EDT
લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ હેડલીએ વીતેલા સપ્તાહે મુંબઇની વિશેષ કોર્ટમાં જુબાની આપતાં જે ખુલાસાઓ કર્યા છે તે માત્ર ભારત માટે જ નહીં, પરંતુ અમેરિકા, ચીન સહિત વિશ્વના એ તમામ દેશો માટે પણ આંખો ઉઘાડનારા છે જેઓ આતંકવાદ સામેના વૈશ્વિક સંઘર્ષમાં પાકિસ્તાનને મજબૂત ભાગીદાર માનતા રહ્યા છે. હેડલીના ઘટસ્ફોટે પાકિસ્તાનના એ દંભી ચહેરાને પણ ખુલ્લો કર્યો છે જેમાં જાહેરમાં તો પોતાને ‘આતંકવાદનો ભોગ બનેલો દેશ’ ગણાવે છે, પરંતુ પરદા પાછળ તે જ આ આતંકવાદના અજગરને પાળતું-પોષતું રહ્યું છે. અમેરિકાની જેલમાં બેઠાં બેઠાં હેડલીએ મુંબઇ કોર્ટમાં આપેલી વીડિયો જુબાનીની સૌથી સનસનાટીપૂર્ણ બાબત તો એ છે કે મુંબઇમાં ૨૬/૧૧ના બોમ્બ વિસ્ફોટોના કેટલાક સપ્તાહ બાદ પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની હેડલીને મળવા તેના નિવાસસ્થાને ગયા હતા.
વડા પ્રધાન જેવા દેશના ટોચના નેતાની એક આતંકવાદીના ઘરની મુલાકાત જ દર્શાવે છે કે પાકિસ્તાની શાસકો માત્ર દુનિયાને દેખાડવા જ આતંકવાદ સામે સંઘર્ષ કરવાનો ઢોંગ કરી રહ્યા છે. હેડલીનો ખુલાસો એક રીતે તો અમેરિકા અને ચીન જેવા દેશોના ગાલ પર લપડાક સમાન છે. વિશ્વની આ મહાસત્તાઓ એક તરફ, દુનિયામાંથી આતંકવાદનો સફાયો કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને બીજી તરફ, - આતંકવાદપીડિત ભારતના સતત વિરોધ છતાં - ત્રાસવાદ સામેની લડાઇમાં પાકિસ્તાનને સાથે રાખવાની વકીલાત પણ કરતા રહ્યા છે. પડોશી દેશ દ્વારા પોષાતા આતંકવાદનો સૌથી વધુ ભોગ ભારત બન્યું છે તે હકીકત છતાં અમેરિકા અને ચીન હંમેશા પાકિસ્તાનને પંપાળતા રહ્યા છે.
પાકિસ્તાન પર જ્યારે જ્યારે આંતરરાષ્ટ્રીય ભીંસ વધી છે ત્યારે ત્યારે તેણે આતંકવાદની સામે સંઘર્ષનું નાટક કર્યું છે, પણ સાચી વાત તો એ છે કે પાકિસ્તાન એવી પૂંછડી છે, જે લાખ પ્રયાસ છતાં ક્યારેય સીધી થવાની નથી. પાકિસ્તાને અમેરિકાના સૌથી મોટા દુશ્મન ઓસામા બિન લાદેનને માત્ર આશરો જ નહોતો આપ્યો, પરંતુ લશ્કરી ઇલાકામાં સુરક્ષિત રાખ્યો હતો તેમ છતાં અમેરિકા પાકિસ્તાનને આર્થિક સહાયથી માંડીને શસ્ત્ર-સરંજામનો જથ્થો પૂરો પાડતું રહ્યું છે. આવી નીતિ અપનાવીને અમેરિકા શું સાબિત કરવા માગે છે એ તો આપણે નથી જાણતાં પણ પાકિસ્તાન આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે તગડું થતું રહ્યું છે ને ભારતને વધુને વધુ કનડતું રહ્યું છે.
હેડલીના ખુલાસાથી એ પણ સ્પષ્ટ થઇ ગયું છે કે આતંકવાદી હુમલાઓ માટે પણ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ નાણા પૂરા પાડતી રહી છે. આતંકવાદની આગમાં ખુદ દાઝવા છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકત છોડવા માટે તૈયાર નથી. આ સંજોગોમાં ભારતે તેના આ પાડોશી દેશ સાથેના સંબંધો સંદર્ભે પુનર્વિચાર કરવો રહ્યો. હેડલીના ખુલાસા વિશ્વના એ તમામ દેશોને માટે સાફ સાફ સંદેશ છે જેઓ એકસંપ થઇને આતંકવાદને કચડવા માગે છે. વિશ્વસમસ્ત એક થઇને આતંકવાદને પાળતા-પોષતા પાકિસ્તાનને ભીંસમાં નહીં લે ત્યાં સુધી આતંકવાદનો જડમૂળથી અંત જણાતો નથી.
લેખતંત્રીલેખ
🙏🏻