'  તમને તારાઓની બારાખડી ઉકેલતા       આવડે છે?  - તો લખો'. 
નાઘેર વિસ્તારનું એક નાનું અમથું ગામ. ગામમાં વસ્તી પ્રમાણમાં સારી, શિક્ષણનું પ્રમાણ પણ સારું એવુ હતું, સમય હતો આઝાદી પછીના વર્ષોનો એટલે કે કદાચ 1970 પછીનો.... 
ગામમાં ' શિવાલય ', 'રામજી મંદિર ', ' સ્વામિનારાયણ મંદિર' અને 'જૈન દેવાલય' ( દેરાસર ) ગામમાં પટેલ જ્ઞાતિનું વર્ચસ્વ  વધારે પડતું હતું. ગામમાં વાતાવરણ પણ ખુબ જ સારું લોકો વચ્ચે પ્રેમ અને સંપ સારો એવો સૌ કોઈ પરિવાર સમા રહે, સૌ કોઈ એકબીજાને' સારા - નરસા 'પ્રસંગે  મદદગાર થતા અને સૌનો સમય સાચવી આપતા... 
ભેદભાવ, જ્ઞાતિ - જાતિની 'ઊંચ  - નીચ ' જેવું કશું જ જોવા ન મળે અને લોકો એકબીજાના સુખ - દુઃખમાં એવા સહભાગી બનતા કે સગા સંબંધીઓની ખોટ સાલવા ન દે. ગામમાં વડીલોને પૂછી અને પછી જ કોઈ કાર્ય કરવામાં આવતું હતું... 
સરકારી અધિકારીઓની અવર - જવર રહેતી પણ લોકો સાથે તેમના સંબંધ સારા હતા. કારણ, ત્યારે લોકો સ્વભાવમાં આજના પ્રમાણમાં કંઈક અંશે સારા હતા. અને લોકો રખાવટ ધરાવતા હતા. 
ગામમાં ચારે તરફ ખુલ્લું મેદાન હતું, અત્યારે તો દરેક સ્થળે ત્યાં મકાન અને દુકાનો બની ચુક્યા છે. 
ગામના પાદરમાં 'ગાયો', 'ભેંસો 'ચરાવવા આવતા વૃદ્ધ અને યુવાન ખેડૂતો એકબીજાને મળતા અને જમીનની સારી એ સ્થિતિનો અહેવાલ રજૂ કરતા હતા.... 
આજુબાજુના વિસ્તારમાં ગામ અને ગામના લોકોની સારી એવી બોલબાલા હતી... 
ગામમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ સારી અને મજબૂત હતી. 
ત્યારના વખતની એક ઘટના યાદ આવે છે... 
ગામમાં 'વાણીયા', 'બ્રાહ્મણ ' આહીર ' વગેરે જ્ઞાતિઓ પણ વસ્તી હતી... 
તે વખતમાં રામજી મંદિર વાળી બજારમાં વાણીયા જ્ઞાતિના 8-10 ખોરડાં હતા. આમ તો તેમના મોટાભાગના ઘર સુખી હતા. પણ 'શાંતિલાલ શાહ ' ની આર્થિક પરિસ્થિતિ શબ્દોમાં વ્યક્ત કરી ન શકાય તેવી ખરાબ હતી.
શાંતિલાલે  'સફેદ ઝભ્ભો ', 'સફેદ ધોતી ' માથામાં 'સફેદ ટોપી'  ( ગાંધી ટોપી ) પહેરી હોય કપાળમાં પીળું ચંદનનું તિલક કર્યું હોય. બાહ્ય દેખાવમાં સુડોળ કાયાં પાંચ સાડા પાંચ ફૂટનું કદ ગૌર વર્ણ વાન હતો . આંખો મધ્યમ કાળી અને ચશ્મા પહેર્યા હોય. 
પાણીમાં પાનના ભારા બન્ને જ્ણ લઈ આવે અને ઘર પર ચોમાસામાં બાંધતા હતા.. અને પેંડા વેંચતા હતા. 
રાધેશ્યામ... રાધેશ્યામ... રાધેશ્યામ નામનું રટણ કર્યા કરે તેમનો રોજનો નીયમ  કે સવારે વહેલું ઉઠી જવાનુ નિત્યકર્મ પતાવી સવારે વહેલા સ્વામિનારાયણ મંદિરના મેદાનમાં ફૂલ લેવા જવાનુ, રસ્તામાં જે કોઈ મળે તેમને' રાધે શ્યામ ' કહેતા જાય. 
