ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 42
શિર્ષક:- બ્રહ્મચર્યની ભીતર
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 42. ."બ્રહ્મચર્યની ભીતર."
હરદ્વાર, હૃષીકેશ અને ત્યાંથી શરૂ થતો હિમાલય બહુ પ્રાચીનકાળથી સાધકો જિજ્ઞાસુઓ અને-તત્ત્વચિંતકોનું આકર્ષણ રહ્યો છે. ભારતના ખૂણેખૂણામાંથી અનેક પ્રકારના તથા જુદી જુદી કક્ષાના લોકો અહીં આવે છે. ગંગાનું સાન્નિધ્ય તથા આધ્યાત્મિક વાતાવરણ એક પ્રકારનું આકર્ષણ કરે છે. જોકે હવે પ્રચુર રૂપથી રજોગુણી વાતાવરણ વધી ગયું છે. છતાં આજે પણ કોઈ વિરલ વિભૂતિ આવાં સ્થળોમાં સાધના કરતી જોઈ શકાય છે.
હું હરદ્વાર રહેતો ત્યારે સૌરાષ્ટ્ર તરફના એક નિવૃત્ત ડૉક્ટર પોતાની મેળે જ દીક્ષા લીધા વિના ભગવાં વસ્ત્રો પહેરીને આવેલા. ગુજરાતી હોવાની-આત્મીયતાથી અમે ઘણી વાર મળતા તથા ઘણી ઘણી વાતો કરતા. તે બ્રાહ્મણ હતા અને વારંવાર કહેતા કે મારે કોઈ શંકરાચાર્ય પાસેથી દીક્ષા લેવી છે.
શંકરાચાર્ય પાસેથી દીક્ષા લેવાનું શું કારણ ? એવા મારા પ્રશ્નના જવાબમાં તેઓ કહેતા કે કોઈ સ્થળે જઈએ તો શંકરાચાર્ય મહારાજના પટ્ટશિષ્ય આવ્યા છે તેવું કહેવાય. આપણું માન થાય. તેમની ગણતરી મારી સમજણથી પર હતી. આજે પણ કેટલાક લોકો પોતાનું નામ એવી રીતે લખે છે કે જાણે પોતે-શંકરાચાર્ય જ હોય ! શિષ્ય શબ્દને અત્યંત નાનો બનાવી શંકરાચાર્ય શબ્દને મોટો બનાવી ભોળા લોકોમાં તે શંકરાચાર્ય હોવાનો ભાસ ઊભો કર પ્રયત્ન કરે છે. આ બધાનું મૂળ લોકૈષણા તો છે જ, પણ સ્વયંની વ્યક્તિહીનતા પણ છે. સિંહનું બાળક બાપના નામે પ્રસિદ્ધ થતું નથી, પોતાના જ નામે પ્રસિદ્ધ થતું હોય છે, પણ જે સિંહ ન હોય અને પ્રસિદ્ધિનો મોહ હોય તેમના માટે તો આવી રીતે કોઈની મહત્તા ( પછી તે પદની મહત્તા જ કેમ ન હોય) માં ગોઠવાઈ જવાના ઉપાય સિવાય બીજો ઉપાય બાકી નથી રહેતો હતો.
