કંડારવામાં આવી છે. શિવરાત્રીના દિવસે વિશાળ માનવ મેદની આ મંદિરે ઉમટી પડે છે. નવરાત્રી દરમિયાન મંદિરમા વિશાળ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યાંના સ્થાનિકો દ્વારા એવુ કહેવામાં આવે છે કે માતાજીની મૂળ પ્રાચીન મૂર્તિ ચોરી થઈ ચુકી છે. જેના વિશે હજી સુધી કોઈ જ માહિતી મળી નથી. તેના સ્થાને હવે નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. હાલ માતાજીની કંઈ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે ? પ્રાચીન મૂર્તિ ચોરાઈ ગયા બાદ હવે તેના સ્થાને માતા શ્રી "ઉગ્ર દેવી"ની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. જેને સુગંધા દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. આ મંદિરમાં માતાજી પાસે તલવાર, નિલ્પાન ,નરમુંડોની માળા અહીં સ્થાપિત કરવામાં આવી છે. તથા આ મંદિરમાં જગત પિતા બ્રમ્હાજી, ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ તથા ભગવાન શ્રી શંકર અને વિઘ્નવિનાયક શ્રી ગણપતિ દેવની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. પ્રાચીન માન્યતા મુજબ અહીં સ્થાપિત માતાજીની મૂર્તિ તંત્ર વિદ્યા સાથે સંબંધિત છે. પ્રાચીન કાળમાં બંગાળમાં તંત્ર વિદ્યા, તંત્ર - મંત્ર અને કાળા જાદુનું વ્યાપક પ્રમાણ જોવા મળતું હતું. સુનંદા નદીના તટ પર હોવાના કારણે આ મંદિર સુનંદા દેવી મંદિર તરીકે પણ પ્રચલિત છે. મંદિર સાથે જોડાયેલી પ્રાચીન દંતકથા : એક કિંવદંતી મુજબ શિકારપૂર ગામમાં પંચાનંદ ચક્રવર્તી નામક એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ અહીં નિવાસ કરતો હતો. તે માતા કાળીનો અનન્ય ભક્ત હતો. એક વખત માતાજીએ તેને સ્વપ્નમાં દર્શન આપ્યા. અને કહ્યું કે હું માતા સુગંધા જમીનની અંદર શીલા ( પથ્થર ) સ્વરૂપે છું તું અહીં આવ અને મારી મૂર્તિ મંદિરમા સ્થાપિત કર. પંચાનંદે એમ જ કર્યું તેણે માતાજી દ્વારા જણાવવામાં આવેલ સ્થળ પર જઈ ખોદકામ કર્યું જેથી તેને આ મૂર્તિ જોવા મળી.પછી તેણે વિધિ વિધાન પૂર્વક માતાજીની સ્થાપના મંદિરમાં કરી આસપાસના લોકોને જાણ થતા તેઓ દર્શન કરવા આવવા લાગ્યા. ધીમે ધીમે આ સ્થાન પ્રચલિત થવા લાગ્યું. સુગંધા માતા મંદિર સુધી પહોંચવા માટે ખુલ્લા નામક સ્થળેથી સ્ટીમર દ્વારા બાલીસાર આવી શકાય છે. જ્યાંથી સડક માર્ગ દ્વારા શિકારપુર આવી શકાય છે. શિકારપુરથી આ મંદિર 8 કિલોમીટરની દુરી પર સ્થિત છે. અહીં નિકત્તમ એરપોર્ટ (બાલીસાર એરપોર્ટ ) પણ છે. તેના દ્વારા પણ યાત્રા કરી શકાય છે. આપણે આ પ્રકરણમાં મા શક્તિના ત્રીજા સ્વરૂપ એવા શ્રી 'સુનંદા '/ 'સુગંધા' શક્તિપીઠ વિશે માહિતી મેળવી હવે પછીના પ્રકરણમાં આપણે માતાજીના ચોથા સ્વરૂપ વિશે જાણીશું. અને તેની સાથે જોડાયેલી દંતકથાની માહિતી મેળવીશું.વાંચો અને વધુ લોકો સુધી શેર કરો સંકલન અને આલેખન - જય પંડ્યા