તેમના પત્ની જમના બહેન પણ દ્રઢ ઈશ્વર શ્રદ્ધા ધરાવે. તેઓ પણ આખો દિવસ 'રાધેશ્યામ 'ના નામનો મંત્ર બોલ્યા કરે દિવસ રાત ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાનું જીવન જીવતા હતા. 
શાંતિલાલ અને જમના બહેનને ત્રણ સંતાન હતા. 'દિપક', 'કલ્પેશ'  અને 'સુજલ ' શાંતિલાલ પોતે ચાર ચોપડી ભણેલા અને પૈસાનો અભાવ હોવાથી સરકારી નોકરી વિશે તો વિચારી શકે તેમ  પણ નહતા.  એટલે તેઓ બંને જ્ણ ખેતરમાં મજૂરી કરવા માટે જતા હતા... 
બોપોર થાય એટલે ઘરે જમવા આવે જમના બહેન રસોઈ સવારે બનાવી નાંખે અને છોકરા ટિફિન લઈ સ્કૂલે નીકળી જતા હતા.  તેમનો રોજનો એક ક્રમ કે બોપોરે જમવા બેસે તે પહેલા બજારમાં એક આંટો મારવા માટે નીકળે અને ચારે તરફ નજર કરી જોઈલે કે કોઈ સાધુ કે ભૂખ્યો માણસ છે ખરો?  જો હોય તો તે સાધુને કહે ' મહાત્મા જમશો કે?  
સાધુ હા પાડે તો તે ઘરે જઈને જમના બહેનને કહે જમના બજારમાં રામજી મંદિરના પગથિયાં પર એક સાધુ બેઠા છે... 
જમના બહેન પણ સ્વભાવના સારા ઘરમાં અનાજ પૂરતું ન હોય, છોકરાઓનું ટિફિન ભર્યા પછી બંને જ્ણ પૂરતા બે રોટલા માંડ બચ્યા હોય તેમાંથી એક રોટલો અને શાક સાધુને આપે અને બાકી બચેલા એક રોટલાના  બે ટુકડા કરી બન્ને દંપતી જમતા હતા. આ તેમનો નિત્ય ક્રમ બની ચુક્યો  હતો.  
કદી કોઈનું ખરાબ બોલવું નહીં, કોઈ ખોટી ચર્ચામાં ભાગ ન લેવો, કદી કોઈને ખલેલ પહોંચાડવી નહીં. આ ત્રણ તેમના જીવન સૂત્રો હતા. 
દિપક ભણવામાં હોશિયાર હતો. તેથી તે કોલેજ સુધી તે જમાનામાં ભણ્યો હતો. 
ઘણા વર્ષો વીત્યા પણ પરિસ્થિતિ તેવી જ હતી. મકાન ઘણા વર્ષો જૂનું હતું એટલે ખખડી ચૂક્યું હતું. તેમાં સુધારો કરાવી શકાય તેટલા પૈસા પણ પાસે શાંતિલાલ હતા નહીં.  નવું બનાવવાની વાત તો દુર જ રહી... 
છોકરા રોજ જમના બહેનને પૂછતાં હતા કે મમ્મી આપણી પરિસ્થિતિ ક્યારેય સુધરશે ખરી?  આ પ્રશ્નાર્થ દુર કરવાની શક્તિ તો જમના બહેનમાં નહતી. પણ તેઓ કહેતા કે બેટા 'રાધેશ્યામ'ને જો આપણું દુઃખ દુર કરવું હશે તો સહેજે વાર લાગશે નહીં' ....  
છોકરાઓ નિરાશ થતા ત્યારે જમના બહેન કહેતા બેટા ઈશ્વર આપણને જાજી મિલકત આપવાના છે એટલે આટલું દુઃખ દુર થવામાં આટલું મોડું થાય  છે... 
દિપક - મમ્મી એક વાત પૂછુંતને ?  
જમના બહેન  - હા બોલને બેટા.... 
