માતૃભારતી બાઇટ્સમાં જોડાયે મને ઘણો સમય થઈ ગયો. શરૂઆતનો તબક્કો ઘણો સારો હતો. માત્ર પોસ્ટની કૉમેન્ટમાં વાતો થતી. એકબીજાની ઓળખાણ માત્ર શબ્દો સુધી જ. કોઈ વ્યક્તિ ભાગ્યે જ કોઈની સાથે અંગત રીતે જોડાયેલું હશે. જાણે એક પરિવાર. પણ સમય સાથે ઘણું બધું બદલાય છે. માતૃભારતી દ્વારા નવી અપડેટ આવી. મેસેજબોક્સ આવ્યું. કેટલાક લોકો અંગત રીતે જોડાતાં થયા. માતૃભારતીનું અપડેટ થવું એ કઈ ખોટું નથી થયું. ઘણાં બધાં નવા મેમ્બર જોડાયા. કેટલાક ને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનું એક સારું માધ્યમ પણ મળી ગયું. જમાના સાથે અપડેટ થવું જરૂરી જ છે. એ કામ માતૃભારતીએ કર્યું. પણ શું આ એપની સાથે આપણે કેટલા અપડેટ થયા ? આપણા વિચારોને આપણે કેટલા બદલી શક્યાં ? પોતાની જાતને જ આ સવાલ પૂછવાની જરૂર છે.
માતૃભારતી પોતાના વિચારો અભિવ્યક્ત કરવા તમને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. ત્યારે આપણે આવી જગ્યા ઉપર આવી અને પોતાના અંગત પ્રશ્નો, વાદ-વિવાદો અને પોતાની લંપટતા બતાવી રહ્યાં છીએ. શું આ યોગ્ય છે ? કોઈ સ્ત્રી પોસ્ટ કરે અને એની પોસ્ટ માં કૉમેન્ટમાં હાઈ, હેલ્લો કરવાનું, એ વ્યક્તિના મેસેજ બોક્સમાં જઈ ગમેતેવા મેસેજ કરવા, જો એ વ્યક્તિ મેસેજનો જવાબ ના આપે તો એની પોસ્ટમાં નીચલી કક્ષાની કોમેન્ટ કરવી. શું આ બધું માણસ તરીકે આપણને શોભે એવું છે ? ભલે તમે કોઈ સ્ત્રીને પોતાની બહેન ના માની શકો. પણ એક સ્ત્રીને એક સ્ત્રી તરીકેનું સન્માન તો આપી જ શકો છો ને ? તમારા ઘરમાં જ રહેલી તમારી બહેન દીકરી કે માતા કોઈ આવા સોશિયલ મીડિયામાં જોડાઈ હશે, ત્યાં કોઈ એમની સાથે આ પ્રકારનું વર્તન કરશે તો એમનાં ઉપર શું વિતેશે ? એ કલ્પના કરીને તો વિચારી જુઓ. ભલે તમે કોઈને આદર ના આપી શકો, પણ કોઈનો અપમાન કરવાનો પણ તમને કોઈ હક નથી.
માતૃભારતીમાં પોસ્ટ કરતાં વ્યક્તિઓ માત્ર પોતાના વિચારો જ રજૂ કરતાં હોય છે. એવું નથી કે એ પોસ્ટ કરે છે તો એ પોસ્ટના શબ્દો તમેના જીવન સાથે જોડાયેલા હશે, એ દુઃખી હશે. એ દુઃખી હશે તો પણ એ ખુશ થવાનો રસ્તો પોતાની જાતે જ શોધી લેશે.
જો તમારી પાસે કોઈને ખુશ કરવાના રસ્તા હોય, કોઈને બહુ જ સારી રીતે સમજી શકવાની ક્ષમતા હોય તો શરૂઆત પોતાના ઘરેથી જ કરો. પોતાના મા-બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની, બાળકો અને મિત્રોને સમજો. એ લોકોને તમારી વધુ જરૂર હશે. સોશિયલ મીડિયામાં કોઈના દુઃખને સમજી શકવાનું નાટક બંધ કરો. સોશિયલ મીડિયામાં એવી લાગણી સાથે આવતા મિત્રોને પણ જણાવુ કે અહીંયા કોઈ એવી વ્યક્તિ નથી મળવાની જે તમારા દુઃખને સમજી શકે, તમારો સાથ આપી શકે. સામેની વ્યક્તિને ના તમે સારી રીતે ઓળખો છો ના એ તમને. તો પછી કઈ રીતે તમે એ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકી શકો છો ? સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં 99% જુઠ્ઠું જ બોલાતું હોય છે. પોતે જે હોઈએ એના કરતાં બહેતર જ બતાવાતું હોય છે. 1% વ્યક્તિ પણ તમને એવો નહિ મળે જે પોતાની જાતને નબળી બતાવશે. એકબીજા ને સારું લાગે એ રીતની વાતો અને વર્તન હશે. તો શું કામ આ બધી માયાજાળમાં ફસાવવાનું વિચારો છો. બસ જે કામ માટે આવ્યા છો એ કામ કરી ને છૂટા થઈ જાવ. જેટલા ઊંડા ઉતરશો એટલી જ તકલીફ વધુ થશે. એક સાચા અને સારા માણસ બનીને રહો. કોઈ તમારી ઉપર આંગળી નહિ ઉઠાવી શકે.
#નીરવ_પટેલ "શ્યામ"