42. અર્થમ્ સાધયામિ દેહમ્ પાતયામિ
1989 કે 90 ની વાત છે. હું મીઠાપુર શાખામાં કાર્યરત હતો. અમારી શાખા ચીફ મેનેજર હેડેડ હતી અને એમની નીચે સિનિયર મેનેજર હતા શ્રી. પંડ્યા. મૂળ ભાવનગરના. ગોરી ત્વચા અને ઊંચા, પહોળા. માથે બધા રૂપેરી વાળ. જો કે ઉંમર 50 થી તો ઓછી હતી.
શાખામાં મુખ્ય તો ટાટા કેમિકલ્સ અને એના કોન્ટેક્ટર્સના એકાઉન્ટ અને બચત ખાતાં મોટે ભાગે ટાટાના કર્મચારીઓ અને એનાં કુટુંબીઓનાં. એ લોકોનો લંચ પડે 1વાગે ત્યારે એક સાથે જે ભીડ થાય! લાઈન બેંકનાં પગથિયાં ઊતરી નજીકના, 100 મીટર દૂર રહેલ ચોક ના ધ્વજના થાંભલા સુધી પહોંચી જાય. પાસબુક ભરવા એક ક્લાર્ક devoted હોય પણ એટલો સમય બીજા બે ક્લાર્ક બેસાડવા પડે.
1992 93 માં કદાચ નવું જ નીકળેલ પાસબુક પ્રિન્ટિંગ મશીન આખા જામનગર રીજીયન માં સહુથી પહેલું એ બ્રાન્ચમાં મૂકવામાં આવેલું.
બધા ગ્રાહકો એ ના એ, કલેરિકલ સ્ટાફ પણ એ નો એ અને બધા બહારના એટલે એક મોટા કુટુંબ જેવો સહુનો વ્યવહાર હતો. કુટુંબમાં ક્યારેક વાસણો ખખડે એમ કાઉન્ટર પર ક્યારેક બે ગ્રાહકો, સ્ટાફ અને ગ્રાહક કે કોઈ કેસમાં બે સ્ટાફ વચ્ચે પણ જામી જાય, સ્ટોર્મ ઈન એ ટી કપ ની જેમ થોડી વારમાં ઠરી પણ જાય.
હવે એ વખતે બ્રાન્ચ માં કેશ સરખી રાખવી પડતી. ટાટા કેમિકલ્સ ને અને ખાસ તો એની ટ્રકો લઈ જતા ટ્રાન્સપોર્ટ વાળાઓને અને કોન્ટેક્ટર્સ ના માણસોને પગાર કરવા ટુંકી નોટિસે સરખા પૈસા જોઈએ અને ક્યારેક બીજી શાખાઓ થી વધુ લિમિટ હોવા છતાં કેશ એટલી વધી પડે કે જામનગર ખાતે આવેલી કરન્સી ચેસ્ટ માં રાતોરાત ટ્રાન્સફર કરવા કોઈ એમ્બેસેડર ટેક્સી કરી કેશિયર અને એક પિયું, મોટે ભાગે એક ગનમેન રાખેલો એ જાય.
ગનમેન સ્ટાફ ચોકીદાર પણ હતો. ગામના મોટા ચોકની એક બાજુ બ્રાન્ચ હોવા છતાં રાતે પણ ચોકીદારની ડ્યુટી રહેતી. એક કદાચ થોડો ઢીલો દેખાતો પિયુન કમ વોચમેન અને એક રાઇફલ ગન ધરાવતો, મૂછાળો, જાડા અવાજ વાળો વોચમેન. નામ અરશી ભરડવા.
એ બહાર બેસી રહી ક્રાઉડ મેનેજ કરે, ક્યારેક આ ટાટા ના લંચ અવર ની ભીડ ઓછી થતાં બીજા પિયુનને બહાર બેસાડી ચા પણ બનાવે. ત્યાં થોડે દૂર રેલવે કેન્ટિન સિવાય ચા ની લારી પણ નહિ. ટાટા નાં આખાં કોમ્પલેક્ષ માં કોઈ પ્રાઇવેટ લારી કે દુકાન ની પરમિશન જ નહિ. એટલે અમારે એ બ્રાન્ચ માં ટી ક્લબ ચાલતી અને એ વખતે પડતી બપોરે 3.30 થી 4 ની રીસેસમાં અમે 11 ઓફિસરો એક સાથે રેલવે સ્ટેશન ક્રોસ કરી બીજી તરફ એક બાવળિયા ના ઝાડ પાસે ચાલતા ગલ્લા પર ચા અને ખારી ખાવા જતા. અમારી એ ક્લબ બાવળિયા ક્લબ કહેવાતી.
