You hear yourself right?? in Gujarati Philosophy by Mital Patel books and stories PDF | તમે તમારું સાંભળો છો ખરાં??

Featured Books
Categories
Share

તમે તમારું સાંભળો છો ખરાં??

તમે "તમારું" સાંભળો છો ખરાં!!



બાહ્ય ઘોંઘાટની પેલે પાર, મનનાં રઘવાટની આરપાર જઈ, એક મીઠી સરવાણી જેવો સુર રેલાતો હોય છે...!! જ્યાં નીરવ શાંતિ છે!! એ સ્થળ જ્યાં દેખાતું ધૂંધળું સાચું "સ્વ " છે...!! જ્યાં પહોંચ્યા પછી ક્યાંય પહોંચવાનું બાકી રહેતું નથી. એવી અંતરને નિરાંત અને અમીરાત બક્ષતી "સ્વ"વાસ ના આવાસમાંથી સતત આપણી સાથે સંવાદ કરવા મથતો નાદ સાંભળવાની ફૂરસદ કાઢો છો ખરાં!! ક્યાંથી આવે છે એ નાદ!! કોણ છે જે ભીતરથી આપણી જોડે સંવાદ કરવાં ચાહે છે!! આપણને ક્યાંક દોરી જવા માંગે છે!! આપણને નિઃસંદેહ ખૂબ જ પ્રેમ કરે છે ચાહે છે!! એ ભીતરમાં બેઠેલ આપણો નાથ જ આ નાદનો સર્જનહાર અને આપણો તારણહાર છે. "આંજી"નાખનારા બાહ્ય આકર્ષણોના બંધનમાંથી ઘડીક મુક્ત થઈ, આપણને સતત માર્ગદર્શિત કરતી, દિશા સૂચન કરતાં આઅવાજને સાંભળીએ અને તેને અનુસરવા પ્રયત્ન કરીએ તો પણ એક નિરવ શાંતિનો અનુભવ ભીતરથી થાય છે .



જ્યારે આપણે દક્ષ બની શકીએ છીએ ને ત્યારે જ એ અવાજને સાંભળી શકવાની ક્ષમતા અને લક્ષ કેળવી શકીએ છે. આપણને આપણાં બાળકને સાંભળવાનો સમય છે?? આપણા પતિ કે પત્નીની સાથે અકારક બેસી તેમને નિરાંતે સાંભળવાનો સમય કાઢી શકીએ છે ખરાં?? આપણાં મા-બાપ જેમને માત્ર એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક મારી પાસે બેસે, મને સાંભળે. તેમની સાથે ઘડીક વાતો સાંભળવા કાન સરવા રાખી શકીએ છે ખરાં?? લગભગ નહીં. કારણ એ બિલકુલ નથી કે સમય નથી. પણ ભીતરથી નિરાંત નથી . મનની ચળવળોમાંથી ફુલસદ નથી. સોશિયલ મીડિયા ના ચક્રવ્યુહના વર્ચ્યુઅલ વ્યસ્તતામાંથી નીકળવાનું મનોબળ નથી.




જો જીવનની નાવને યોગ્ય દિશામાં હંકારવી છે, તો જાત જોડે નીર્લેપ જોડાવું પડશે. નિરાંતે અને સાચાં સુખ તેમજ સાચાં આત્મસંતોષ સાથે મરવું પણ હશે ને તો ભીતરના નાદને સાંભળીને તેને અનુસરીને જીવવાની ક્ષમતા કેળવવી પડશે. ઘણાં લોકો એમ કહે છે કે "આત્મા જ મરી ગયો છે". જીવનની તકલીફોથી હવે બધું સુન્ન થઈ ગયું છે. ભલા માણસ "આત્માને મૃત" જાહેર કરવાવાળો તું કોણ?? જ્યારે ગીતામાં કહ્યું છે કે "આત્મા નથી મારી શકાતો ,નથી બાળી શકાતો નથી, કાપી શકાતો, તે અજન્માં છે". તમારી આત્મા પર માત્ર જડતાનું, દંભનું જે આવરણ છે તેને હટાવવાની જરૂર છે . દેખાડા માટે, મોટાઈ માટે, જે તમને નથી , "તે" બધાને બતાવવા માટે જીવવાનું બંધ કરી," સરળ" બનો અઘરું છે પણ આ એક જ રસ્તો છે નિર્લેપ થવાનો .અને નિર્લેપ થઈ શકશો તો જ અંતરનાદને સ્પષ્ટ પણે સાંભળીને જીવી શકશો, અનુભવી શકશો અને તે મુજબ જીવી જીવન સફળ બનાવી શકશો. "જે અંદર છે એ જ બહાર છે". તમે ભીતરથી જેટલાં પ્રદીપ્ત થયેલ હોવ , તમારી આત્મા એટલી જ અન્યોને શાતા આપનારી અને કલ્યાણ કરનારી, અન્યોને સહૃદયની અનુભૂતિ આપનારી બની રહે છે .


જેમ જેમ તમે ભીતરથી નિર્લેપ થતાં જશો આસક્તિ, મોહ, લોભ, દંભ "હું "પણુ નાં પડો જેમ જેમ છેદતા જશો, તેમ તેમ તમે પોતે જ પોતાનામાં મુક્તતાનો અનુભવ કરતાં જશો ત્યારે સમજાશે કે સાચા બંધનો જ આ બધા છે. હવામાં તરતા હોવ એટલી જાતને હળવી મહેસુસ કરશો. જ્યાં કંઈ જ અડતું નથી . બહુ બધું સુખ આવે તે ય અડતું નથી અને આભ તૂટી પડે તેવું દુઃખ આવે તે અડતું નથી હું પણ છે જ નહીં . જ્યાં માત્ર ઝળહળ ઝળહળ આત્મા છે. જેનો એકમાત્ર હેતુ પરમાત્મા સાથે એકરૂપ થવાનો હોય. સાદર્ભિક વસ્તુઓથી મુક્ત થતાં જાવછે અને એ સહજ થતી પ્રક્રિયા છે .


જીવનમાં જે પણ ઘટના કે કર્મ "સહજ" થાય છે, પ્રયત્ન વિના સહજ પરિણમે છે તે જ સાચું. "સહજયોગ"ને પામવા આપણે જેટલાં ઓછાં કુત્રિમ બનીશું, વાણી, વર્તન ,વ્યવહારમાં, જીવનમાં જેટલી સરળતાથી અને સહજતા અપનાવીશું એટલાં જ વધુ સાચા અર્થમાં સુખી અને પ્રસન્ન જીવન જીવી શકીશું

મિત્તલ પટેલ
"પરિભાષા "