ધારાવાહિક:- ડાયમંડ્સ
ભાગ:- 2
રજુ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.
નમસ્તે વાચકમિત્રો.
આશા રાખું કે ધારાવાહિકની શરૂઆત ગમી હશે. આ પુસ્તક વિશે વધારે ચર્ચા કરું તો એટલું ચોક્કસપણે કહી શકું કે આ પુસ્તક જેટલી વખત વાંચશો એટલી વખત તમને કંઈક ને કંઈક નવી પ્રેરણા મળશે. મેં બે વાર વાંચ્યા બાદ હવે ફરીથી વાંચવાનું શરુ કર્યું છે. પહેલી બે વખત માત્ર વાંચ્યું. હવે હું પેન્સિલ લઈને વાંચું છું. હા, આ મારી આદત છે. વાંચતાં વાંચતાં જે મુદ્દો કે વાક્ય મને બહુ જ ગમે એ સાચવી રાખું છું. જો પુસ્તક લાયબ્રેરીમાંથી લીધું હોય તો નોટ કે ડાયરીમાં અને પુસ્તક મારું પોતાનું જ હોય તો પેન્સિલથી એમાં નોંધ રાખું છું.
ત્રણેય ભાષાનાં પુસ્તકોમાં કુલ 10 પ્રકરણો છે. આ દસ પ્રકરણો મળીને ગોવિંદકાકાની પુસ્તક લખાયું ત્યાં સુધીની જીંદગી આવરી લેવામાં આવી છે. આ તમામ પ્રકરણોનાં નામ નીચે મુજબ છે, જેની આપણે આવનાર અંકોમાં ચર્ચા કરીશું. આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલી સંક્ષિપ્ત માહિતિ તમને પુસ્તક વાંચવા પ્રેરણા આપશે.
પ્રકરણ 1 ગોવિંદે માંડી ગોઠડી
પ્રકરણ 2 વ્યાવસાયિક અને પારિવારિક જીવનનાં મંડાણ
પ્રકરણ 3 ઘડતર ને ચણતર
પ્રકરણ 4 રાજસત્તાનાં શક્તિ - સંચલનો
પ્રકરણ 5 ઊર્ધ્વગમન
પ્રકરણ 6 માનવરત્નો
પ્રકરણ 7 ઉચ્ચતર ભ્રમણકક્ષામાં
પ્રકરણ 8 મેઘધનુષી મહાનુભાવો
પ્રકરણ 9 નૂતન ભારત
પ્રકરણ 10 વિશ્વવિજયનાં પંચસૂત્રો
ત્યારબાદ ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે, જેમનાં નામો અનુક્રમે મારી જીવનતવારીખ, મારાં હ્રદયસ્થ સૂત્રો, SRK કંપનીનાં સિદ્ધાંતો છે.
દરેક પ્રકરણની શરૂઆત એક પ્રેરણાદાયક સંસ્કૃત શ્લોકથી થાય છે. આ શ્લોકો વિવિધ મહાન ગ્રંથોમાંથી લેવામાં આવેલ છે.
ગુજરાતીમાં પુસ્તકનું આમુખ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ પોતે લખેલ છે. તેમજ પ્રસ્તાવના લંડન ખાતેના હાઉસ ઑફ લોર્ડ્સનાં પ્રોફેસર લૉર્ડ ભીખુ પારેખ દ્વારા લખાયેલ છે. ઉપરાંત પ્રસ્તાવના બાદ પુસ્તક વિશે વિવિધ મહાનુભાવો તરફથી મંતવ્યો આપવામાં આવેલ છે, જેમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, મોરારિબાપુ, સ્વામી શ્રી સચ્ચિદાનંદજી સહિતના કુલ 11 મહાનુભાવોનાં મંતવ્યોનો સમાવેશ થાય છે.
પ્રકરણ 1 જે છે 'ગોવિંદે મારી ગોઠડી'માં શ્રી ગોવિંદ ધોળકિયાનાં નાનપણનાં સંસ્મરણો આવરી લેવામાં આવ્યા છે. એમનું બાળપણ, શાળાજીવન અને અન્ય બાબતો. જેની સંક્ષિપ્ત ચર્ચા હવે પછીનાં અંકમાં કરીશ.
