Article Special in Gujarati Anything by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | લેખ વિશેષ

Featured Books
Categories
Share

લેખ વિશેષ

વિચારોની પૂજા
માનવીએ વ્યક્તિને મહત્વ આપે છે પણ તેના વિચાર,કર્મ,ત્યાગ અને સદગુણોને પોતાના જીવનમાં ધારણ નથી કરતો.

આપણે વ્યક્તિની પૂજા કરીએ છીએ અને વિચારોની નહિ.જેમ રામને આપને એક મૂર્તિ સ્વરૂપે સ્થાપિત કરી દીધા. તેમની પૂજાપાઠ, વ્રતજપ કરીએ છીએ,પણ રામ જે વિચાર સાથે,જે કર્મ સાથે અને જે મર્યાદા સાથે પોતાનું જીવન વ્યતીત કર્યું તે માત્ર મનોરંજન સ્વરૂપે જ જોઈએ છે ,નહિ કે તેમના વિચારોને આપણા જીવનમાં ધારણ કરતા. ભગવાન બનાવીને મૂર્તિમાં સ્થાપી દીધા ,પણ તે મૂર્તિને વાચા આપના જીવનમાં નથી આપી. મંદિર બનાવીએ છીએ પણ તેમના વિચાર અને મર્યાદાનું મંદિર આપના મનમાં કે જીવનમાં નથી બનાવતા.

સમાજની આજ દુર્બળતા છે, મહાન આત્માની વાતો કરવામાં ક્યારે પણ પાછળ નથી રેહતાં,પણ જ્યારે તેનું અનુકરણ જીવનમાં કરવાનું થાય ત્યારે પાછળ રહી જઈએ છીએ. આપના ધર્મ પુસ્તકને એક આદર્શ સ્થાન આપીએ છીએ, એની પૂજા પણ કરીએ છીએ અને એને સજાવીએ પણ છીએ. પણ ક્યારે પણ તે પુસ્તકમાં રહેલા આદર્શતા,મૂલ્યો, વિચારો, ચિંતનો અને કર્મની મહિમાને વાચવામાં રસ નથી ધરાવતા. શ્રીમદ્ ભગવદગીતામાં રહેલા કર્મના બંધનને આપણે હજુ સુધી સમજ્યા જ નથી, જો સમજીએ તો દુઃખનું નિવારણ થઈ જાય,ક્યારે પણ દુઃખ, શોક અને ખરાબ આચરણ જીવનમાં આવતા નથી.જે પુસ્તક મંદિરની નહિ પણ આચરણમાં લાવીને શોભા વધારવી જોઈએ.

ભક્ત શિરોમણી નરસિંહ મહેતાના ભજન સાંભળવા તો ગમે જ છે. એ ભજનમાં રહેલા નરસિંહના જીવનનો ભક્તિરસ અને વૈષ્ણવજનની સંકલ્પના સિદ્ધ નથી કરી શકતા. આવા સંતો મહંતોને પૂજ્ય સમાન સ્થાન આપ્યું છે પણ એમને વ્યક્તિ તરીકે જ સ્થાન આપ્યું છે પરંતુ તેમના વિચારો અને કર્મની મહીમાને સમજી નથી શક્યા. હાલ દરેક સપ્રદાયમાં મહાન સંતો થઈ ગયા છે, સંતોના વિચારોની મહીમા અને આદર્શો પર ચાલીએ તો જ સાચા ભક્ત કેહવાય.

આપણે મહાન વ્યક્તિઓના સિદ્ધાંત , વિચાર અને આદર્શો પર ચાલવું જોઈએ. એમનું જીવન તો અગરબત્તી જેવું છે, ખુદ સળગીને રાખ થય જાય છે અને બીજાના જીવનમાં સુવાસ પ્રસરાવી દે છે. આવા મહાન આત્માઓ માત્ર વ્યક્તિ તરીકે અથવા મૂર્તિ સ્વરૂપે જ બિરાજી દઈએ છીએ પણ એમનાં વિચારોને જીવનમાં લાવતા નથી. એ જ આપણી દુર્બળતા છે.

આપણે વ્યક્તિ સ્વરૂપે કે ભગવાન સ્વરૂપે તો સન્માનની સાથે એમના આદર્શો અને વિચારોને આપણે આપણા જીવનમાં દાખવશું. જેથી સમાજ અને આપનું જીવન ઉજ્વળ અને ઉત્તમ બને છે.