હવે આ અરશીભાઈને રાતના ચોકીદારની ડ્યુટી, જામનગર ટેક્સી માં જવાનું ટીએ ડીએ વગેરે નું બિલ મૂક્યું એમાં પંડ્યા સાહેબે કોઈ વાંધો કાઢ્યો કે અમુક ન મળે, જેમ કે રવિવાર કે રજાના દિવસે તે રાતે હાજર ન હોય તો એ. કદાચ જામનગર જઈ આવવાના આઠ થી ઓછા કલાક થાય તો આખા ને બદલે અર્ધા દિવસનું જ આપ્યું કે એવું થયું.
અરશી નારાજ થયો. એ સંજોગોમાં એ રિવાજ હતો તેમ એણે બ્રાન્ચ લેવલના યુનિયન લીડરને કહ્યું, એણે પોતાનો રોગ બતાવવા બધા સ્ટાફ વચ્ચે હાથ પછાડી પંડ્યા સાહેબ સાથે ઘાંટાઘાંટ કરી પણ અંદરથી એ પણ સમજતો હતો કે આ જે માગે છે એ બધું નહિ મળે.
પેલો અરશી તો એક દિવસ ગન બીજાને આપી દઈ બેંકના સાત આઠ પગથિયાં વાળા ઓટલે ઉપવાસ પર બેસી ગયો. કહે જ્યાં સુધી મને આ પૈસા નહિ મળે ત્યાં સુધી હું આમરણાંત ઉપવાસ પર છું અને હું મરી જઈશ તો તે માટે પંડ્યા સાહેબ જવાબદાર રહેશે.
ચીફ મેનેજરે તેને બ્રાન્ચ બંધ થયા પછી ઓટલે ઊભીને સમજાવ્યો કે ઉપવાસ તોડી નાખ, કેટલુંક હું આગળ પાછળ બતાવી માગ્યા ના દસેક ટકા મંજૂર કરી આપીશ. પણ અરશીભાઈ કદાચ કોઈ બહારના સોર્સ ના ચડાવ્યા હશે, ટસ ના મસ ન થયા.
ટાટા ના સિક્યોરિટી ઓફિસર તો પંડ્યા સાહેબને કહે તમે સિગ્નલ આપો એટલે આને ટિંગાટોળી કરી ઉંચકીને બહાર મૂકી આવું અને ઉપરથી આપઘાતની કોશિશ નો ગુનો લગાવી દઉં. પંડ્યા સાહેબ કહે એવું નથી કરવું. એ અણસમજુ છે. એની મેળે કદાચ ઉપવાસ છોડશે. અને તમે કહો છો એવું આકરૂં સ્ટેપ લેવા જતાં યુનિયનો મારી સામે બાખડી પડે તો લેવા ના દેવા થઈ જાય.
કદાચ અરશીભાઈ હતા પણ પાર્ટટાઇમ સ્ટાફ અને હવે તો એમણે ફૂલટાઈમ કર્મચારીના લાભો પણ માગ્યા, બેંક નથી આપતી, કોણ જાણે પંડ્યા સાહેબ ને ખાનગીમાં શું જોઈએ છીએ વગેરે. કોઈની ચડામણી જ. બેંકમાં કોઈને સ્ટાફનું કામ કરવા બદલો કે લાંચ માગતો નથી જોયો. પંડ્યા સાહેબ તો નખશિખ પ્રમાણિક અને ભલે કડક, બધાને મદદ કરવા તત્પર.
વાત વધી પડી. ઉપવાસના ચાર પાંચ દિવસ ગયા. અરશીભાઈની તબિયત હજી તો એવી જ હતી. અવાજ થોડો ધીમો થયેલો.
