ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 43
શિર્ષક:- ઢોંગી યોગી
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
અગાઉ જેમ મેં કહ્યું એમ કે આ આખુંય પુસ્તક હું જેમ છે એમ જ રજુ કરુ છું. એમાં કોઈ પણ ફેરફાર કરતી નથી. પરંતુ બે ત્રણ ભાગમાં લખાણની શરૂઆતમાં મેં મારા અભિપ્રાય આપ્યાં છે. આવો જ એક અભિપ્રાય આ ભાગમાં પણ આપીશ. પણ એ વાતની ખાતરી આપું છું કે સ્વામીજીએ લખેલ લખાણમાં કોઈ જ ફેરફાર કરતી નથી.
આપણાં સમાજમાં વિજ્ઞાનને જેટલું માનવામાં નથી આવતું એનાથી વધારે ચમત્કારોને માનવામાં આવે છે. વાસ્તવમાં જે લોકો પોતાને ચમત્કારિક સાધુ ગણાવીને વિવિધ પ્રયોગો કરો બતાવે છે એમાંના મોટા ભાગના તો વિજ્ઞાનનાં રોજબરોજમાં થતાં નાનાં નાનાં પ્રયોગો જ હોય છે. જેને જોઈને અભણ કે ઓછું ભણેલા લોકો આકર્ષાય છે અને એને ચમત્કાર ગણી આવા ઢોંગી સાધુઓને વધારે પડતાં માનપાન આપી છેતરાય છે.
આવા ઢોંગી સાધુઓને લીધે જ જે ખરેખર સિદ્ધ સાધુઓ છે કે જેમણે ખરેખર સાચી તપસ્યા કરી સિદ્ધિઓ મેળવી છે એમનાં પર પણ શંકા ઉપજી જાય છે. એક જાગૃત વ્યક્તિ તરીકે સાધુ સંતો પાસે આપણે આપણી સંસ્કૃતિ જાણવાનો તેમજ સત્સંગ માણવાનો જ ઉદ્દેશ્ય રાખવો જોઈએ. બાકી તબિયત બગડે કે અન્ય મુસીબતો આવે ત્યારે તો વિજ્ઞાન જ કામ આવે છે. ભક્તિ કરવી, શ્રદ્ધા રાખવી પરંતું અંધશ્રદ્ધાનાં ચક્કરમાં કયાર્રંય ન પડવું.
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 43. ."ઢોંગી યોગી."
મારે મારા અનુભવોનું આલેખન કરતાં કોઈની વ્યક્તિગત નિંદા ન થઈ જાય તેની કાળજી રાખવાની છે. એવા પ્રસંગોને મેં ટાળ્યા છે જ્યાં વ્યક્તિગત રાગદ્વેષના કારણે ખટપટો કે ઝઘડાઝંઝટો થયાં હોય પણ સમાજ માટે – ખાસ કરીને ભોળી ગુજરાતની પ્રજાને ભાન થાય તે માટે – એક ઢોંગી યોગીનો અનુભવ લખવાની ઇચ્છાને રોકી શકતો નથી.
આ તથાકથિત યોગીએ ગુજરાતી પ્રજાને ખૂબ મૂર્ખ બનાવેલી. અમે એક જ સાથે એક વર્ષ જેવું રહ્યા. તે પોતાના રૂમમાં પૂરાઈ રહેતા, પોતે જ પોતાની સાધનાની ભૂમિકાની વાતો કરતા, તેમની વાતો એટલે નરી આત્મશ્લાઘા અને જૂઠાણું. ‘હવે માત્ર આટલું જ બાકી રહ્યું છે. પછી હું આવો થઈશ.” તેવી વાતો ભોળા ગુજરાતીઓ પાસે કરતા. અને આ ભોળા માણસો—જેમાં શ્રીમંતો તથા શિક્ષિતો પણ હતા તેઓ – તેમની વાતોમાં વિશ્વાસ કરી લેતા.
એક વાર તેમણે ભક્તોને કહ્યું, હવે માત્ર ચાર જ દિવસમાં મારા શરીરમાંથી આપોઆપ સુગંધ આવવા માંડશે, દૂરથી જ તમને તેની પ્રતીતિ થશે. મેં જોયું કે ચોથા દિવસે પરોઢિયે વહેલા ઊઠીને તેઓ દરવાજાથી માંડીને પોતાના રૂમની દીવાલો ઉપર તથા અન્ય વસ્તુઓ ઉપર એક મોંઘા અત્તરને ચોપડી રહ્યા છે. તેમના દર્શને આવનાર ભક્તો જ્યારે તે રસ્તેથી આવતા ત્યારે અહોભાવથી ગદ્ગદ થઈ જતા. 'સાચી વાત હો કેવી દિવ્ય સુગંધ આવે છે !' તેમની વાતો સાંભળીને અમને હસવું આવતું. આવા કેટલાય યોગીઓ અત્યારે ભોળા અથવા ભોટ લોકોને ઉલ્લુ બનાવતા હશે જ.
આ તથાકથિત યોગીનું મૃત્યુ સંસારના અનેક ભયંકર રોગોથી રિબાઈ રિબાઈને થયું. છતાં અનુયાયીઓની આંખ ન જ ઊઘડી. મારું મૃત્યુ પણ કદાચ અનેક રોગોથી થઈ શકે છે, પણ મને એટલો આનંદ છે કે મેં મારી જાતને યોગી ગણાવી નથી. હું એક સામાન્ય માણસ થઈને જીવ્યો છું. દંભ કે ઢોંગ નથી કર્યો એ જ મારા માટે સૌથી વધુ મોટી મૂડી છે.
આ યોગીના સહવાસ પછી પણ અનેક લેબલધારી યોગીઓનો સહવાસ થયો, પણ મારા ઉપર તેમના જીવનની કોઈ સારી અસર ન પડી. આજે પ્રજાનાં ટોળેટોળાં ઊમટતાં હોય તોપણ હું આવા માણસોથી પ્રભાવિત થતો નથી. હું જાણું છું કે આવું કરવામાં કેટલો દંભ તથા ઢોંગ કરવો પડતો હોય છે.
આભાર
સ્નેહલ જાની