મૃત્યુ
હું, મારું અને મારાં કહીને ક્યાં સુધી ઉઘમાં જીવ્યે રાખીશ ?
તું જાણે જ છે કે પસાર થતા હરેક દિવસો જિંદગી તરફ તો નથી જ વધી રહ્યા.
જિંદગીનું તો ધ્યેય જ મૃત્યુ છે, આ સત્યનો અસ્વીકાર કરીને ક્યા સુધી ડર્યે રાખીશ?
હું, મારું અને મારાં કહીને ક્યાં સુધી ઉઘમાં જીવ્યે રાખીશ ?
માનવું હોય તો આજ અને અત્યારે જ માની જા, કહેવું જ હોય કંઇ તો આજ અને અત્યારે જ કહી દે
કેમ કે "છે" થી "હતી" ની છે આ જિંદગી,
જીદ્દ અને રહી ગયેલી અધુરી વાતોના બોઝ નીચે જિંદગી આખી ક્યાં સુધી તડપ્યે રાખીશ.
તું સત્યને અવગણીને ખોટા ભ્રમમાં ક્યાં સુધી જીવ્યે રાખીશ ?
હું, મારું અને મારાં કહીને ક્યાં સુધી ઉઘમાં જીવ્યે રાખીશ ?
અહંકારનું આ આવરણ તારા મનને હમેશાં સત્યના સ્પર્શથી દુર રાખે છે,
મનના આ બેધ્યાનપણામાં ભાગીદાર બનીને તારા અહંકારના આ છોડને પાણી ક્યાં સુધી પાયે રાખીશ ?
હું, મારું અને મારાં કહીને ક્યાં સુધી ઉઘમાં જીવ્યે રાખીશ ?
મૃત્યુ એ દુઃખ નથી પણ આપણો ડર છે.
દુઃખ ત્યારે જરાય નથી થતું જ્યારે દુનિયામાંથી કોઇ મૃત્યું પામે છે, પણ દુઃખ ત્યારે જરૂર થાય છે જ્યારે આપણી દુનિયામાંથી કોઇ મૃત્યું પામે છે.
મૃત્યુ તો બંન્ને જગ્યાએ થાય છે પણ દુઃખ ફક્ત એક જ જગ્યા એ ? કેમ ?
જરૂર આ દુઃખ નહીં આપણા અહંકારને લાગેલી ઠેસ હશે.
જરૂર આ ખુદના માનેલા અસ્તિત્વને ખોઇ બેસવાનો ડર હશે.
જરૂર લાગણીના હથિયારથી અહંકારને બચાવવાની આ રીત હશે.
આપણે દુનિયાની એ વ્યક્તિ માટે ક્યારેય જન્મ્યા જ નથી જેને આપણે ક્યારેય જોયા, મળ્યા કે સાંભળ્યા નથી.
આપણી દુનિયા તો એ જ જેને આપણે જન્મથી જોયા, મળ્યા કે સાંભળ્યા છે.
દુઃખ છે આપણને એ વાતનું કે આપણી દુનિયામાંથી આપણને જાણનારો,
આપણાં કરેલા કર્મો ને જાણનારો, આપણી પ્રસંશા કરનારો એક ચહેરો અદ્રશ્ય થયો,
દુઃખ છે આપણને એ વાતનું કે આપણા અસ્તિત્વનો એક પુરાવો ઓછો થયો.
સત્યતો એ છે કે
દુઃખ કોઇ ચહેરો અદ્રશ્ય થવાનું નથી, દુઃખ છે જન્મથી નાશવંત વસ્તુ સાથે થયેલા લગાવનું,
મૃત્યુથી ઠેસ પહોચે છે આપણા હુંપણાના અહંકાર ને, કેમકે મૃત્યુંએ અનુભવ છે અહંકારનાં નાશનો.
મૃત્યુને જોતાં જ આપણું મન સત્ચનો અનુભવ કરવા જાય તે પહેલાં જ અહંકારનું આવરણ મનને લાગણીનાં બંધનમાં બાંધીને દુઃખની અસહનીય પીડામાં ડુબાડી દે છે.
હું, મારું અને મારાં કહીને ક્યાં સુધી ઉઘમાં જીવ્યે રાખીશ?
એવું ના બને કે આપણે આપણું ધ્યાન ચહેરા પરથી હટાવીને ચહેરા પાછળના ચેતનમાં લગાવીએ.
ચેહરા તો બન્યા જ છે મરવા માટે એ સત્યને સ્વીકારીને ચહેરાને ફક્ત જોતા જ શીખીએ.
એવું ના થાય કે આસપાસના બધા જ ચહેરા(દ્રશ્ય)ના સાક્ષી(દ્રષ્ટા) બનીને જીવીએ.
- ચિરાગ કાકડિયા