આ વૃદ્ધ ડૉક્ટરે મને એક વાર એવી સચોટ સલાહ આપી કે અમુક પ્રકારનું ઑપરેશન કરી નાખવાથી વ્યક્તિ સરળતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. બ્રહ્મચર્યનું પૂરેપૂરું પાલન ન કરી શકવાથી હું અમાપ દુઃખી રહેતો. ગૃહત્યાગ પહેલાં જ મેં કેટલાંક પુસ્તકો વાંચેલાં તેમાં ડૉ. જટાશંકરનું નાન્દીકૃત-બ્રહ્મચર્યમીમાંસા' પણ વાંચેલું. આ પુસ્તકે મારા ઉપર બહુ ભારે પ્રભાવ નાખેલો. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ કેવી કેવી શક્તિઓ મેળવી શકે છે તથા બ્રહ્મચર્યના ભંગથી કેટલી હાનિ થાય છે વગેરે વાંચીને એટલો બધો પ્રભાવિત થયેલો કે મારા ઘરમાં બ્રહ્મચર્યપ્રેરક અનેક સૂત્રો લખી લખીને મેં ચોંટાડેલાં. તે વખતે હું વીસ વર્ષ પૂરાં કરી રહ્યો હતો અને મારા મિત્રો જેવા માણસો આડી લાઇને બજારુ રીતે બ્રહ્મચર્યનું સેવન કરતા. મને પણ ખેંચવા તેમણે પ્રયત્ન કરેલો. પણ આ પુસ્તકે મારું બહુ ભારે રક્ષણ કરેલું.
પ્રથમ હું કાંઈક સમજતો થયો હતો ત્યારે મને એક પત્નીવ્રતના વિચારો આવતા. પણ આ પુસ્તક વાંચ્યા પછી તો માત્ર બ્રહ્મચર્યના જ માર્ગે ચાલવાના વિચારો દૃઢ થતા ગયા. વીર્યનું એક બિંદુ પણ સ્ખલિત ન થાય ત્યારે પૂર્ણ બ્રહ્મચર્ય પાલન કર્યું કહેવાય, એવો દૃઢ ભાવ મારા મનમાં પેલા પુસ્તક દ્વારા તથા અન્ય સાહિત્ય દ્વારા સ્થિર થયેલો. પણ હું તે રીતે સફળ થઈ શકતો નહિ. તેથી અત્યંત દુઃખી થતો. મેં સફળતા મેળવવા આહાર ઉપર કેટલાક પ્રયોગો કર્યાં. માત્ર શાકભાજી તથા ફળો ખાઈને રહેવું, માત્ર મગ જ ખાવા, મગની દાળ અને રોટલી જ ખાવી, મસાલા ન ખાવા, દૂધ ન પીવું, મિષ્ટાન્ન વગેરે પૌષ્ટિક આહાર ન કરવો વગેરે અનેક પ્રકારના પ્રયોગો કરતો રહ્યો. પણ સ્વપ્નદોષ અમુક સમયે થઈ જ જાય. જે રાત્રે-સ્વપ્નદોષ થાય તે પછીના દિવસો અત્યંત ગ્લાનિ અને ક્લેશમાં વીતતા. મારાથી જાણે કોઈ મહાન પાપ થઈ ગયું હોય તેવું મનમાં રહ્યા કરતું. હું ઘણા સાધુસંતોને પણ પૂછતો પણ કોઈ એમ ન કહેતું કે આ કોઈ દોષ નથી, કુદરતી પ્રક્રિયા છે. સૌકોઈ એમ સમજતા કે તારું મનોબળ કાચું છે. તારા વિચારોમાં વાસનાનું પ્રમાણ હશે, વગેરે.