પ્રકરણ 2 વ્યાવસાયિક અને પારિવારિક જીવનનાં મંડાણ છે, જેમાં કેવી રીતે એક સામાન્ય સ્થિતિમાંથી ગામ છોડીને સુરત શહેરમાં આવી શ્રી ગોવિંદ ધોળકિયા એક ડાયમંડ ફેક્ટરી સ્થાપે છે અને સફ્ળ બિઝનેસમેન બને છે. ઉપરાંત એ પણ બાબત જણાવી છે કે કેવી રીતે એમણે સંસારમાં પગરણ માંડ્યા અને કેવી પરિસ્થિતિમાં ગૃહસ્થ જીવનની શરૂઆત કરી.
પ્રકરણ 3 ઘડતર અને ચણતરમાં ચર્ચા કરવામાં આવી છે એ બાબતોની કે જેમાં કેવી રીતે એમણે ડાયમંડ બિઝનેસમાં આવતાં ઉતાર ચડાવ અને સફળતા તરફનાં પ્રયાસો હાથ ધર્યા. ઉપરાંત એમની સાથે બનેલી કેટલીક અસાધારણ ઘટનાઓનું વર્ણન કર્યું છે.
પ્રકરણ 4 રાજસત્તાનાં શક્તિ સંચલનોમાં એમની વિવિધ દેશોનાં નેતાઓ તેમજ ભારતનાં અને સુરતનાં રાજકારણ સાથે જોડાયેલા લોકો તેમજ પદાધિકારીઓ સાથેની મુલાકાત વિશેની ચર્ચા કરવામાં આવી છે.
પ્રકરણ 5 ઊર્ધ્વગમનમાં 25 વર્ષથી સાથે રહેલ ત્રણેય ભાગીદારો પ્રેમપૂર્વક એકબીજાને સહકાર આપવાનાં વચન સાથે જુદા પડ્યાં અને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરુ કર્યો એની ચર્ચા કરી છે.
પ્રકરણ 6 માનવરત્નોમાં 'સંતોકબા એવૉર્ડ' માટે એમણે સંકલ્પ લીધો એ બાબત તેમજ એમનાં જીવનમાં એઓ જેમને મળ્યા એવા કેટલાંક ખાસ વ્યક્તિઓ સાથેની મુલાકાતની ચર્ચા કરી છે.
પ્રકરણ 7 ઉચ્ચતર ભ્રમણકક્ષા કે જેમાં એમનાં પારિવારિક અને વ્યાવસાયિક જીવનનાં કેટલાંક મહત્ત્વનાં સુખદ પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પ્રકરણ 8 મેઘધનુષી માનવરત્નોમાં એમની પસંદગી કમિટી દ્વારા સંતોકબા એવૉર્ડ માટે કેવી રીતે અને કોની કોની પસંદગી કરી તેમજ આ પુસ્તક છપાયું ત્યાં સુધીમાં કોને કોને આ એવૉર્ડ અપાયો એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
પ્રકરણ 9 નૂતનભારતમાં એમણે ભૂતકાળમાં જેમને આર્થિક કે અન્ય કોઈ સહાય કરી હતી એ વ્યક્તિઓ એમનો આભાર માનવા ફરીથી એમની સમક્ષ હાજર થયાં ત્યારે એમની વર્તમાન સ્થિતિ અંગેની ચર્ચા છે.
પ્રકરણ 10 અને અંતિમ પ્રકરણ એટલે વિશ્વવિજયના પંચસૂત્રો. ગોવિંદકાકાના સમસ્ત જીવનનાં નિચોડરૂપ અત્યંત પ્રેરણાદાયી પ્રકરણ. આમાંથી ઘણું બધું શીખવા મળશે. જીવન જીવવાની સાચી કળા આ પ્રકરણમાં મળેલ પાંચ સૂત્રો થકી જાણી શકાશે.
આ તમામ પ્રકરણો વિશેની થોડી માહિતિ હું આવનાર અંકોમાં આપીશ, જેથી તમે વધુ સારી રીતે નક્કી કરી શકો કે ખરેખર આ પુસ્તક એક વાર તો વાંચવું જ જોઈએ.
આભાર.
સ્નેહલ જાની