Mara Anubhavo - 39 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 39

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 39

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 39

શિર્ષક:- સદગુરુની ઝાંખી થઈ

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની





🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 39."સદૃગુરુની ઝાંખી થઈ"




હજી આપણે હરદ્વારના કુંભમાં જ રહેવાનું છે. થોડી ચર્ચા બાકી છે.



સંન્યાસપદ્ધતિ તથા આચારમાં આજ એટલું મોટું પરિવર્તન આવેલું છે કે મૂળ શાસ્ત્રો સાથે તેનો કશો જ મેળ રહ્યો નથી. પૂર્વે કહ્યું તેમ, પંચોતેર વર્ષ પછીના વૃદ્ધો માટે આ આત્મકલ્યાણલક્ષી જીવનવ્યવસ્થા હતી. જોકે આશ્રમવ્યવસ્થા ક્યારેય પણ ફરજિયાત કરી શકાઈ નથી. પ્રત્યેકને પંચોતેર વર્ષ પછી સંન્યાસ લેવો જ પડે તેવી ચુસ્ત વિધિઓનું પાલન થયું નથી. સંન્યાસાશ્રમની માફક વાનપ્રાસ્થાશ્રમ વિષે પણ આવી કડક વ્યવસ્થા થઈ શકી નથી. પચાસ વર્ષ વટાવ્યા પછી તરત જ વાનપ્રાસ્થાશ્રમી થવું જોઈએ. તેવું બોલનાર ભલે બોલે. પણ આવા વાનપ્રાસ્થીઓ થતા જ રહ્યા છે, તેવું પ્રમાણ મળતું નથી.



આવું જ બ્રહ્મચર્યાશ્રમનું પણ છે. ગુરુકુળમાં મુખ્યતઃ બ્રહ્મવર્ગ ભણતો, તે પણ બધો નહિ, બહુ થોડો. એટલે જે વર્ગ ભણતો નહિ તેને ચોવીસ વર્ષનું બ્રહ્મચર્ય પાળવાનું અનિવાર્ય ન હતું. ક્ષત્રિય-વૈશ્યોને આશ્રમવ્યવસ્થાના શરૂઆતના દિવસોમાં થોડો પ્રવેશ મળતો, પણ સમય વીતતો ગયો તેમ તેમ તેમનો પ્રવેશ ઘટતો ગયો. તે લગભગ નહિવત્ થઈ ગયો. એટલે તેમનામાં પણ ચોવીસ વર્ષના બ્રહ્મચર્યાશ્રમની અચૂક વ્યવસ્થા હતી તેવું કહી શકાય નહિ. બિચારા શૂદ્રો માટે તો આ વ્યવસ્થા હતી જ નહિ. તેમને ભણવાનું જ ન હતું. એટલે એમ કહી શકાય કે આશ્રમવ્યવસ્થા, કાગળ ઉપરની આદર્શ વ્યવસ્થા હતી. જીવનમાં તેને ઢાળનારો અત્યલ્પ હતો.



પંચોતેર વર્ષ પછી સંન્યાસ લેવાની વ્યવસ્થા પણ અર્થહીન લાગે છે. પંચોતેર વર્ષનો વૃદ્ધ, જર્જર શરીર, રોગિષ્ઠ શરીર, અનેક પ્રકારનાં પથ્યોની જરૂરિયાતવાળું શરીર લઈને ગામ બહાર કોઈ વૃક્ષ નીચે રહે, ગામમાંથી ધુમાડો બંધ થયા પછી ભિક્ષા લેવા જાય. પાંચ ઘરની ભિક્ષા લાવી, પાણીમાં ઝબકોળી નિશ્ચિત ગ્રાસ ભિક્ષાના ખાય. બસ, પછી કાંઈ જ ન ખાય. કોઈનો સંગ ન કરે. કોઈ ગામમાં ત્રણ દિવસથી વધુ રોકાય નહિ. કશી વસ્તુનો સંગ્રહ ન કરે. લક્ષ્મીનો સ્પર્શ (ધાતુમાત્રનો સ્પર્શ ન કરે; ત્યારે લક્ષ્મી ધાતુમાંથી બનતી એટલે) ન કરે, પૂર્વાશ્રમી સાથે સંબંધ ન રાખે વગેરે વગેરે કડક નિયમોનું પાલન કરે અને જીવનના શેષ દિવસો પૂરા કરે. આવી વ્યવસ્થાપંચોતેર વર્ષના વૃદ્ધ માટે કરવી તે કલ્યાણકારી નથી લાગતી. જે વૃદ્ધાવસ્થામાં સ્વજનોની હૂંફ તથા સેવાની વધુમાં વધુ જરૂર હોય તે જ સમયે તેને એકાકી લાચાર બનાવી કઠોર નિયમોવાળું જીવન જીવવા પ્રેરિત કરવો તે ઠીક નથી લાગતું. નિયમો પળાવા માટે રચાતા હોય છે, પાળવા માટે ભાગ્યે જ રચાયા હોય છે.



