Swayamne Kevi Rite Olakhvu in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | સ્વયંને કેવી રીતે ઓળખવું?

Featured Books
Categories
Share

સ્વયંને કેવી રીતે ઓળખવું?

ખુદની સાચી ઓળખ કઈ? ધારો કે, તમારું નામ “ચંદુલાલ વકીલ” છે. હવે તમને કોઈ પૂછે કે “તમે કોણ?” તો તમે કહેશો, “હું ચંદુ.” પણ ખરેખર તમે ચંદુ કે તમારું નામ ચંદુ? નામ એ તો આ શરીરને ઓળખવા માટે આપેલું સાધન છે. જેમ કોઈ દુકાનને ઓળખવા માટે તેના ઉપર પાટિયું મારેલું હોય કે ‘જનરલ ટ્રેડર્સ’, હવે આપણે એ દુકાનના માલિકને કહીએ કે “એય જનરલ ટ્રેડર્સ! અહીં આવ!” તો એ કહેશે કે “મારું નામ તો જયંતિલાલ છે, જનરલ ટ્રેડર્સ તો મારી દુકાનનું નામ છે.” તેવી જ રીતે ‘ચંદુલાલ’ એ શરીરને ઓળખવાનું પાટિયું છે. આપણે નામ નથી, પણ નામના માલિક છીએ.
જેમ હાથમાં ઘડિયાળ પહેરી હોય તો “મારી ઘડિયાળ” કહીએ છીએ. આંખ ઉપર ચશ્મા પહેર્યાં હોય તો આપણે “મારા ચશ્મા” કહીએ છીએ. એટલે ઘડિયાળ કે ચશ્મા આપણાથી જુદા છે. તેમ “મારું નામ” કહીએ એટલે નામ અને આપણે જુદા છીએ. “મારું માથું, મારું શરીર, મારા પગ, મારા કાન, મારી આંખો” એવું કહીએ છીએ. તો પછી “મારું” કહેનાર આપણે પોતે કોણ? માય નેમ ઈઝ ચંદુભાઈ” બોલીએ અને પછી કહીએ કે “હું ચંદુભાઈ છું”, તો આમાં કંઈ વિરોધાભાસ નથી લાગતો?
આપણે જન્મીએ ત્યારથી આપણને એક નામ આપવામાં આવે છે. પણ કોર્ટમાં જઈને એ નામ બદલી પણ શકાય છે. વિદેશમાં જઈને વસેલા લોકો પણ નામ બદલી નાખે છે, જેમ કે, ‘મહેશ’નું ‘મેક્સ’ કરી નાખે. ભારત જેવા દેશોમાં તો પરણ્યા પછી પત્નીનું નામ પણ બદલાઈ જાય છે. અરે, પતિને નામ ન ગમે તો ચંપાનું ચાંદની પણ કરી નાખે. તો જે બદલી શકાય તે આપણે કઈ રીતે હોઈ શકીએ?
આપણને રોંગ બિલીફ બેસી જાય છે કે “હું જ ચંદુ છું.” અને તમામ પ્રકારના દુઃખો પણ એ માન્યતાને કારણે ઊભા છે. જેમ કે, કોઈ બે વ્યક્તિ વાતો કરતી હોય કે “ચંદુભાઈ તો નાલાયક માણસ છે, બહુ ખરાબ છે.” અને પોતાને સાંભળવામાં આવે, તો અંદર ઊંચુંનીચું થઈ જાય, કે “મારા માટે આવી વાતો કરે છે?” પણ પછી વાતવાતમાં ખ્યાલ આવે કે, આ તો ચંદુલાલ વકીલની નહીં પણ બાજુની સોસાયટીમાં રહેતા ચંદુભાઈ મહેતાની વાત થાય છે તો બીજી જ સેકન્ડે બધો ભોગવટો ગાયબ! એટલે પોતાની સાચી ઓળખાણ થાય તો બધા દુઃખો ટળી જાય. પોતે ખરેખર કોણ છે એને ઓળખવાનું છે.
આપણે આ શરીરને જ હું છું માનીએ છીએ. એટલું જ નહીં, હું આનો પતિ છું, આનો પિતા છું, આમનો જમાઈ છું, આમનો પુત્ર છું એવી કંઈ કેટલીય ભ્રાંત માન્યતાઓમાં ફસાયા છીએ. પણ આ શરીર કાયમનું થોડું રહે છે? આ શરીરના માલિક જે આપણે છીએ, તે શાશ્વત છે. એ આત્મા સ્વરૂપ આપણે પોતે છીએ. જ્યાં આ દેહ જ આપણે નથી તો પછી આ દેહના સંબંધોની ક્યાં વાત કરવી?
