Mara Anubhavo in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 41

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 41

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 41

શિર્ષક:- સ્વામી સચ્ચિદાનંદ

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 41. "સ્વામી સચ્ચિદાનંદ."




વિભાજિત પંજાબના ઠેઠ છેડે ફીરોજપુર શહેર આવેલું છે. દેશના ટુકડા થયા ત્યારે જે રેખા ખેંચાઈને ફીરોજપુરની સાથે વહેતી સતલજ નદી સાથે સાથે ખેંચાઈ.




ભારતના પશ્ચિમ ભાગમાં જેમ જેમ ઇસ્લામીકરણ થતું ગયું તેમ તેમ તેનું છેદન થતું ગયું. “પંચનદ' એટલે બૃહત્ પંજાબ. જ્યાં ઋષિ-મુનિઓ અને આર્ય પ્રજાનો નિવાસ હતો તે ભાગમાંથી પ્રથમ અફઘાનિસ્તાન, બલુચિસ્તાન તથા સિંધમાં ઇસ્લામનો પ્રભાવ વધ્યો. આ જ ભાગમાં ચંદ્રગુપ્ત તથા અશોકનું સામ્રાજ્ય હતું. બૌદ્ધ ધર્મની શિથિલતા પછી વર્ણ ધર્મનો ઉદય થયો. ઇસ્લામની આંધીને રોકવાની ક્ષમતા તેનામાં પ્રથમથી જ હતી નહિ. એટલે સતત પરાયો, મંદિરોનો ધ્વંસ, પ્રજાઓનું ગુલામીકરણ વગેરે શરૂ થયું.





અસંખ્ય જ્ઞાતિ-જાતિ અને કબીલાઓમાં વહેંચાયેલી વિશાળ પ્રજાને જે ઇસ્લામે સંગઠિત રૂપ આપ્યું તે વર્ણ ધર્મ ન આપી શક્યો. એકમાં સર્વસ્વ પચાવવાની ક્ષમતા હતી તો બીજામાં પચાવવાની ક્ષમતા હતી જ નહિ. યોદ્ધાઓની અત્યંત ન્યૂનતા, શિક્ષણની-એકાધિકારતા, આભડછેટ, શૂદ્રો પ્રત્યે ઘોર અણગમો, યુદ્ધ કરી ફના થઈ જવા માટે પ્રેરકબળનો અભાવઃ આ બધું એક સાથે ભેગું થયું એટલે હિન્દુઓ હારતા રહ્યા. ઇસ્લામનો સપાટો જોતજોતામાં પશ્ચિમ ભારતના આ ભાગો ઉપર ફરી વળ્યો. પ્રથમ અફઘાનિસ્તાન જુદું થયું. પછી પૂરું સિંધ, અડધું પંજાબ વગેરે ભાગો જુદા થયા. આવું જ પૂર્વમાં થયું. ટચૂકડું નાનું નેપાળ આ બધા પ્રભાવોથી પોતાને મુક્ત રાખી શક્યું. જે કામ નેપાળ કરી શક્યું તે કામ ભારત ન કરી શક્યું. સીમા ફીરોજપુરે પૂરી થતી હતી. વીર શહીદ ભગતસિંહની અહીં સમાધિ છે. સીમારેખા ઉપરનું શહેર હોવાથી તથા સુરક્ષા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ ન હોવાથી અહીં સ્થાવર મિલકતો બહુ સસ્તી વેચાતી. શીખો તથા હિન્દુઓ ત્યારે હળીમળીને રહેતા સામેથી આવેલ નિરાશ્રિતો પણ સૌ સાથે હળીમળી ગયા હતા.





