શું તમે જાણો છો શિવલિંગની પૂજામાં હળદરને બદલે કેમ થાય છે ચંદનનો પ્રયોગ?
હિંદૂ ધર્મમાં 33 કરોડ દેવી-દેવતાઓની વાત કરવામાં આવી છે. આપણા દેશમાં અલગ અલગ જ્ઞાતિ, જાતિના લોકો રહે છે તે તમામ લોકો અલગ અલગ દેવી દેવતાઓની પૂજા પોતાના ઈષ્ટદેવ તરીકે કરતાં હોય છે. દરેક દેવી-દેવતાની પૂજાની રીત અલગ અલગ હોય છે, જેને ધ્યાનમાં રાખી ભક્તો પૂજા કરતાં હોય છે. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને નિયમોનું પાલન કરીને જ કોઈપણ પૂજા કરવી જોઈએ. આ રીતે પૂજા કરવાથી જ પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે.
પૂજાના નિયમોમાં સૌથી અગત્યનો અને મુખ્ય નિયમ હોય છે સામગ્રીનો ઉપયોગ. જી હાં પૂજા સામગ્રી અતિમહત્વની વસ્તુ હોય છે. કેટલીક ખાસ સામગ્રી વિના ભગવાનની પૂજા અધુરી રહી જાય છે. આ સાથે જ એવી સામગ્રીઓનું પણ ધ્યાન રાખવાનું હોય છે જેના ઉપયોગની શાસ્ત્રોમાં મનાઈ કરવામાં આવી હોય.
જેમકે તુલસીના પાનનો ઉપયોગ જો વિષ્ણુ પૂજામાં ન થાય તો આ પૂજા પૂર્ણ ગણાતી નથી. જો તમે ભગવાન શંકરની પૂજા કરતાં હોય તો તેમાં બીલીપત્ર, ધતુરો, દૂધ વગેરે મહત્વની સામગ્રી ગણાય છે. જો કે શિવ પૂજા કરતી વખતે હળદરનો ઉપયોગ કરવાની મનાઈ શાસ્ત્રોમાં કરવામાં આવી છે.
ભગવાન શંકરની પૂજામાં હળદરનો ઉપયોગ કરવાની મનાઈ છે જેનું કારણ છે કે ભગવાન શંકરની આરાધના લોકો મોટાભાગે શિવલિંગની પૂજા કરીને કરતાં હોય છે. શિવલિંગ એ યોનિ સ્વરૂપ છે. તેમજ સમસ્ત બ્રહ્માંડની શક્તિ શિવલિંગમાં સમાહિત છે. તેથી તેની ઊર્જા અને તેજ સૌથી વધારે છે.
એટલા માટે શિવલિંગની પૂજામાં એવી જ સામગ્રીઓનો ઉપયોગ થાય છે જે શીતળ હોય અને ઊર્જાને નિયંત્રિત કરતી હોય. તમે જોયું પણ હશે કે ભગવાન શિવનો અભિષેક દૂધ, પાણીથી થાય છે તેમજ તેમને તિલક પણ ચંદનથી કરવામાં આવે છે. આ માટે હળદરનો ઉપયોગ શિવલિંગની પૂજામાં નથી કરવામાં આવતો.