મારું મનોબળ મજબૂત હતું તેવો તો દાવો હું ન કરી શકું, તેમ મને કદી પણ વાસનાના વિચારો ન આવતા તેવું પણ ન કહી શકું. આ બન્નેનું અસ્તિત્વ હતું જ. પણ આજે આટલાં વર્ષોના સ્વ-પરના અનુભવ પછી હું મક્કમતાથી કહી શકું કે બ્રહ્મચર્યની બાબતમાં બ્રહ્મચર્ય પાળનારા જગતમાં બહુ મોટી ભ્રાન્તિ, ગેરસમજ, દંભ, ઢોંગ અને અકુદરતી અભિગમ પ્રવર્તે છે. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાં લખાયેલી ભાવુક વાતો, રંગોળી પૂરેલી વાતો અને ચમત્કારિક વાતોએ મારા જેવા કેટલાય પથિકોને ભ્રાન્તિમાં નાખીને ભટકાવી માર્યા છે. પોતાના સાચા અનુભવો વ્યક્ત કરવાથી પોતાની દુર્બળતા પ્રગટ થશે એવા ભયથી તથા કથિત મોટા પુરુષો સાચી વાત કરી શકતા નથી. અનુયાયી વર્ગ પણ સાચી વાતને સાંભળી શકવાની ક્ષમતા વિનાનો હોય છે. પ્રૌઢ ઉંમરે પણ માહાત્મા ગાંધીએ લખ્યું હતું કે હું સ્વપ્નદોષથી મુક્ત થયો નથી. કોઈ ધર્મગુરુની તાકાત નથી કે સાચી વાતનો સ્વીકાર કરી શકે. તેને તો અસંખ્ય અનુયાયીઓ તથા શિષ્યો આગળ પૂર્ણ બ્રહ્મચારીનો દેખાવ કરવાનો હોય છે. અને અનુયાયીઓ તથા શિષ્યો પોતાના માન્ય ગુરુમાં કિંચિત્ સ્ખલનની પણ કલ્પના કરી શકતા નથી હોતા. એટલે આકાશ કરતાં પણ મોટા દંભનો ઘટાટોપ બ્રહ્મચર્યના નામે ઊભો થાય છે, તેને પોષવા ઢોંગની જરૂર પડે છે. આ રીતે સદ્દગૃહસ્થોના સહજજીવન કરતાં ત્યાગીઓનું જીવન અસહજ તથા અકુદરતી બની જાય છે.
બ્રહ્મચર્યનું પાલન ન કરી શકાયાના દુઃખે હું બહુ દુ:ખી થતો. ગંગાકિનારે કે બજારમાં ફરતો હોઉં અને જ્યારે ગૃહસ્થોના ગુલાબ સમા ખીલેલા ચહેરા જોઉં ત્યારે આ દુઃખ વધી જતું. મને થતું આ લોકો બ્રહ્મચર્યનું પાલન નથી કરતા છતાં આટલા તેજસ્વી-આરોગ્યવાળા તથા પ્રભાવી છે અને અમે તેનું પાલન કરવા આકાશપાતાળ એક કરીએ છીએ છતાં અમારાં ડાચાં ફિક્કા કેમ?
મારા એક મિત્ર સાધુ હતા. તે પણ આવી જ ચિંતા કરતા. તે વિદ્વાન, જ્ઞાની, ત્યાગી અને પૂર્ણ સચ્ચરિત્ર હતા છતાં મારા જેવી જ સ્થિતિવાળા હતા. તે પણ કહેતા હતા “હમારે સે તો યે ભોગીલોગ જ્યાદા તેજસ્વી છે.' સાધુઓમાં પણ જ્યારે કોઈ તેજસ્વી વ્યક્તિ દેખાતી ત્યારે અમને એમ થતું કે આ પૂર્ણ બ્રહ્મચારી થઈ શક્યા છે. પણ ખરેખર જ્યારે તેથી કંઈક જુદું જ જાણવા મળતું ત્યારે પણ દુઃખ થતું હતું. હું સાધુઓના ચહેરા જોયા કરતો, મને સંતોષ ન થતો, કેટલીક પરંપરાઓમાં ઝટકો મારવાની પદ્ધતિ હતી. નવી સાધુ થનારને કેડ સુધીના પાણીમાં લઈ જઈને તેના ગુપ્તાંગોને જોરથી ઝટકો મારવામાં આવતો. આમ કરવાથી તેની નસો ઢીલી થઈ જતી જેથી તે સ્ત્રીસંગની ક્ષમતા ખોઈ બેસતો. આવો માણસ આંતર બ્રહ્મચર્ય પાળી શકે કે નહિ તેની માથાકૂટ કર્યા વિના બાહ્ય બ્રહ્મચર્ય તો પાળી શકે. આજીવન અવિવાહિત રહીને કોઈ ખાસ ધ્યેય કે લક્ષ્યપ્રાપ્તિ માટે સાધના કરનારાઓ માટે બાહ્ય રીતે પણ ઉપયોગી થઈ શકે. જો કે આ પ્રક્રિયાનાં અનેક ભયસ્થાનો છે જ. આવું બળજબરીથી લોભ-લાલચથી પણ કરી-કરાવી શકાય. વધુ ઉત્તમ તો કુદરતી સહજ જીવન એટલે કે ગૃહસ્થાશ્રમ છે. પણ કોઈને તેમાં પડવાની ઇચ્છા ન હોય અને આજીવન કોઈ ખાસ સાધના કરવી હોય તો પ્રત્યક્ષ અને સ્થૂલ વિષયોપભોગથી બચવા માટે આ માર્ગ અપનાવી શકાય છે. એટલું યાદ રહે કે બાહ્ય કરોડો ઉપાયો કર્યા પછી પણ અંતરવાસના સમાપ્ત થતી નથી. ઊલટાનું કેટલીક વાર બાહ્ય અક્ષમતા વાસનાની પ્રદ્દીપક પણ બને છે.
