સુપ્રભાત મિત્રો.
કેવું બધાને?
મજામાં તો હશો જ
જય શ્રી કૃષ્ણ.
તમને વિચાર તો આવ્યો જ હશે કે આ શું લખે છે આમ અચાનક? આ અચાનક નથી, હું તો તમને જણાવવા માંગુ છું કે આજે હાઈકુનો દિવસ છે. હા, આજે 17 એપ્રિલ. આજનો દિવસ વિશ્વભરમાં હાઈકુ દિન તરીકે ઉજવાય છે.
જાપાની કવિતાનો ખૂબ જ ટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો આ કાવ્યપ્રકાર છે. તમે તો સૌ જાણો જ છો કે હાઈકુ એ સત્તર અક્ષરોનું બનેલું કાવ્ય છે, જે ત્રણ લીટીમાં લખાય છે. પહેલી, બીજી અને ત્રીજી લીટીમાં અનુક્રમે 5, 7, 5 એમ અક્ષરો હોય છે. મૂળ જાપાની આ પ્રકાર જાપાનમાં માત્ર એક જ લીટીમાં લખાય છે. એને ત્રણ લીટીમાં લખવાની શરૂઆત અંગ્રેજી ભાષામાં થઈ હતી.
ઓગણીસમી સદીમાં મોશીકા શીકી દ્વારા 'હાઈકુ' નામકરણ કરવામાં આવ્યું. હાઈકુની વિશેષતા એ છે કે એનો એક એક શબ્દ અર્થસભર હોય છે. હાઈકુમાં કવિના અંગત ભાવ કે ચિંતનને બદલે વસ્તુનું મહત્ત્વ વધારે હોય છે, એટલે કે વસ્તુલક્ષી હોય છે. તેમાંથી ઉપસતુ ચિત્ર વાંચનારનાં મનમાં કેટલી સંવેદના ઉત્પન્ન કરે છે તેનાં પરથી હાઈકુની સફળતા નક્કી થાય છે.
બાશો અને મુસોનની જાપાનના સૌથી સમર્થ હાઈકુ રચયિતા ગણાય છે. ટી. ઈ. હ્યુમ, ડબ્લ્યુ. બી. યેટસ, એમી લોઅલ અને રોબર્ટ ફ્રોસ્ટ પણ હાઈકુથી પ્રભાવિત હતાં અને લખતા હતાં.
મૂળ જાપાનના પરંતુ અમેરિકામાં રહીને મોટા થયેલા કવિ કેનેથ યેશુદાએ હાઈકુનાં ત્રણ પ્રકાર પાડ્યા છે:- લંબ, સ્મક્ષિતિજ અને તિર્યક. આ ઉપરાંત તેમણે હાઈકુને 'એક શ્વાસી' તરીકે ઓળખાવ્યું છે, કારણ કે હાઈકુ એક જ શ્વાસમાં વંચાઈ અને બોલાઈ જાય છે. તેમણે જાપાની કવિઓના હાઈકુઓ અંગ્રેજીમાં ભાષાંતર કર્યા છે. આ ઉપરાંત તેમણે ઈ. સ. 1947માં પોતાનો હાઈકુ સંગ્રહ 'અ પેપર પોંડ' રજુ કર્યો હતો.
દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ હાઈકુ લાવ્યા હતા, પરંતુ એને પ્રખ્યાત બનાવ્યું હતું કવિ શ્રી સ્નેહરશ્મિએ. ગુજરાતીમાં હાઈકુની યોગ્ય શરૂઆત 1965માં સ્નેહરશ્મિ દ્વારા જ થઈ હતી અને 1966માં તેમણે પોતાનો હાઈકુ સંગ્રહ 'સોનેરી ચાંદ રૂપેરી સૂરજ' રજુ કર્યો હતો. કવિશ્રીઓ રાજેન્દ્ર શાહ, ઉશનસ, પ્રિયકાન્ત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ અને ધનસુખલાલ પારેખે પણ હાઈકુઓ રચ્યા છે. વીસમી સદીના આઠમાં દાયકામાં ગુજરાતી કવિઓએ હાઈકુમાં નવીનતા લાવવાના ઘણાં પ્રયત્નો કર્યા. કવિશ્રી મનોજ ખંડેરિયાએ તો હાઈકુ અને ગઝલ ભેગા કરીને કાવ્યો બનાવ્યા છે.
- સ્નેહલ જાની