ધૈર્ય
शनैः पन्थाः शनैः कन्था शनैः पर्वतलंघनम ।
शनैर्विद्या शनैर्वित्तं पञ्चतानि शनैः शनैः ॥:
ધીમે ધીમે (અથવા ધીરજ સાથે) માર્ગ પસાર કરવો જોઈએ, ધીમે ધીમે ચાદર સીવવી જોઈએ અને ધીમે ધીમે જ પર્વત પર ચઢવું જોઈએ. જ્ઞાન અને ધન પણ ધીરજથી જ પ્રાપ્ત થાય છે.
આજે પ્રોફેસર વૉલ્ટર મિશેલ ની એક વાત લઈને આવ્યો છુ.
પ્રોફેસર વૉલ્ટર મિશેલ (1930-2018) એક ઓસ્ટ્રિયન-અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા, જેમણે 1960-70ના દાયકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં "માર્શમેલો પ્રયોગ" દ્વારા ધીરજ અને વિલંબિત સંતોષનું મહત્ત્વ દર્શાવ્યું. તેમની "માર્શમેલો થિયરી" સૂચવે છે કે ધીરજ ધરાવનાર વ્યક્તિઓ જીવનમાં વધુ સફળ થાય છે. આ સંશોધનથી તેમને વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ મળી.
જ્યારે તેઓ માત્ર 8 વર્ષના હતા. 1938માં, જ્યારે નાઝીઓએ ઓસ્ટ્રિયા પર કબજો કર્યો, ત્યારે મિશેલના યહૂદી પરિવારને જીવનું જોખમ હતું. આ કપરા સમયમાં, તેમના પરિવારે નાઝીઓથી બચવા માટે તેમના યહૂદી ઓળખના તમામ દસ્તાવેજો નષ્ટ કરી દીધા. એક દિવસ, નાના વૉલ્ટરે ઘરમાં એક દસ્તાવેજ શોધી કાઢ્યો, જેમાં જણાયું કે તેમના માતાના દાદા અમેરિકન નાગરિક હતા. આ દસ્તાવેજ તેમના પરિવાર માટે જીવનદાન સમાન હતો, કારણ કે તેના આધારે તેઓ અમેરિકન દૂતાવાસમાંથી પાસપોર્ટ મેળવી શક્યા અને 1940માં બ્રુકલિન, ન્યૂયોર્કમાં સ્થાયી થયા.
પ્રોફેસર વૉલ્ટર એ વર્ગના બધા બાળકોને એક-એક સુંદર ટૉફી આપી અને પછી કહ્યું, "બાળકો! તમારે બધાએ દસ મિનિટ સુધી તમારી ટૉફી નથી ખાવી." આમ કહીને તેઓ વર્ગખંડની બહાર ચાલ્યા ગયા.
થોડીક ક્ષણો માટે વર્ગમાં સન્નાટો છવાઈ ગયો. દરેક બાળક પોતાની સામે પડેલી ટૉફીને જોઈ રહ્યું હતું, અને દરેક પસાર થતી ક્ષણ સાથે તેમને પોતાને રોકવું વધુ મુશ્કેલ થઈ રહ્યું હતું.
દસ મિનિટ પૂરા થયા અને પ્રોફેસર વૉલ્ટર વર્ગખંડમાં પાછા આવ્યા. તેમણે સમીક્ષા કરી. આખા વર્ગમાં સાત બાળકો એવા હતા જેમની ટૉફીઓ જેમની તેમ હતી, જ્યારે બાકીના બધા બાળકો ટૉફી ખાઈને તેના રંગ અને સ્વાદ વિશે ટિપ્પણીઓ કરી રહ્યા હતા.
પ્રોફેસર વૉલ્ટર એ ચૂપકેથી આ સાત બાળકોના નામ પોતાની ડાયરીમાં નોંધી લીધા અને નોંધ લીધા પછી શિક્ષણ શરૂ કર્યું.
થોડાં વર્ષો પછી, પ્રોફેસર વૉલ્ટરે તે જ ડાયરી ખોલી અને સાત બાળકોના નામ શોધીને તેમના વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું.
ઘણી મહેનત પછી, તેમને જાણવા મળ્યું કે આ સાતેય બાળકોએ પોતાના જીવનમાં અનેક સફળતાઓ હાંસલ કરી હતી અને પોતપોતાના ક્ષેત્રમાં સૌથી સફળ સાબિત થયા હતા.
પ્રોફેસર વૉલ્ટરે પોતાના વર્ગના બાકીના વિદ્યાર્થીઓની પણ સમીક્ષા કરી અને જાણ્યું કે તેમાંથી મોટાભાગના એક સામાન્ય જીવન જીવી રહ્યા હતા, જ્યારે કેટલાક એવા પણ હતા જેમને આર્થિક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ બધા પ્રયાસો અને સંશોધનનું પરિણામ પ્રોફેસર વૉલ્ટરે એક વાક્યમાં વ્યક્ત કર્યું: "જે વ્યક્તિ દસ મિનિટ સુધી ધીરજ નથી રાખી શકતો, તે કદાચ પોતાના જીવનમાં ક્યારેય આગળ નથી વધી શકતો."