સંયમ તથા બ્રહ્મચર્યનું પ્રાચીન રૂપ જુદું હતું. ચોવીસ વર્ષની ઉંમર સુધી વિદ્યાધ્યનન કરવા સાથે બ્રહ્મચર્યનું પાલન બતાવાયું હતું પણ પછી 'પ્રજાતન્તું મા વ્યવત્છેત્સિ ' – અર્થાત્ ઘેર જઈને ગૃહસ્થાશ્રમી થજે અને પ્રજારૂપી તંતુનો લોભ કરીશ નહિ. પ્રજાતન્તુને ચાલુ રાખજે, એવો ઉપદેશ હતો.
ગૃહસ્થાશ્રમીઓ માટે બ્રહ્મચર્ય નહિ પણ સંયમનો ઉપદેશ હતો. “ભ્રૂણહત્યામવાપ્નોતિ ઋતૌ ભાર્યા પરામુખઃ" (ઋતુકાળવાળી પત્નીથી જે પરામુખ થઈને રહે છે તેને ભ્રૂણહત્યાનું પાપ લાગે છે.)
ગીતાએ ‘ પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ" અને "ધર્માઙવિરુદ્ધોભૂતેષુ કામોઙસ્મિ ભરતર્ષભ' કહીને કામશક્તિને પોતાની વિભૂતિ માની છે. પણ ઉત્તરવર્તી કાળમાં કામવાસનાના મૂળમાં જ પ્રહાર કર્યો છે. તેનું કારણ સંન્યાસધર્મ ગૃહસ્થધર્મ અને રાજ્યધર્મ ઉપર પણ ફરી વળ્યો તે છે. શાસ્ત્રો, શાસ્ત્રોની વ્યાખ્યાઓ તથા સિદ્ધાંતો ઋષિઓથી સંન્યાસી-સાધુઓના હાથમાં આવ્યા અને એમણે સૌના માટે સંન્યાસધર્મને ઉત્તમ માની પ્રસરાવ્યો, જેના પરિણામે સ્ત્રીઓને નરકની ખાણ (દ્વારં કિમેકં નરકસ્ય નારી) કહેવાઈ, અને આજીવન વૈશ્વિક બ્રહ્મચર્યપાલન ઉપર ભાર મુકાયો. અરે કેટલાક લોકોએ તો એક વારના સ્ખલનમાં કેટલાં જંતુઓ મરી જાય તેનો આંકડો શોધી કાઢીને પ્રત્યેક બ્રહ્મચર્યભંગમાં અબજો જંતુઓની હત્યાનું પાપ પણ બતાવાયું. ઊગતા કોમળ માનસ ઉપર આવી વાતોની ખૂબ ઘેરી અસર પડે. મારા ઉપર પણ આવી બધી વાતોની ખૂબ અસર પડેલી.