દિપક - હું તારી વાત પર વિશ્વાસ કરું પણ આ જ શબ્દો કેભગવાને આપણા માટે ઘણું બધું ભેગું કર્યું છે અને તે ધીમેધીમે આપણને બધું આપશે તે ઘણો નાનો હતો ત્યારથી સાંભળું છું હું અત્યારે એટલો મોટો થયો તો પણ નથી તો આપણું ઘર બદલ્યું કે નથી આપણી પરિસ્થિતિ બદલી. 
જમના બહેન શાંત વૃત્તિના હંમેશા આફતને પણ અવસરમાં ફેરવી નાંખે તેમને સહજતાથી દિપકના માથા પર હાથ ફેરવતા કહ્યું જો બેટા તું સૌથી મોટોભાઈ છે. તું તો બધું જ જાણે છે અને સમજે છે કે  તારા પપ્પા અને હું બંને મજૂરી કરવા જઈએ તો પણ પૂરું પડતું નથી..  
જેમને  ઘરમાં બે - ટકના ભોજન માટે વસ્તુ પુરતિ ન મળતી હોય તે નવું ઘર કેમ બનાવે?  
દિપક - તો શું આપણે આપણું આખુંય જીવન આવી મજૂરી અને લાચારી વેઠીને પસાર કરવું પડશે?  
જમના બહેન - ના ના બેટા આપણું જીવન પણ જરૂર સુધરશે.. 
શાંતિલાલનો ચાર ભાઇઓનો પરિવાર હતો.  શાંતિલાલસૌથી મોટા અને તે સિવાયના ત્રણ ભાઈઓ પણ બાકી બધાની સ્થિતિ ખુબ જ સદ્ધર હતી. પણ કોઈએ ' શાંતિલાલ ' ને મદદ ન કરી.. 
પણ  કહેવાય છે ને કે ઈશ્વર કોઈનો દિવસ એક જેવો કદી રહેવા દેતો નથી... 
એક દિવસ ' શાંતિલાલ' અને 'જમના બહેન' સાંજે પોતાના ઘરે બેઠા હતા.   ત્યાં અચાનક જમના બહેનના ભાઈ 'શામજી ભાઈ'  આવ્યા.. 
શામજી ભાઈએ શાંતિલાલને જોયા અને કહ્યું 'જય જિનેન્દ્ર ' શાંતિલાલ... 
શાંતિલાલ તે તરફ જોઈ અને કહે આવો આવો શામજી શેઠ આવો.. 'જય જિનેન્દ્ર ' 
શામજી ભાઈ જમના બહેનના મોટાભાઈ અને શાંતિલાલના સાળા છે...  તેઓ અમેરિકા છે અને ત્યાં વ્યાપાર કરે છે... 
બંને એકબીજાને ભેટી પડે છે. તે જમના બહેનને કહે છે. જમના જો તો કોણ આવ્યું છે?  
જમનાબહેન  રસોડામાંથી બહાર આવે છે... તેઓ શામજીભાઈને જુએ છે.  
તેમને જોઈ જમના બહેન તો 'રાજીના રેડ ' થઈ ગયા.. 
પછી તેઓ પણ શામજીભાઈના ખબર અંતર પૂછે છે.. 
તમે એકલા આવ્યા છો કે મારા ભાભી અને છોકરાઓ પણ આવ્યા છે?  આવ્યા તો અમે બધા છીએ પણ તારી ભાભી પોતાને પિયર આંટો મારવા ગઈ છે.. 
જમનાબહેન - ઠીક છે. 
ભાઈ તમે તો હમણાં અહીં રોકશો ને?  
શામજીભાઈ - હા આજની રાત રોકાઇ જઈશ અને કાલે સવારે નીકળી જઈશ અમારે બે દિવસ પછી નીકળવાનું છે.. 
જમના બહેન - કેમ એટલા જલ્દી?  
શામજીભાઈ - આ વખતે બહુ લાંબી રાજા મળે તેમ નથી. એટલે તારી ભાભી પણ કાલે પોતાના પિયરથી નીકળી અને ઘરે આવી જશે..   
ત્યાં દિપક, કલ્પેશ અને સુજલ આવે છે. 
મામાને જોઈ તેઓ મામાને ભેટી પડે છે. 
પછી સૌ જૂની વાતો યાદ કરીને ખુશ થાય છે.
શામજીભાઈ - દિપક તું શું કરે છે બેટા?  
દિપક - મામા હું કરિયાણાની દુકાનમાં કામ કરું છું. 