મીરાબાઈ



પ્રેમ, સમર્પણ, ત્યાગ, કરુણા, દયા અને કૃષ્ણભક્તિમાં લીન એટલે મીરાબાઈ. જ્યારે પણ મીરાબાઈનું નામ લઈએ છીએ કે એમના ભજન સાંભળીયે છીએ તો કૃષ્ણ માટેની પ્રેમભક્તિમાં આસક્ત રહેતી મીરા દેખાય છે.મીરા એ કોઈ નારી સ્વરૂપે નહિ પણ પ્રેમભક્તી , કરુણા અને ત્યાગના સ્વરૂપે રહેલું પ્રભાતનું ભજન છે, જે સર્વ મોહ - માયાના બંધનથી મનને દૂર કરીને આત્માને કૃષ્ણ સાથેનું મિલન કરાવે છે.

મીરાંબાઈને કૃષ્ણ પ્રત્યે પ્રીતિ ત્યારથી જાગી હતી જ્યારે તે માત્ર બે કે ત્રણ વર્ષની હતી. તે સમયે એક સાધ્વી મીરાબાઈને કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપે છે, મીરા તે સમયે મૂર્તિને રમકડાં તરીકે રમતા રમતા કૃષ્ણભક્તિના પ્રવાહમાં ભળી જાય છે. અન્ય રમકડાં નીર્થક લાગવા લાગે છે. બાલ્યાવસ્થામાં જ જે કૃષ્ણને વાળી ગઈ હતી તે પ્રેમભક્તિના કેફમાં રંગાય હતી. પ્રેમ કરવા માટે પાત્ર સામે હોવું કે સાથે હોવું જરૂરી નથી તે મીરાની પ્રેમાસક્તા બતાવે છે.મીરા ન તો કોઈની સાથે લગ્ન કરવા માગતી હતી કે ન તો કોઈના માટે મોહ રાખતી હતી, બસ એના માટે તો માત્ર કૃષ્ણ જ સખા, માત પિતા, પતિ,પ્રેમી અને ભક્તિ હતા. આ હતી મીરાની કરુણામાં પ્રેમ ભરી ભક્તિ." બીજાને મીંઢળ નહિ રે બાંધું " ભજન ગાતાં ગાતાં પોતાના પરિવારના આગ્રહથી ઉદેપુરના કુમાર ભોજરાજજીના સાથે લગ્ન થાય છે. કેહવાય છે કે મીરાની જેમ જ તે પણ કૃષ્ણભક્ત હતા.પરંતુ મુત્યુ થતાં મીરાને હવે કૃષ્ણ જ એક આશરો રહ્યો હતો. મહેલ ભજનકીર્તન માટે સાધુઓનો પ્રવાહ વેહતો જે તેમના દિયર રાણાને ન ગમતું હતું. મીરાંને મારવા માટે રાણા એ વિષના પ્યાલા મોકલ્યા, મીરાએ " જેર તો પીધાં જાણી જાણી" અમૃત થઈને લીધા. ભક્તિના વિક્ષેપો થવાથી મીરા એ ઘરબાર છોડ્યા.

જ્યાં કૃષ્ણ મંદિર દેખાય ત્યાં મીરા પ્રેમ ભક્તિમા નાચતી નજર આવતી. કૃષ્ણ એક જીજ્ઞાસા હતા, જ્ઞાનપિંપાસા હતા, પ્રેમના બલિહારી હતા. મીરા કૃષ્ણભકતીમાં પ્યાસી , પ્યાસ સંતોષવા વિચારતી રેહતી હતી. ઘણાં સાધુસંતોના છાયામાં રહી પણ અંતે તો રૈદાસજી જ જ્ઞાનનું ઝરણું દીઠું. મીરાની કૃષ્ણ પ્રેમભક્તિના ભજનમાં રાચતી, લીન રહેતી અને " પ્રેમની પ્રેમની પ્રેમની મને વાગી રે કટારી પ્રેમની" , "મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઇ" જેવા પદ્યમાં ખુદને કૃષ્ણ સાથે મલિન થઈ જતી હતી.

મીરાની કૃષ્ણ માટેનો પ્રેમ, ભક્તિ,ત્યાગ, કરુણા અને લાગણી એવી હતી કે ખુદ કૃષ્ણના ચરણોમા મીરા હમેશાને માટે લીન થઈ જાય છે. દ્વારકાધીશના ચરણો મીરા ખુદને સમર્પિત કરી દે છે અને દુનિયામાં કૃષ્ણની પ્રેમભક્તીની દાસી થઈને જગને પ્રીતિનું દર્શન કરાવી ગયા. મીરાએ ભારતની ભોમ પર થયેલી મહાન નારીમાં મોખરાના સ્થાને છે.મીરાબાઈની કૃષ્ણભક્તિ માટે શત શત નમન. સાહિત્યના ક્ષેત્રે મીરા એક ભક્તિ રસના ભજનના ગુંજન બનીને કૃષ્ણ પ્રિતિમાં સમાઈ ગઈ.