Hiramandi: The Diamond Bazaar in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | હીરામંડી: ધ ડાયમંડ બાઝાર

Featured Books
Categories
Share

હીરામંડી: ધ ડાયમંડ બાઝાર

હીરામંડી: ધ ડાયમંડ બાઝાર

- રાકેશ ઠક્કર

નિર્દેશક સંજય લીલા ભણશાલીની પહેલી વેબસિરીઝ હીરામંડી: ધ ડાયમંડ બાઝાર જોયા પછી એમ થશે કે ફિલ્મો બનાવવાને બદલે એમણે શા માટે પોતાનો સમય OTT માટે બગાડયો હશે. ત્રણ ફિલ્મો બની જાય એટલા સાડા સાત કલાકની અને આઠ હપ્તાની હીરામંડી ઉપર ખર્ચ પણ એટલો જ કર્યો છે. તેમ છતાં એને જોવાનું ખાસ કોઈ કારણ ન હોવાનું સમીક્ષકો કહી રહ્યા છે.

દેશના સૌથી મોટા OTT પ્લેટફોર્મ પર સૌથી મોંઘી ગણાતી વેબસિરીઝ રજૂ થઈ અને ખાસ કોઈ ચર્ચા નથી એ હકીકત સાબિત કરે છે કે એમણે ખોટી જગ્યાએ પોતાની કળા અને શક્તિને વેડફી દીધા છે. એમણે વેબસિરીઝનું માર્કેટિંગ ખાસ કર્યું નથી. હીરામંડી પ્રચારની રીતે જ નહીં વાર્તામાં પણ ઠંડી રહી છે.

દર્શકો એમની ફિલ્મોના દિવાના રહ્યા છે અને ગંગુબાઈ કાઠિયાવાડી પછી વધુ એક ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એમણે વેબસિરીઝ પર હાથ અજમાવ્યો છે. એમાં પણ તવાયફોની જ વાત છે. સંજય કોઈ નવો વિષય વિચારી શક્યા નથી

હીરામંડી ની વાર્તા આઝાદી પહેલાંની છે. ત્યારે પાકિસ્તાનની રચના થઈ ન હતી. ત્યાં લાહોરમાં હીરામંડી નામની જગ્યાને રેડલાઇટ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંની તવાયફો વિશે સિરીઝમાં વાત કરવામાં આવી છે. એમાં તવાયફોની જિંદગી સાથે એ બતાવવામાં આવ્યું છે કે તેમણે આઝાદી માટે કુરબાની આપી હતી. વાર્તામાં બે તવાયફો વચ્ચે હવેલીને કારણે દુશ્મની હોય છે. બંને વચ્ચે જબરદસ્ત લડાઈ થાય છે. એ નવાબ માટે ઝગડે છે. કેમકે જેમને નવાબ મળે એમને કોઠી મળે છે. અને કોઠી હોય તો માન-સમ્માન વધારે મળે છે. વેબસિરીઝમાં એક લડાઈ સત્તા માટે થાય છે અને બીજી ગુલામીમાંથી દેશને આઝાદ કરાવવા. એક સમય એવો આવે છે જ્યારે સત્તાનું મહત્વ રહેતું નથી. તવાયફો ક્રાંતિકારી બની જાય છે.

ભવ્ય સેટ એક આકર્ષણ છે પણ એનાથી ખામીઓ છુપાતી નથી. ભણશાલી હવે મોટા સેટને પોતાના નિર્દેશનની એક ઓળખ તરીકે રાખે છે. પણ દરેક ચમકનારી વસ્તુ સોનુ હોતી નથી એ હીરામંડી માટે કહી શકાય એમ છે. અસલમાં તે ફિલ્મ જ બનાવવા માગતા હતા. પણ લંબાઈ જોતાં એમ લાગે છે કે વધારે શુટિંગ થયું હોવાથી વેબસિરીઝનું રૂપ આપી દીધું છે. સંજય માટે આ નવું ક્ષેત્ર છે એટલે વાર્તા ઘણી જગ્યાએ ભટકી જાય છે અને બહુ ધીમી ચાલે છે. જો બેકગ્રાઉન્ડમાં કોઈનું નરેશન રાખ્યું હોત તો વાર્તાને જ નહીં પાત્રોને સમજવામાં સરળતા રહી હોત. વાર્તા હીરામંડીમાંથી બહાર ઓછી જાય છે એટલે એક જ પ્રકારનો સેટ જોઈને કંટાળો આવી શકે છે. વેબસિરીઝની લંબાઈ વધારે છે અને લાંબા એપિસોડની વાર્તા ધીમી ગતિએ ચાલે છે એ મોટા માઇનસ પોઈન્ટ છે. મલ્લિકાજાન ને જોઈ ઘણાને વિદ્યા બાલનની બેગમજાન યાદ આવી શકે છે.

તવાયફોના જીવન પરની સિરીઝમાં ગીત- સંગીત બાબતે સંજય માર ખાઈ ગયા છે. સીરીઝ જોતી વખતે ગીત-સંગીત ઠીક લાગે છે. પછી યાદ રહે એવું એમાં કંઇ જ નથી. મલ્લિકાજાન ના રૂપમાં મનીષાને બાદ કરતાં બીજા કલાકારોના સંવાદ દમદાર નથી. એમના માટે હજુ વધુ સારા સંવાદ રાખી શક્યા હોત. મનીષાએ પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ શૉથી બીજા કોઈને લાભ થાય કે નહીં મનીષાને જરૂર થશે. સોનાક્ષી આ પહેલાં દહાડ કરી ચૂકી છે. અહીં બે રૂપમાં તક મળી છે એ બંને ભૂમિકાને બરાબર નિભાવી છે. કલાકારોની પસંદગીમાં સંજય થાપ ખાઈ ગયા હોય એમ લાગે છે. નામ આપીને કોઈનું કામ સારું કે ખરાબ કહી શકાય એવું નથી. જાણીતા ચહેરા હોવા છતાં પાત્રાલેખન અને વાર્તાલેખન નબળું હોવાથી કોઈ કલાકાર પ્રભાવ ઊભો કરી શકતો નથી. ફરદીન અને અધ્યયન સુમને કમબેક માટે એને કેમ પસંદ કરી છે એ તો એજ જાણે.

હીરામંડી હીરા જેવી છે કે કાચ જેવી છે? એ જાણવું છે તો મનીષા કોઈરાલાનો અભિનય અને કંઈક અંશે સિનેમા પ્રત્યે ઝનૂન ધરાવતા સંજય ભણશાલીના નિર્દેશનને કારણે હીરામંડી જોવા ખાતર જોઈ શકાય. બાકી ધીરજ અને હિમ્મત જેવા ગુણ હોય અને આઠ કલાકનો સમય ફાજલ હોય તો હીરામંડી જરૂર એક વખત જોવી જોઈએ.