Sadguru Kone Kahevay in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | સદ્‍ગુરુ કોને કહેવાય?

Featured Books
Categories
Share

સદ્‍ગુરુ કોને કહેવાય?

સત્ એટલે આત્મા, એ જેને આત્મા પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એટલે સદ્‌ગુરુ! સદ્‌ગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય. તેમને આત્માનો અનુભવ થયેલો હોય.
ગુરુ અને સદ્‌ગુરુમાં બહુ મોટો ફેર હોય. ગુરુ બે પ્રકારના હોય. એક ગાઈડરૂપી ગુરુ હોય. ગાઈડ એટલે કે ભોમિયા, માર્ગદર્શક. એવા ગુરુ આગળ આગળ ચાલે અને આપણે તેમને અનુસરવાનું હોય. ત્યાં પોતાનું ડહાપણ વાપરવાનું ન હોય, પણ ગુરુને સિન્સિયર રહેવાનું હોય. જેટલા ગુરુને સિન્સિયર રહીએ એટલી આપણને શાંતિ થાય. આપણે સ્કૂલમાં ભણવા જઈએ ત્યારથી ગુરુની શરુઆત થાય છે, તે ઠેઠ અધ્યાત્મના બારા સુધી ગુરુ આપણને લઈ જાય છે. પણ બધા ગુરુઓને આત્મજ્ઞાન થયું નથી હોતું. ગુરુ પોતે જ અધ્યાત્મની શોધમાં હોય, તો તે અધ્યાત્મ પ્રાપ્ત ન કરાવી શકે. અધ્યાત્મ એટલે આત્માની સન્મુખ થવું તે.
જ્યારે બીજા પ્રકારના ગુરુ એટલે સદ્‌ગુરુ! એ આપણને પોતાના અનુયાયીઓ તરીકે ના રાખે. સદ્‌ગુરુ એટલે આપણને આ જગતના સર્વ દુઃખોથી મુક્તિ અપાવડાવે. કારણ કે એ પોતે મુક્ત થયેલા હોય! સદ્‌ગુરુ આપણને આત્માની સન્મુખ બનાવે. એટલે જે નિરંતર સત્‌માં જ રહે છે, અવિનાશી તત્ત્વમાં રહે છે એ સદ્‌ગુરુ! એટલે સદ્‌ગુરુ એ તો જ્ઞાની પુરુષ હોય. કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી કહી ગયા છે કે પ્રત્યક્ષ સદ્‌ગુરુ વિના મોક્ષ થાય જ નહીં.
જેમને આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય એ ગુરુ. બીજાને કોઈપણ પ્રકારે દુઃખ થાય તે રૌદ્રધ્યાન અને પોતાને ચિંતા કે દુઃખ થાય તે આર્તધ્યાન. પછી કોઈ સાધુ મહારાજ હોય કે ત્યાગી હોય. ગુરુને ઓળખવાની પારાશીશી એ છે કે, જે ગુરુ ધર્મધ્યાન કરાવી શકે, એનું નામ ગુરુ કહેવાય. એટલે કે, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છોડાવીને ધર્મધ્યાનમાં લાવી શકે. જે ગુરુને કોઈ અપશબ્દ બોલે, તો તેમને રૌદ્રધ્યાન ના થાય. જમવાનું ના મળ્યું હોય તો આર્તધ્યાન ના થાય એવા ગુરુ આ કાળમાં મળે તો પણ ઘણું છે! સંસારમાં જે બહુ ઊંચા ચારિત્રવાળા ગુરુ હોય એને સામાન્ય રીતે લોકો સદ્‌ગુરુ કહે છે. પણ ખરેખર એ સદ્‌ગુરુ ના કહેવાય. એમના પ્રકૃતિના ગુણો બહુ ઊંચા હોય, જેમ કે, ખાવા-પીવામાં સમતા રહે, વ્યવહારમાં સમતા હોય, વ્યવહારમાં ચારિત્રગુણ બહુ ઊંચા હોય. પણ તેમને આત્મા પ્રાપ્ત થયેલો ના હોય. માટે તે સદ્‌ગુરુ ના કહેવાય.
સદ્‌ગુરુ કષાયરહિત હોવા જોઈએ. જેમનામાં કોઈ રીતે ક્રોધ-માન-માયા-લોભરૂપી કષાય જ ઊભા ન થાય. ગમે તેવી વિપરીત પરિસ્થતિ આવે, તોય તેઓ કષાય ના કરે. જેમને કોઈ માર મારે તોય અસર ન થાય, ગાળો ભાંડે તોય અસર ન થાય, માર મારે તોય અસર ન થાય, જેલમાં નાખી દે તોય અસર ન થાય તેવા સદ્‌ગુરુ હોય. એકલું કષાયરહિત જ નહીં, પણ તેમની બુદ્ધિ ખલાસ થઈ ગઈ હોય. બુદ્ધિ દ્વંદ્વ ઊભા કરે અને સદ્‌ગુરુ દ્વંદ્વથી પર હોય. દ્વંદ્વ એટલે નફો-ખોટ, સુખ-દુઃખ, દયા-નિર્દયતા વગેરે. એક હોય ત્યારે બીજું હોય જ, એનું નામ દ્વંદ્વ! જે ગુરુ દ્વંદ્વાતીત હોય, તેને સદ્‌ગુરુ કહેવાય.
આજકાલ લોકો ગુરુને જ સદ્‌ગુરુ માની બેસે છે. બાકી સાચા સદ્‌ગુરુ મળ્યા પછી ચિંતા ન થાય. સદ્‌ગુરુ એ તો ભગવાનનું પ્રતિનિધિત્વ ધરાવતા હોય! જે મુક્ત પુરુષ હોય, તે સદ્‌ગુરુ કહેવાય. ગુરુને તો હજુ ઘણા પ્રકારને કર્મો ખપાવવાના બાકી હોય, જ્યારે સદ્‌ગુરુએ તો કર્મો ઘણાંખરાં ખપાવી દીધેલાં હોય. ટૂંકમાં, આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થતાં હોય તો એ ગુરુ અને હાથમાં રોકડો મોક્ષ આપે એ સદ્‌ગુરુ. આ જગતમાં સદ્‌ગુરુ મળવા બહુ મુશ્કેલ હોય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે, “બીજું કાંઈ શોધ મા ! માત્ર એક સત્‌પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” એટલે કે, આત્યંતિક મોક્ષ મેળવવો હોય તો કંઈ કરવાનું નથી. પણ જે પોતે છૂટ્યા છે, પોતે તર્યા છે અને અનેકોને તારવાનું જેમનામાં સામર્થ્ય છે, એવા તરણતારણ જ્ઞાની પુરુષને ખોળજો ને એમની પૂંઠે પૂંઠે નિર્ભય થઈને ચાલ્યા જજો.