આજીવન અખંડ બ્રહ્મચર્યની વાત કરનારા સામે કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા થાય છે.
૧. યુરોપીય તથા મુસ્લિમ પ્રજા બ્રહ્મચર્યમાં નથી માનતી. તેમ છતાં તેમની તુલનામાં હિન્દી પ્રજા દુર્બળ, અલ્પજીવી તથા ઇચ્છાહીન કેમ છે ?
૨. મુસ્લિમ શાસકો વગેરે અસંખ્ય પત્નીઓ રાખતા છતાં યુદ્ધમાં સાહસમાં, શૌર્યમાં અને નિર્ણયશક્તિમાં ચડિયાતા કેમ રહ્યા ? આવા અતિભોગી માણસો તો કંગાળ, દુર્બળ, શક્તિહીન, નિર્ણયહીન અને સાહસહીન થવા જોઈએ ને ?
૩. વિશ્વના દીર્ઘાયુષી માણસોનો ઇતિહાસ જોશો તો નવાઈ પામી જશો. એંશી ટકા ઉપરના અબ્રહ્મચારી હતા. બીજી તરફ બ્રહ્મચારીઓમાં ઘણા મહાપુરુષો અત્યન્ત અલ્પ ઉંમરમાં જ ગુજરી ગયા હતા.
જીવનના પ્રશ્નોને પૂર્વગ્રહ કે પૂર્વજન્મનાં કર્મો સાથે સાંકળ્યા વિના વાસ્તવિક ધરાતલ ઉપર સાચું સમાધાન કરવાની ઇચ્છા હોય તેના માટે આ અત્યંત ગંભીર વિચારણીય પ્રશ્ન છે.
આજે પણ વિશ્વના મહાન ગણાતા પહેલવાનો, મુક્કાબાજો, ભારોત્તોલન કરનારાઓ, ધાવકો વગેરે દેહબળની અદ્ભુતતા બતાવનારા અબ્રહ્મચારી જ છે. એકાદ બ્રહ્મચારીએ કોઈ નાનું સરખું કાર્ય કર્યું હોય તેમાં અનુયાયી તથા ચાહકો તરફથી પારાવાર રંગોળી પુરાઈ હોય તેવી ઘટના તો આપણે ખૂબ માનીએ છીએ, પણ બસો વર્ષ રાજ્ય કરનારા અંગ્રેજો, સાતસો વર્ષ રાજ્ય કરનારા મુસ્લિમો બ્રહ્મચર્યનો દાવો કર્યા વિના (ભોગવાદને સ્વીકારીને પણ) અખંડ બ્રહ્મચર્યના દાવેદારો ઉપર પૂર્ણ ગુલામી કેવી રીતે સ્થાપી શક્યા ? સૌએ શાન્તિથી વિચાર કરવાનો છે.
મારા આટલા અનુભવો પરથી હું કહી શકું છું કે અખંડ બ્રહ્મચર્ય અને અતિભોગવાદ એ બન્ને જીવનના છેડા છે. જીવનના તે અતિવાદ છે. જીવનની વાસ્તવિકતા મધ્યમ માર્ગ છે. મધ્યમમાર્ગ એટલે સંયમનો માર્ગ. સંયમનો માર્ગ એટલે યથાયોગ્યતાનો માર્ગ. ભગવદ્ગીતાએ એ જ કહ્યુંઃ
નાત્યશ્રતસ્તુ યોગોસ્તિ, ન ચૈકાન્તમનશ્રતઃ !ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન !!યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટાસ્ય કર્મસુ !યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવિત દુઃખહા !!