પંજાબની નગર બાંધણી તથા મકાનોની બાંધણી મને બહુ ન ગમી ઉઘાડી ગટરો જેમાં કાળુંમેશ પાણી ખદબદતું હોય, એ ગટરને અડીને જ દુકાનો હલવાઈઓ તાવડામાં જલેબી તળતા હોય. પૂરી-છોલે થતાં હોય અને લોકો મોજથી ખાતાં હોય મકાનો મોટે ભાગે પ્લાસ્ટર વિનાનાં, ઊંચાં અને સૌંદર્ય વિનાનાં છેક ઉપરના માળે ઉઠાવવાનું સંડાસ હોય. સંડાસની દીવાલો પણ મોટા ભાગે કેડ સુધીની હોય. ઉપરની છતોમાં તો સાંજે-રાત્રે હવા ખાવા માટે જવાનું હોય. અહીં તો કદાચ બન્ને હેતુઓ માટે આમ કરાયું હશે. આડોશીપાડોશીઓની છતો ઊંચીનીચી હોય તો ઉપરથી ખુલ્લાં સંડાસ મુશ્કેલી ઊભી કરે છે.





મને સૌથી વધુ ગમ્યું તે પંજાબીઓનાં સશક્ત અને રૂપાળાં શરીર સાથે તેમનાં દિલ કદાચ આખા ભારતમાં ખોરાકની પાછળ સૌથી વધુ ખર્ચ પંજાબીઓ કરે છે. લસ્સી-દૂધ-માખણ તેના જીવન સાથે વણાઈ ગયેલી વસ્તુઓ છે. શેરિયા (અડધો લિટર) ગ્લાસથી નાનો ગ્લાસ તો હોય જ નહિ. હું કોઈના ત્યાં જમવા જાઉં તો પૂછે, “શું બીમાર થયા છો? આટલું તો અમારાં છોકરાંયે ખાઈ જાય છે !"





પંજાબમાં સંત-સેવા ઘણી, ગુરુગ્રંથસાહેબમાં સંતોનો મહિમા ખૂબ ગાયો હોવાથી તથા પંજાબમાં ઉત્તમ કોટિના ઘણા સંતો થયા હોવાથી હિન્દુ તથા શીખ બન્ને કોમો સંતો પ્રત્યે ખૂબ આદરમાન રાખે. દિલની દિલારી તથા શ્રદ્ધા બંનેનો યોગ પંજાબીમાં જોવા મળે.





મારા ગુરુજીની કુટિયા, લાલકુટિયા નામે ઓળખાતી. તેનો રંગ ગેરુરંગનો હોવાથી તેને લાલકુટિયા કહેતા હશે. વિરક્ત કુટિયા પણ કહેવાતી. મારા ગુરુજી વિરક્ત હોવાથી તથા તેમના પૂર્વના મહાપુરુષો પણ વિરક્ત હોવાથી કુટિયા નામ પડતું હશે. ફીરોજપુર શહેરની એક ભાગોળે મખૂગેટ, તેનાથી આગળ ખાલસા કૉલેજ અને તેનાથી આગળ દૂર ખેતરોમાં પોણા વીઘા જમીનમાં લાલકુટિયા. પાંચ-છ રૂમો. ત્રણેક મહાપુરુષોની સમાધિરૂપ શિવાલયો. એક કૂવો અને પાણીનો પંપ. સુંદર ફૂલોથી મઘમઘતો બગીચો. ફરતે વરંડો. આટલા ભાગમાં સ્રીઓને પ્રવેશવાની સખત મનાઈ.





મારા ગુરુજી લક્ષ્મીને અડે નહિ. રોજ સવારે દસ-અગિયાર વાગ્યે દૂર નગરમાં ભિક્ષા માટે જાય. સાત દિવસના સાત મહોલ્લા. લોકો પોતાની જ થાળીમાં બે રોટલી અને શાક આપે તે બારણે ઊભા ઊભા જ જમી લે. આવી રીતે બેચાર જગ્યાએ ઊભાં ઊભાં જમીને હાથ ધોઈને બારએક વાગે કુટિયા પાછા આવે. શહેરમાં તેમનું માન ઘણું. લોકો તેમનાથી ડરે પણ ખરા. સાંજે જમે નહિ, હોય તો દૂધ પીએ. વૈદક સારું જાણે. પોતાની મેળે દવાઓ બનાવે તથા લોકોને મફત આપે. કુટિયાનો વહીવટ એક વાણિયો કરે. ફૂલોમાંથી છસો-સાતસો રૂપિયા જેવી આવક થાય. થોડું બળતણમાં વપરાય. બીજું દવામાં વપરાય અને કાંઈક વધે તો દાદાગુરુના ભંડારમાં વાપરે.