શામજીભાઈ - સુજલ અને કલ્પેશ?  
દિપક - સુજલ 8 માં ધોરણમાં છે અને કલ્પેશે હમણાં 'મેટ્રિક'  પાસ કર્યું 
શામજીભાઈ - શાંતિલાલ, જમના મારે તમને એક વાત કરવી છે. 
શાંતિલાલ - હા બોલો ને ! 
શામજીભાઈ - દિપક કેટલું ભણેલો છે?  
શાંતિલાલ - તે કોલેજ સુધી ભણ્યો છે. 
શામજીભાઈ - જો તમને લોકોને કોઈ આપતી ન હોય તો હું દિપકને અમેરિકા મારી સાથે લઈ જઈ શકું?  મારી સાથે જ રાખીશ અને ત્યાં પૈસા પણ સારા મળશે... 
આ સાંભળી થોડીવાર માટે તો શાંતિલાલ અને જમનાબહેન ખુશ થઈ ગયા પણ પછી કહે કે તે માટે પૈસા જોઈએ. અમારી પાસે તો 'પેટ સીવવા ' પૂરતા પણ નાણાં નથી વિદેશ જવા માટે કેમ ખર્ચવા?  
શામજીભાઈ - તે બધું હું કરી દઈશ પણ તમે તેને મોકલો તો ખરા.. 
અંતે શાંતિલાલ અને જમનાબહેન સહમત થાય છે અને દિપક પોતાના મામા મામી સાથે અમેરિકા જાય છે.. 
થોડો વખત જાય છે... 
અને દિપક તે સમયમાં આજથી 50 ( પચાસ ) પહેલા તે સમયમાં 5000 - 10, 000 ( પાંચ - દસ હજાર રૂપિયા ) શાંતિલાલને મોકલે છે. અને એકા એક શાંતિલાલનો દસકો ફરી જાય છે.. 
એક સમયે જે માણસના ઘરમાં બે વખતના રોટલા બનાવવા અનાજ પૂરતું ન હતું. ત્યાં પૈસા અને સુખ સુવિધાઓની 'રેલમ-છેલમ ' થવા લાગી હતી. પોતાના ભાઈઓ કરતા વધુ સુખ વૈભવ શાંતિલાલના ઘરમાં હતા. શાંતિલાલની ચર્ચા આખા ગામમાં થવા લાગી.. 
પણ કહેવાય છે ને કે અમુક લોકોને બીજાનું સુખ પચતું નથી... 
એક રાત્રે  2 વાગ્યાંની આસપાસ અમુક લોકો શાંતિલાલના ઘરમાં 'ખાતર 'પાડે  છે  અને ' દાગીના ', 'પૈસા ' અને બીજું ઘણું લઈ જાય છે.. 
પછી શાંતિલાલ એ ગામ છોડી દે છે. અને રાજકોટ ચાલ્યા જાય.. 
ત્યારબાદ બધું ઠીક થઈ જાય છે. અને રાજકોટમાં તેઓ ગરીબો  સસ્તા દરે સારવાર મેળવી શકે તે માટે હોસ્પિટલ શરૂ કરે છે. અને આજે પણ તેમની હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છે. 
તેમણે ધારી ડેમ પાસે 'મુક્તેશ્વર મહાદેવ' ના નામે સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું  છે...                                            ( સત્ય ઘટના પર આધારિત) 
નોંધ - અહીં જોઈ શકાય છે કે કરેલું સત્કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી તેનું ફળ તમને નહીં તો તમારા સ્વજનોને એ જરૂર મળે છે. માટે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખવી આ પ્રસંગ એ બાબત સાબિત કરે છે કે વાસ્તવમાં ઈશ્વર છે, અલૌકિક શક્તિ છે..  માટે ધીરજ રાખવી..  
આ એપિસોડમાં પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. અને અહીં સ્થળનું નામ લખ્યું નથી આ એપિસોડ મારા ગામ વડવિયાળામાં બનેલી એક સત્ય ઘટના, પરથી લખેલો છે.
                                કથાબીજ - વશરામભાઇ ધકાણ                                                    ધકાણ હોસ્પિટલ, રાજકોટ                                                                                       શીર્ષક પંક્તિ - સુરેશ દલાલ 
                                                       લેખન - જય પંડ્યા