“હું” અને “મારું” ને જુદા પાડીએ તો “હું કોણ છું” તે રીયલાઈઝ (આત્મસાક્ષાત્કાર) થાય. આત્મસાક્ષાત્કાર કોણ કરાવી શકે? ધારો કે, કોઈ મનુષ્યના હાથ-પગ દોરડાંથી બંધાયેલા હોય તો તેને કોઈ છૂટેલો હોય તે જ છોડાવી શકે. તેવી જ રીતે, આત્મસાક્ષાત્કાર એવા મુક્ત પુરુષ કરાવી શકે જેમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે અને અન્યને પણ તે પ્રાપ્ત કરાવવા સમર્થ છે. એવા અનુભવી જ્ઞાની એટલે જ જ્ઞાની પુરુષ. ખરેખર શાશ્વત સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે, આત્મસાક્ષાત્કાર થાય તો સનાતન સુખ પ્રાપ્ત થાય. પછી સંસારમાં આધિ, વ્યાધિ, ઉપાધિની વચ્ચે પણ મોક્ષની સમાધિ વર્તાય. તેને જ મોક્ષ કહ્યો. મોક્ષ બે સ્ટેજે હોય છે. પહેલો મોક્ષ એટલે સંસારી દુઃખનો અભાવ વર્તે. દુઃખ અડે નહીં, અને પછી આ દેહ છૂટે ત્યારે આત્યંતિક મોક્ષ છે.
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે, “બીજું કંઈ શોધ મા! માત્ર એક સત્‌પુરુષને શોધી તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા, પછી મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.” એવી એમણે ગેરંટી આપી છે. મોક્ષમાર્ગમાં તપ-ત્યાગ કશું કરવાનું હોય નહીં. માત્ર જો જ્ઞાની પુરુષ મળે તો મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઈ જાય. જ્ઞાની પુરુષ “હું” અને “મારું” છુટું પાડી આપે પછી પોતાને “હું આત્મા છું” એવો અનુભવ થયા કરે. સાથે, જ્ઞાની પુરુષ આપણને દિવ્યચક્ષુ પણ આપે જેનાથી “આત્મવત્ સર્વ ભૂતેષુ” અર્થાત્ બધામાં જ આત્મા દેખાય. પછી જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ.
આ કાળમાં પરમ પૂજ્ય દાદા ભગવાન એવા અજોડ જ્ઞાની પુરુષ થઈ ગયા, જેમની ભવોભવની ભાવના હતી કે કેમ કરીને આખું જગત સુખ-શાંતિને પામે અને મોક્ષનું જ્ઞાન પામે. એ ભાવનાના ફળરૂપે ૧૯૫૭માં તેમને સુરતના ધમધમતા ટ્રેન સ્ટેશને આત્મજ્ઞાન લાધ્યું, આખા બ્રહ્માંડના સર્વે રહસ્યોના ફોડ પડ્યા અને તપ-ત્યાગ વિના ગૃહસ્થી અને સ્ત્રીઓ પણ મોક્ષના હક્કદાર થઈ શકે તેવું અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું! જે જ્ઞાન શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું હતું, જેનાથી ભીષણ યુદ્ધ ખેલવા છતાં અર્જુન તે જ ભવે મોક્ષે ગયા, તેવું જ આત્મજ્ઞાન પરમ પૂજ્ય દાદાશ્રી બે કલાકમાં આપણને પ્રાપ્ત કરાવે છે. પરમ પૂજ્ય દાદાશ્રી પછી પૂજ્ય નીરુમા અને હવે પૂજ્યશ્રી દીપકભાઈ થકી દેશ-વિદેશના લાખો લોકો આત્મસાક્ષાત્કાર પામ્યા છે અને સંસારમાં રહેવા છતાં દુઃખોથી મુક્તિ અનુભવે છે.