સવારે શહેરમાંથી પાંચ-દસ માણસો નહાવા-ધોવા તથા પાઠ-પૂજા કરવા આવે; બાકી ખાસ લોક આવે નહિ. ગુરુજી પોતે લોકોને ભેગા કરવાનું પસંદ ન કરે. ઘણી વાર જાતે ખેતીના કામમાં લાગી જાય. સ્વભાવ થોડો ઉગ્ર ખરો એટલે લોકો ડરે પણ ખરા.





હું ભણતો ભણતો આવેલો એટલે મારાથી વધુ દિવસ રોકાઈ શકાય તેમ હતું નહિ. ગુરુજીએ જ્યારે મને લખેલું કે હું કોઈને દીક્ષા આપતો નથી ત્યારે મેં લખ્યું કે આપની પાસેથી દીક્ષા લઈ જ લીધી છે. તમે નહિ આપો તોપણ હું મારી મેળે શિખા-સૂત્રને ગંગાજીમાં ત્યાગીને આપના નામનો સંન્યાસ લઈ લઈશ. મારી આ દૃઢતાથી સૌ પ્રભાવિત થયેલા. એક દિવસ મારી શિખાનો ઉચ્છેદ, સૂત્ર (જનોઈનો) ત્યાગ કરાયો. ખાસ કંઈ વિધિ થઈ નહિ. મારું નામ સત્યાનંદમાંથી સચ્ચિદાનંદ રખાયું. થોડા દિવસ રહીને હું પાછો હરિદ્વાર આવ્યો તથા ભણવામાં તત્પર થયો. હવે મને શાંતિ થઈ હતી. મારા માપદંડ પ્રમાણેના સદ્ગુરુ મને મળ્યા હતા. મારી સાથેના કેટલાક દીક્ષાર્થીઓસંપત્તિવાળા મહંતોને શોધતા હતા, ત્યારે મેં એક તદ્દન અકિંચન સાધુ પાસેથી દીક્ષા લીધી તેની કેટલાકને નવાઈ લાગી હતી.





મારે જેટલું જરૂરી હતું તેટલું સંસ્કૃત આ વર્ષે ભણી  લેવાનો હતો. મારે પંડિત તો થવું ન હતું. માત્ર ગીતાના શ્લોકોનો અર્થ કરી શકાય તેટલી શક્તિ આવે એટલે બસ. પણ દીક્ષા આપતી વખતે પૂજ્ય ગુરુજીએ મારી પાસે માગ્યું, ’હું કહું ત્યાં સુધી ભણ્યા કર.’ તે મને વિદ્વાન કરવા માગતા હતા. કથાવાર્તા તથા કથાકારો પ્રત્યે તેમને ઘોર અણગમો હતો. કારણ કે બોલવું કાંઈ અને ચાલવું કાંઈ એવી મુખ્યતઃ તેમની સ્થિતિ હોય છે, તેવું અંગત અનુભવથી જાણતા હતા. તેમની રુચિ તથા આત્મનિષ્ઠા શાસ્ત્રીય ગ્રંથોમાં હતી. તે વખતે મારામાં પણ સમાજલક્ષી વિકાસ થયો ન હતો. એટલે એવી બાબતો પ્રત્યે હું પણ અભાન જ હતો.




આભાર

સ્નેહલ જાની