આ સંશોધનને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી અને તેનું નામ "માર્શમેલો થિયરી" પાડવામાં આવ્યું, કારણ કે પ્રોફેસર વૉલ્ટરે બાળકોને જે ટૉફી આપી હતી તેનું નામ "માર્શમેલો" હતું, જે ફોમની જેમ નરમ હતી.
આ થિયરી અનુસાર, વિશ્વના સૌથી સફળ લોકોમાં અનેક ગુણો સાથે એક ગુણ 'ધીરજ' જોવા મળે છે, કારણ કે આ ખૂબી મનુષ્યની સહનશીલતાની શક્તિને વધારે છે, જેના લીધે વ્યક્તિ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિરાશ નથી થતો અને એક અસાધારણ વ્યક્તિત્વ બની જાય છે.
આમ, ધીરજ એ મુશ્કેલ પરિસ્થિતિઓમાં વ્યક્તિની સહનશીલતાની સ્થિતિ છે, જે તેના વ્યવહારને ક્રોધ કે ચીડ જેવી નકારાત્મક વૃત્તિઓથી બચાવે છે. લાંબા ગાળાની સમસ્યાઓથી ઘેરાયેલા હોવાને કારણે વ્યક્તિ જે દબાણ કે તણાવ અનુભવે છે, તેને સહન કરવાની ક્ષમતા પણ ધીરજનું એક ઉદાહરણ છે. વાસ્તવમાં, ધીરજ એ નકારાત્મકતા પહેલાં સહનશીલતાનું એક સ્તર છે. આ વ્યક્તિની ચારિત્રિક દૃઢતાનો પરિચય પણ આપે છે.
तेजः क्षमा धृतिः शौचमद्रोहो नातिमानिता।
भवन्ति सम्पदं दैवीमभिजातस्य भारत॥ श्रीमद भगवद गीता
આ શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે ધીરજ અને શુદ્ધતા જેવા ગુણો મનુષ્યને દૈવી સંપદાઓથી સમૃદ્ધ બનાવે છે. અહીં ધીરજનો અર્થ 'ધૃતિ' એટલે વિપરીત પરિસ્થિતિઓમાં મનની સ્થિરતા જાળવી રાખવી. ધીરજવાન વ્યક્તિ અત્યંત કઠિન કાર્યોમાં પણ હાર નથી માનતો અને સંઘર્ષ ચાલુ રાખે છે. ક્ષમા, શૌચ (શુદ્ધતા) અને અદ્રોહ (વૈરભાવ ન રાખવો) જેવા ગુણો પણ વ્યક્તિને સામાજિક અને આધ્યાત્મિક રીતે ઉન્નત બનાવે છે. જે વ્યક્તિ ધીરજ, ક્ષમા અને શુદ્ધતાને પોતાના જીવનમાં અપનાવે છે, તે માત્ર આત્મસંતોષ જ નથી પ્રાપ્ત કરતો, પરંતુ સમાજમાં પણ સન્માનિત થાય છે.
આપણા મનીષીઓએ પણ આથી જ કહ્યું છે:
*न धैर्येण विना लक्ष्मी: न शौर्येण विना जयः।*
*न ज्ञानेन विना मोक्षो न दानेन विना यशः॥*
*धैर्य धरें हम, सम्पत्ति पाएँ,*
*शौर्य भरें, विजयी हो जाएँ,*
*ज्ञान प्राप्ति से मोह क्षरण हो,*
*दान करें यशवान कहाएँ।*
ધીરજ વિના ધન, શૌર્ય વિના વિજય, જ્ઞાન વિના મોક્ષ અને દાન વિના યશ પ્રાપ્ત નથી થતું.
धैर्यं सर्वत्र सर्वदा, सर्वदा धैर्यमेव हि।
धैर्येण हि सुखं सर्वं, नास्ति दुःखं कदाचन॥
ધીરજ દરેક જગ્યાએ અને દરેક સમયે મહત્ત્વપૂર્ણ છે. ધીરજથી જ બધા સુખો પ્રાપ્ત થાય છે, અને ધીરજવાન વ્યક્તિને ક્યારેય દુઃખનો સામનો કરવો પડતો નથી.
धीराः शोकं तरिष्यन्ति लभन्ते सिद्धिमुत्तमं ।
धीरैः संप्राप्यते लक्ष्मी धैर्यं सर्वत्र साधनम् ॥
જે વ્યક્તિઓ ધીરજવાન હોય છે, તેઓ દુઃખની સ્થિતિમાં હોવા છતાં તેમાંથી બહાર નીકળીને સફળતા પ્રાપ્ત કરે છે.
ધીર વ્યક્તિ જ ધન-સંપત્તિ મેળવવામાં સફળ થાય છે.
આથી, ધીરજ એ હંમેશા પોતાના ઉદ્દેશ્યોને હાંસલ કરવાનું એક શ્રેષ્ઠ સાધન છે.