ટાટા ના સત્તાવાળાઓ વળી વચ્ચે પડયા. કહે કે આને એક વાર ઊભો કરી દઈએ.
કોઈ લોકલ, માત્ર દ્વારકા મીઠાપુર માં જ વંચાતાં એક પાનાનાં અખબારમાં પણ મીઠું મરચું ભભરાવી વાત છપાઈ.
હવે અરશીભાઈ ના પણ હાથમાંથી વાત ગઈ. ઉપવાસ આમરણાંત જાહેર થઈ ગયા. એ વખતે નાના નાના રાજકારણીઓ વાત વાતમાં કરાવતા એમ ‘ આ ઉપવાસ ન્યાય માટે છે, મને ઘોર અન્યાય થયો છે ને મારો દેહ પડે ત્યાં સુધી હું આ ઉપવાસ નહિ છોડું. હવેવ્યો સમાધાન થાય તો પણ મારે નથી કરવું. મારા મૃત્યુ માટે એકલા શ્રી. પંડ્યા જવાબદાર રહેશે અને મારાં કુટુંબના નિભાવની જવાબદારી પણ તેમની રહેશે.” આપી દીધું ગરબડિયા અક્ષરે લખીને નિવેદન, કરી સહી ને મોકલ્યું ઉપર કોઈ કોઈ જગ્યાએ.
ન છૂટકે આ વાતનો રિપોર્ટ પણ થયો જામનગર રીજીયન ઓફિસ.
એરક અઠવાડિયું થયું. હવે અરશીભાઈ નો તબિયત નરમ થતી લાગી. ટાટા ના કોઈ રાત્રિ કર્મચારી દૂરથી એની પર નજર પણ રાખતા હતા.
પંડ્યાજી મૂંઝાયા.
એ વખતે ટાટાનો કોઈ ડીબેંચર ઇસ્યુ આવતો હતો એનું પણ તેમને ટેન્શન હતું, અન્ય પણ કામો.
કોઈએ કહ્યું પંડ્યાજી હવે ભગવાનને શરણે ગયા છે.
એકઝેટલી શું થયેલું એની મને ખાસ ખબર નથી પણ રીજીયનના અધિકારીઓ, જિલ્લા કક્ષાના કોઈ યુનિયન લીડર ને બધા ત્યાં બ્રાન્ચના ઓટલે આવીને અરશી સાથે મિટિંગ કરી ગયા.
અરશીભાઈ પાસેથી રાઈફ્લ લઈ લેવાઈ. ઉપવાસ મૂકવા કે નહિ એ માટે એમણે ત્યાં જ એમનાં કોઈ માતાજી નો ફોટો ઘેરથી મગાવી દીવો કરી દાણા નાખી પૂછ્યું ને માતાજીએ ઉપવાસ બંધ કરવા કહ્યું એમ મને કોઈએ કહેલું.
થોડું મેળવી થોડું છોડી આખરે એમને કદાચ પરાણે ટાટા ના માણસોએ એક રાતે ચીફ મેનેજરની હાજરીમાં પારણાં કરાવી લીધાં.
બીજા દિવસથી અરશીભાઈ પોણા અગિયાર વાગે બેંકમાં એમનો ગ્રે યુનિફોર્મ પહેરી મૂછને તાવ દેતા હાજર!
આગલા દિવસે તબિયત ખરાબ કેમ હતી, એક પાનાના છાપાંએ હવે શું લખેલું, બધી hear say વાતો સ્ટાફમાં ફરતી હતી.
અને મૂળ તો યાદ છે પંડ્યા સાહેબની માનતા - પગે ચાલીને મીઠાપુર થી હરસિદ્ધ માતા ચાલીને જવાની! 110 જેવા કિમી થાય. એમણે એક શનિવારે બેંક બંધ કરી ચાલવું શરૂ કર્યું, દિવસ રાત ચાલી કદાચ સોમવારે મોડી રાતે હરસિદ્ધ માતાના ડુંગરે પહોંચ્યા પણ ખરા! એક જ સીએલ માં એમણે આ અશક્ય લાગતી માનતા પૂરી કરેલી. કેવુંક ટેન્શન હશે એમને?
આજે ઘણા પ્રશ્નો મનમાં ઉઠે છે પણ વાત આમ બનેલી.
***