Gujarati Quote in Story by Nikunj Panchal

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આનંદનો સૌથી મોટો દુશ્મન ઈર્ષા

એકવાર શેષનાગ બીમાર પડ્યા. ધીમે ધીમે બીમારી વધવા લાગી. ઘરગથ્થું સામાન્ય દવાઓની કોઈ અસર ના થઈ એટલે દેવોના વૈદ્ય અશ્વિનકુમારને બોલાવવામાં આવ્યા. અશ્વિનકુમારે દવા તૈયાર કરીને શેષનાગને આપી. અશ્વિનકુમાર જેવા વૈદ્યની દવા લીધા પછી પણ રોગ કાબૂમાં આવ્યો નહીં. અશ્વિનકુમાર એકથી એક ચડિયાતી દવા આપતા જાય તો પણ રોગ તો વધતો જ ચાલ્યો. બધા દેવોને લાગ્યું કે કદાચ શેષનાગનો પ્રાણ જતો રહેશે.

અશ્વિનકુમાર પણ મૂંઝાયા. એમણે ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ આપ કંઈક મદદ કરો. હું તો મારા તમામ પ્રમાણિક પ્રયાસો કરું છું પણ મારી દવા કોઈ જ કામ કરતી નથી. અમને પણ નથી સમજાતું કે આવું કેમ થાય છે ? આજ દિન સુધી આવું ક્યારેય બન્યું નથી !”

એક સંત અશ્વિનકુમાર પાસે આવ્યા અને કહ્યું, “બોલો શું મદદ કરું આપને ?” અશ્વિનકુમારે પેલા સંતને પોતાની બધી વાત સંભળાવી. સંતે એટલું જ કહ્યું, “તમારી ઔષધિ તો બરોબર જ છે ને ? જે રોગ છે તેનો નાશ કરવા માટે આ જ પ્રકારની ઔષધિ ઉપયોગમાં લેવાય છે ને ?” અશ્વિનકુમારે કહ્યું, “હા રોગનાં લક્ષણો પ્રમાણે જ મેં ઉત્તમ પ્રકારની દવા બનાવી છે અને એ દવા પાવા છતાં નાગરાજને કોઈ જ અસર થતી નથી.”

પેલા સંતે હસતાં હસતાં કહ્યું, “એક કામ કરો દવા પાતી વખતે શેષનાગની આંખ પર પાટો બાંધો અને પછી દવા આપો.” બધા વિચારવા લાગ્યા કે આંખ પરના પાટાને અને દવાની અસરને શું લેવાદેવા ? પણ અશ્વિનકુમારે પેલા સંતની આજ્ઞા મુજબ કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે નાગરાજની તબિયત સુધરવા લાગી અને થોડા સમયમાં તો રોગ સાવ જતો રહ્યો.

દેવો અને અશ્વિનકુમારને આંખ પરના પાટાનું રહસ્ય ન સમજાયું એટલે સંતને તે જણાવવા વિનંતી કરી ત્યારે સંતે કહ્યું, “ઔષધિ તો બરાબર જ હતી પણ જ્યારે એને પાવા માટે શેષનાગના મુખ પાસે લાવતા હતા ત્યારે શેષનાગની આંખમાં કાતિલ ઝેર હોવાથી અમૃત જેવી ઔષધિ પણ ઝેર બની જતી હતી. પાટો બાંધીને મેં એની આંખના ઝેરને ઔષધિમાં ભળતા અટકાવ્યું એટલે ઔષધિની અસર થઈ.”

આપણા જીવનને આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહથી તરબતર કરી દે તેવી અમૃતમય ઔષધિઓ આપણી પાસે જ છે પરંતુ આપણી આંખમાં રહેલું ઈર્ષાનું કાતિલ ઝેર આપણી આ ઔષધિને પણ ઝેર બનાવી દે છે અને પેલા શેષનાગની જેમ દવા પીવા છતાં પણ આપણો અશાંતિનો રોગ મટતો જ નથી !

Gujarati Story by Nikunj Panchal : 111063642
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now