પ્રકૃતિનિરૂપિત વ્યવસ્થામાં વ્યક્તિ થોડો ફેરફાર કરી શકે, પણ આમૂલ પરિવર્તન કરી શકે નહિ. કામવાસના પ્રકૃતિપ્રેરિત છે, તેને સંયમનું સ્વરૂપ આપી શકાય. તદ્દન નકારાત્મક સ્વરૂપ આંતરબાહ્ય બન્ને રીતે શક્ય નથી લાગતું. કઠોર નિયમો દ્વારા બાહ્ય સ્વરૂપ તો કદાચ સ્થાપી શકાય પણ આંતર સ્વરૂપને સુદૃઢ કરવું કઠિનતમ કાર્ય છે. સ્પષ્ટ ભોગવાદીઓ કરતાં અખંડ બ્રહ્મચર્યવાદીઓ શારીરિક, માનસિક તથા બૌદ્ધિક રીતે જો સરસાઈ સિદ્ધ ન કરી શકે તો તેમના પક્ષે આત્મશ્લાઘા સિવાય કશું બાકી ન રહે.
‘બ્રહ્મચર્યમીમાંસા' પુસ્તક તથા અન્ય મહાપુરુષોનાં જીવનચરિત્રો વાંચીને મારી ઉ૫૨ જે છાપ પડી હતી તે, જીવન એટલે અખંડ બ્રહ્મચર્ય'. મૃત્યુ એટલે ભોગ. આ ધારણાથી પૂર્વે કહ્યું તેમ હું એમ જ સમજતો કે શુક્રની ઉત્પત્તિ પાછી શરીરમાં જ પ્રસરી જવાથી શરીર અત્યંત તેજસ્વી તથા દિવ્યશક્તિવાળું થઈ શકે છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા મેં વર્ષો સુધી અનેક ઉપાયો કર્યા પણ તેમાં સફ્ળતા ન મળી શકી. ન તો માનસિક વિચારો નેસ્તનાબૂદ થયા કે ન તો અખંડતા પ્રાપ્ત કરી શકાઈ. તેમ છતાં પણ મારી સ્થિતિ બીજા અસંખ્ય લોકો કરતાં ઘણી સારી રહી. હું જ્યાં હતો અને જે હતો તે બરાબર જ હતો. મારું કષ્ટ માત્ર વાસ્તવિકતાથી કલ્પનાપૂર્ણ જગતની અપેક્ષા રાખવાથી હતું. એક ઘડામાં છલોછલ પાણી ભરાયા પછી તે છલકાવાનો જ છે. તે સ્વતઃ પ્રક્રિયા છે. હું ઇચ્છતો હતો કે ઘડો ભરાય પણ કદી પણ છલકાય નહિ.
મારા ઉપાયોથી હું હાર્યો હતો, પણ માન્યતાઓની ભ્રાન્તિ મટી ન હતી. એટલે હજી પણ કોઈ કાંઈ પણ ઉપાય બતાવે તો કરવા લાગી જતો. મારી સાધના ‘અખંડ’ ઉપર હતી.
મને બરાબર યાદ છે, હરદ્વારમાં જ એક મારી જ ઉંમરના સાધુએ કામવાસનાથી ત્રાસીને પોતાના ગુપ્તાંગને કાપીને ફેંકી દીધું હતું. આ માણસ મરતાં મરતાં માંડ બચ્યો હતો. નાની ઉંમર, ઓછું જ્ઞાન અથવા અજ્ઞાન અને ભ્રાન્તિભર્યા સારા અને સાચા માણસને કેટલી મુસીબતમાં મૂકી દેતાં હોય છે. તેનો આ નમૂનો છે. બધાની બધી જ વાતો કાંઈ પ્રગટ થતી નથી હોતી. પણ જો કોઈ ઊંડાણમાં ઊતરીને તલસ્પર્શી અધ્યનન કરે તો ખ્યાલ આવે કે કેટલું ઊલટું થઈ રહ્યું છે. કેટલા નિર્દોષ જીવોને કાલ્પનિક આદર્શોના અંચળા નીચે ભ્રાન્તિની વેદી ઉપર રહેંસી નાખવામાં આવે છે.
