"અફસોસ"
આપણાં જીવનમાં ઘણા બધા લોકો આવે છે. લોકોની સાથે સંબંધ આવે છે અને સંબંધની સાથે એને નિભવવાની જવાબદારી પણ આવે છે. ગમતી વ્યક્તિ, સંબંધ અને જવાબદારીથી ભરેલું જીવન જીવતો માણસ વ્યક્તિ અને સંબંધને તો ઈચ્છે છે પણ સાથે આવતી જવાબદારીઓથી ભાગતો ફરે છે. પરિણામે માણસ ભૂલો કરે છે. ભૂલો થયા બાદ જે વધે છે એ હોય છે "અફસોસ" જ્યારે જીવનમાં માત્ર અફસોસ રહી જાય છે ત્યારે આ વ્યક્તિઓ, સંબંધો, જવાબદારીઓ કશું જ હોતું નથી. ચાહવા છતાં એ સમય પાછો મળતો નથી. મળે છે તો બસ અફસોસ, એક નિશાસો, અનેક તૂટલી લાગણીઓ, છૂટેલા હાથ અને સંબંધોની નિષ્ફળતા.
થોડા સમય પહેલા જ મેં એક વ્યક્તિને એની મરેલી પત્નીના ફોટા આગળ માફી માંગતા જોયો હતો. એ વ્યક્તિ રડી રડીને એની પત્નીની માફી માંગી રહ્યો હતો અને કહી રહયો હતો કે , "પ્લીઝ યાર પાછી આવી જા. હવે હું કોઈ ભૂલ નહીં કરું." પણ અફસોસ કે હવે એ પાછી આવવાની ન હતી. આપણે ત્યાં જીવતા માણસની જેટલી કદર નથી હોતી એટલી એક લાશની હોય છે. ગમતા વ્યક્તિની એવી લાશ કે જે એક અફસોસ સાથે રાખ બની જવાની હોય છે. હર વખતે માણસના શ્વાસ જ મૃત્યુ પામે એવું નથી હોતું. ઘણી વાર સંબંધો, હૃદય, અને લાગણી પણ મૃત્યુ પામે છે. આવા સમયે જીવતો માણસ લાશ સમાન જ હોય છે. અંતે તો બસ અફસોસ જ વધતો હોય છે. હિન્દીમાં એક કહેવત પણ છે કે, "અબ પછતાયે હોત ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત." મને તો એ જ સમજાતું નથી કે, માણસ અથવા સંબંધ છૂટી ગયા બાદ જ આપણને કેમ આંસુ આવે છે?? એ પહેલાં જ આપણે સંબંધને થોડોક બચાવી લઈએ તો સંબંધ ધબકતો રહે છે. સજીવન રહે છે. ક્યારેય ભૂલોની માફી માંગી લેવાથી તો કયારેક માફ કરી દેવાથી અફસોસ જેવું કંઈ રહેતું નથી.
અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે, શ્વાસ ચાલતા રાખવા માટે વેક્સિન લેવી જરૂરી છે પણ સંબંધોને જીવીત રાખવા માટે પણ લાગણીઓની વેક્સિન આવશ્યક છે. એ પણ લેતાં રહેજો. આખી જિંદગી અફસોસ સાથે જીવવું એના કરતાં સંબંધને સાચવી લેવો જોઈએ.
છેલ્લે દિલથી કહું તો એક ગીત યાદ આવે છે:
ચાહે જો તુમ્હે પુરે દિલ સે
મિલતા હે વો મુશ્કિલ સે
એસા જો કોઈ કહી હૈ
બસ વહી સબસે હસીં હે
ઉસ હાથ કો તુમ થામ લો
વો મહેરબાન કલ હો ના હો
હર પલ યહાઁ જી ભર જિયો
જો હે સમા કલ હો ના હો
- SHILPA PARMAR "SHILU"