સિતારે જમીન પર
- રાકેશ ઠક્કર
આમિર ખાન પરિણામની ચિંતા કર્યા વગર કશુંક અલગ કરવા માટે બોલિવૂડમાં જાણીતો રહ્યો છે એની સાબિતિ ફિલ્મ ‘તારે જમીન પર’ માં પણ આપી છે. શુક્રવારે ફિલ્મના સવારના શૉ ક્યાંય રાખવામાં આવ્યા ન હતા. એ જાણીને પણ દર્શકને થશે કે આવું કોઈ કરતું હશે? અને એની પાછળનું કારણ શું હોય શકે? એક કારણ એવું કહેવાય છે કે સવારના શૉને કારણે જલદી રિવ્યુ આવી જવાથી લોકો થિયેટર જવાનો વિચાર બદલી શકે એમ હતા. આમિરને એવી શંકા હોય શકે કે લોકો ફિલ્મ જોવા આમિરે આવશે કે નહીં? પણ આમિરે ચિંતા કરવાની જરૂર ન હતી. એટલી ખરાબ ફિલ્મ બનાવી નથી.
અસલમાં સૌથી મોટી સમસ્યા એના પર લાગેલો રિમેકનો ટેગ છે. સમીક્ષકોએ 1 સ્ટાર એમ કહીને કાપ્યો છે કે આપણે આવી વાત વિચારી ના શકીએ? રિમેક કરવાની શું જરૂર હતી? એમણે કેટલીક સારી- નરસી વાત કરીને છેલ્લે એક લીટીમાં એવો સમાન અભિપ્રાય આપ્યો છે કે જો તમે સિનેમાની પ્રશંસા કરવા માગતા હોય અને થિયેટરમાં જવાનો હેતુ માત્ર મનોરંજન ન હોય તો ફિલ્મ જરૂર ગમશે. આ સ્પોર્ટ્સ ડ્રામા નથી એટલે ‘દંગલ’ કે ‘ચક દે ઈન્ડિયા’ જેવી હોવાની આશા સાથે જોવી નહીં.
ફિલ્મમાં આમિરના સ્થાને બીજો કોઈ અભિનેતા હોત તો પણ કદાચ કોઈ ફરક પડ્યો ના હોત. કેમકે આમિર ખાનનો પડદા પર એવો વિશેષ પ્રભાવ જોવા ના મળ્યો જેવો અત્યાર સુધીની અન્ય ફિલ્મોમાં દેખાયો હતો. અલબત્ત પાત્રને પ્રામાણિકતા અને રમૂજથી એવું નિભાવ્યું છે કે દર્શકો તેની સાથે જોડાય છે. આ અપૂર્ણ પાત્રમાં તે સંપૂર્ણ દેખાય છે. ફિલ્મ ભલે ખરાબ નથી પણ એવી મહાન પણ નથી. આ વર્ષે આથી વધુ સારી ફિલ્મો આવી ચૂકી છે.
ટ્રેલર પરથી જ બધાને ખબર પડી ગઈ હતી કે સ્પેનીશ ‘ચેમ્પિયન્સ’ ની રિમેક છે. પરંતુ એનું જે રીતે આમિરે ભારતીયકરણ કર્યું છે એ માટે પ્રશંસા થઈ રહી છે. એ માનવું પડશે કે નિર્દેશક આર.એસ. પ્રસન્ના અને દિવ્યા નિધિ શર્માએ આ વાર્તાને ભારતીય રીતે રૂપાંતરિત કરી છે તેમાં ઘણો દેશી સ્વાદ ઉમેર્યો છે.
બાળકોની ભૂમિકા ભજવવા માટે ડાઉન સિન્ડ્રોમ અને ઓટીઝમથી પીડિત કલાકારોને લેવામાં આવ્યા છે. એમની પાસે અભિનય કરાવવો એ સરળ કાર્ય નહોતું. તેમને ખૂબ જ સરળતાથી રજૂ કર્યા છે. અને આમિર પોતે પડદા પર હોવા છતાં એમના પર જ ધ્યાન રહે એવી ફિલ્મ બનાવવાનું કામ એ જ કરી શકે છે. એમની સાથે કોમેડી થાય પણ કોઈને ખરાબ ના લાગે એનું ધ્યાન રાખ્યું છે.
નિર્દેશક પ્રસન્નાએ કહ્યું હતું કે ફિલ્મના બધા કલાકારોને દસ મહિના તાલીમ અપાઈ હતી. પડદા પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે. એમ કહેવામાં ખોટું નહીં હોય કે ઘણા દ્રશ્યોમાં આ બાળકો આમિર ખાન જેવા સુપરસ્ટારને પણ પાછળ છોડી દે છે. જો નિર્દેશકે ઇચ્છયું હોત તો તેઓ આ ‘સ્ટાર્સ’ ને બદલે સામાન્ય કલાકારોને લઈ શક્યા હોત. પરંતુ આ ખાસ બાળકો સાથે તેમણે માત્ર મનોરંજન જ નહીં ઉત્તમ અભિનય પણ મેળવ્યો છે. સાથે સાબિત કર્યું છે કે આ બાળકો કોઈપણ સામાન્ય અભિનેતાથી ઓછા નથી. જાણે તેઓ કહે છે કે અભિનય ફક્ત તાલીમથી નહીં હૃદયથી થાય છે.
કમર્શિયલ સિનેમાના દાયરામાં રહીને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આર્ટ ફિલ્મ બનાવવાની હિંમત માટે નિર્માતા આમિરને ભવિષ્યમાં યાદ કરવામાં આવશે. ફિલ્મ માટે એટલું ખાસ કહેવું પડશે કે એ તમને હસાવશે, રડાવશે અને તમારા દ્રષ્ટિકોણને બદલશે. એ તમને શીખવશે કે 'સામાન્ય' શું છે એવો સવાલ પોતાને પૂછો બીજાને નહીં.
પોણા ત્રણ કલાકની ફિલ્મ ઇન્ટરવલ સુધી ધીમી ચાલે છે. સ્ક્રિપ્ટ માટે આમિરની દરેક વખતે પ્રશંસા થાય છે છતાં આ ફિલ્મમાં એના પ્રેમ અને પછી લગ્ન જીવનના પ્લોટની જરૂર ન હતી એમ લાગશે. તેથી આમિરની પત્ની તરીકે જેનેલિયા ખાસ પ્રભાવિત કરી શકી નથી. ક્લાઇમેક્સ પહેલાં આમિરના માતા સાથેના દ્રશ્યો પણ બિનજરૂરી લાગે છે. ફિલ્મની નબળી બાબતોમાં એનું સંગીત છે. એની સરખામણી ‘તારે જમીન પર’ સાથે આ બાબતે ક્યારેય થઈ શકે એમ નથી.
જે લોકો વિષય આધારિત ફિલ્મો જુએ છે એમને આ પારિવારિક ફિલ્મ વધારે ગમશે. જેમને માણસ નહીં પણ 'સમસ્યા' માનવામાં આવે છે તેમના પર ફિલ્મ બનાવવાનું કામ સરળ ન હતું. આમિરે તે કામ બહુ ખંતથી કર્યું છે. આ ફિલ્મ તમારા ચહેરા પર સ્મિત લાવશે અને દૃષ્ટિકોણને બદલી નાખશે. નિર્દેશકને એ વાતની દાદ આપવી પડશે કે કોઈપણ સમયે આ પડકારજનક વિષયને મેલોડ્રામા કે ઉપદેશમાં ફેરવવાની ભૂલ કરી નથી.