કામવાસના એ કુદરતી પ્રચંડ આવેગ છે, તેને સ્થાયી રૂપથી જીતી શકાતી નથી. અલ્પકાલિક છુટકારો એ પણ કુદરતી અવસ્થાને કારણે છે. પણ તેને (વાસનાને) વધારી શકાય છે તેમ ઘટાડી શકાય છે. પણ તેને અમર ભોગવી નથી શકાતી તેમ નિતાન્ત તેના આવેગથી છૂટી પણ નથી શકાતું. પ્રાણીઓમાં બ્રહ્મચર્ય તથા અબ્રહ્મચર્ય બંને સમપ્રમાણ સહજ રીતે જોઈ શકાય છે. કુદરતી પ્રેરણાથી બંને થતાં હોવાથી પ્રાપ્તિ તથા નિષેધ માટે તેમને સાધના નથી કરવી પડતી. આપણે બન્નેને સહજ બનાવી દીધાં છે એટલે પ્રાપ્તિ કરે પણ તરફડિયાં મારવાનાં તથા નિષેધ માટે પણ તરફડિયાં મારવાનાં.
પ્રાચીન વૈદિક પરંપરામાં ગૃહસ્થાશ્રમ એક અનિવાર્ય પ્રક્રિયા હતી. કર્તવ્યનો ભાર ઉપાડીને જીવન જીવવાનું ધ્યેય હતું પછી પાછલી જિંદગીમાં વ્યક્તિ ધારે તો વાનપ્રસ્ય કે સંન્યાસ લઈ શકે. આ પ્રક્રિયાથી ઓછામાં ઓછું કામવાસનાની પ્રબળતા - મહત્તા તથા ગંભીરતાને તો સમજવામાં આવી જ હતી. પણ ઉત્તરકાળમાં નાની અને કુમળી વયે આજીવન નૈષ્ઠિક બ્રહ્મચર્ય પ્રત્યે અતિભાર દેવાયો, તે જીવનની ગંભીર સમસ્યાઓની ઉપેક્ષાનું જ પરિણામ કહેવાય. તેથી ધર્મ કે સંસ્કૃતિને લાભ થવાની જગ્યાએ હાનિ થઈ છે. અપવાદરૂપ કેટલાંક જીવનો આ ક્ષેત્રમાં આપણને સફળ થયાં દેખાતું હોય. જોકે બ્રહ્મચર્યનું ક્ષેત્ર એ વ્યક્તિનું અત્યંત અંતરંગ ક્ષેત્ર છે. તેની સિદ્ધિ અસિદ્ધિને માત્ર તે પોતે જ જાણતો હોય છે. અનુયાયી વર્ગનાં પ્રમાપત્રોની તેમાં કોડીનીયે પણ કિંમત ન હોઈ શકે, તોપણ વિશાળ વર્ગની સ્થિતિને એક વ્યક્તિના ઉદાહરણ દ્વારા નિયોજિત ન કરી શકાય અને ક્ષેત્રોમાં અવાસ્તવવાદી થવાની આપણી રીત ઓછામાં ઓછું આ ક્ષેત્રમાં વાસ્તવાદી થવાની ક્ષમતા આપે તો ઘણાં વૈચારિક અનિષ્ટોથી બચી શકાય.
જે સાધુએ પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હતું તે મૂર્ખો કે ઝનૂની ન હતો. હું તેને ઓળખતો હતો, તે ધીર ગંભીર તથા સજ્જન પ્રકૃતિનો હતો. વાંચેલું, સાંભળેલું અને વારંવાર મહાપુરુષો દ્વારા અનુમોદાયેલું બ્રહ્મચર્ય પાળવા તે સાધુ થયેલો. પોતાના લક્ષ્યને પામવા તેણે વ્રત-નિયમ-જપ-તપ વગેરે બધું જ કરેલ. પણ તેના હાથમાં નિરાશા જ આવેલી. આ ક્ષેત્રમાં નિરાશા મેળવનાર તે એકલો જ ન હતો, બીજા અસંખ્ય લોકો હતા, પણ સૌને નિરાશા કોઠે પડી ગઈ હતી. પછડાટોનાં વાસ્તવિક કારણો શોધવા કરતાં પછડાટોને સ્વીકારી લેવાની વૃત્તિ પણ માણસોમાં હોય છે ને ? લગભગ સૌએ આ ક્ષેત્રમાં મૌન રહેવાનું અને બોલવું પડે તો નિષ્ફળતાને ઢાંકીને સફળતાની ધજા ફરકાવતું બોલવાની પદ્ધતિ સ્વીકારી લીધી હતી એટલે પેલા સાધુએ જે કર્યું તે બીજાને જરૂરી ન લાગ્યું.
વાસનાના ક્ષેત્ર ઉપર ઘૃણા-તિરસ્કાર અને ગંદાપણાના એટલા બધા પડદા આપણે ઢાંકી દીધા છે કે નિખાલસતાથી કોઈ સજ્જન વ્યક્તિ પોતાની કરુણ સ્થિતિ કોઈની પાસે રજૂ પણ ન કરી શકે. તે મનમાં ને મનમાં મૂંઝાયા કરે, પોતાની ખોટી – કાલ્પનિક - ભ્રામક માન્યતાઓમાં ગૂંચવાયા કરે. પેલા સાધુનું પણ તેવું જ થયેલું. તેની કરુણ દશાની વાત તે કોઈને પણ કરી ન શક્યો, કરી શકાય તેવું વાતાવરણ જ ક્યાં હતું ? તેની આજુબાજુ રહેનારા બધા સાધુઓની પણ ઓછાવત્તા અંશે તેવી જ દશા હતી પણ સૌને કોઠે પડી ગયું હતું એટલે નિષ્ફળતામાં પણ સફળતાનો અભિનય કરી શકતા હતા. આ સાધુને આ વાત કોઠે પડી ન હતી. તે સાચો હતો. તેને સાચા થઈને જીવવું હતું, પણ તેનું લક્ષ્ય અકુદરતી પ્રક્રિયાના માર્ગે આગળ વધવાનું હતું. કુદરતને આપણે શત્રુ માનીએ અને અકુદરતને મિત્ર બનાવવા આતુર થઈએ તો શત્રુ બનાવેલી કુદરત આપણને જંપીને બેસવા ન દે. આધ્યાત્મિક સાધના માટે કુદરતી પ્રક્રિયાનો સતત ભારે વિરોધ કરવાની જરૂર નથી. જરૂર છે કુદરતી પ્રક્રિયા સાથે સુમેળ કરવાની. કુદરતી પ્રક્રિયા સાથે સુમળ કરીને ચાલે છે તેને માટે જીવન આપોઆપ સાધના બની જાય છે. જે કુદરતી પ્રક્રિયાથી અત્યંત વિરુદ્ધ ચાલવા માગે છે તેનું ઊંધા રવાડે ચડી જાય છે. આ ઊંધા રવાડે ચડી ગયેલા માણસો જ્યારે હજારો અને લાખોના પ્રેરણામૂર્તિ બને ત્યારે એ હજારો અને લાખો માણસો પણ ઊંધા રવાડે ચડી જતા હોય છે. આ રીતે સમાજ – બરબાદ થતા હોય છે. આપણા પૂર્વગ્રહોને છોડાવે, આપણે સહજ જીવનપ્રક્રિયાને સમજીએ, ઢોંગ, દંભ અને પાખંડના અંચળાને ઓઢીને દિવ્ય પુરુષ થવા કરતાં સહજ જીવન સ્વીકારીને સામાન્ય માનવી માત્ર થઈને જીવીએ તોપણ પરમાત્માની વધુ નજીક જઈ શકીશું. ઘરબારી સંતો અને ઋષિઓ તેનાં પ્રમાણ છે.
આભાર
સ્નેહલ જાની