દુનિયાના મોટા મોટા ધર્માચાર્યોનાં જીવનચરિત્રો જોજો. જે કડક નિયમો તેમણે રચ્યા છે તેનું પાલન તેમણે પોતે લગભગ નથી કર્યું. કડક નિયમો બનાવવા અને લોકો ઉપર લાદી દેવા એ કઠિન કામ નથી. પણ હળવા નિયમોને પણ જીવનમાં પાળી બતાવવા તે જ કઠિન કામ છે. નિયમ બનાવનાર અને પાળનાર બન્ને જ્યારે અલગ અલગ વર્ગ હોય છે ત્યારે નિયમોમાં વ્યાવહારિકતા ઘટી જાય છે. પંચોતેર વર્ષના વૃદ્ધને આવી કઠોર અને અગવડોભરી જિંદગી જીવવા માટે સંન્યાસના નામે પ્રેરિત કરવો તેના કરતાં ઉત્તમ વૃદ્ધાશ્રમમાં, પથ્યાનુસાર ભોજન, સેવા, શુશ્રૂષા, ઔષધ, આત્મીયતા તથા સત્સંગ ભજનવાળી  વ્યવસ્થા કરી આપવી તે ઉત્તમ વ્યવસ્થા કહેવાય. મોક્ષના નામે કષ્ટ અને અગવડોમાં જીવનને અટવાવ્યા કરવાની પદ્ધતિઓ પહેલાં પણ હતી અને આજે પણ છે. એક પ્રકારની લાચારીમાં પોતાને બેસાડી દેવાનું નામ મોક્ષસાધના ન કહેવાય.



આજે ઘણી વાર અત્રતત્ર સંન્યાસનિયમવાળાં પુસ્તકોમાંથી પ્રચલિત સંન્યાસની તુલના કરવા પ્રયત્ન થાય છે, ત્યારે કશો જ મેળ મળતો નથી; કારણ કે આવો સંન્યાસ ભૂતકાળમાં હશે તોપણ અત્યલ્પ સંખ્યામાં જ હશે. પંચતંત્ર' જેવા પ્રાચીન ગ્રંથમાં પણ સંન્યાસીની કથા મઠ અને સંપત્તિ સાથે આવેલી છે. એવું લાગે છે કે બૌદ્ધ તથા જૈન ધર્મ પરિવ્રજ્ય ઉપર અતિશય ભાર મૂક્યો, તેથી સાધુઓનું પ્રમાણ વધ્યું. વધી ગયેલા સાધુઓએ નિવૃત્તિમાર્ગ અને મોક્ષનો જ પ્રચાર કર્યો. મોક્ષ માટે નિવૃત્તિ જરૂરી અને નિવૃત્તિ માટે સંસારત્યાગ  જરૂરી. સંસારત્યાગ કરાવવા સંસારની વ્યર્થતા, અનર્થના અને અનિષ્ટતા બતાવવી જરૂરી થઈ જાય.



આ રીતે સામાન્ય રીતે સાધુવર્ગ સમાજના પ્રશ્નો, વ્યક્તિના પ્રશ્નો તથા રાષ્ટ્રના પ્રશ્નોમાં રસ લેવા કરતાં મોક્ષના પ્રશ્નોમાં જ વધુ રસ લેતો થયો. યુવાનોને સાધુ-દીક્ષા આપી આત્મકલ્યાણને માર્ગે વાળવા કરતાં એ યુવાનોને સૈનિક દીક્ષા આપી-અપાવી, રાષ્ટ્રરક્ષાના કાર્યમાં વાળ્યા હોત તો આ દેશને કદાચ ગુલામ થવું પડ્યું ન હોત, જે દેશનું યૌવનધન નિવૃત્તિના નામે અકર્મણ્યતા સ્વીકારતું હોય, મોક્ષના નામે માત્ર સ્વલક્ષી-સ્વાર્થી જીવન જીવાતું હોય તે દેશનું ભલું કેમ થાય ? મારા આ વિચારો તે સમયના નહિ પણ આજના છે. આટલા અનુભવોના છે. તે સમયે તો હું પણ મોક્ષ માટે તલપાપડ હતો.



મૂળ વાત પર આવીએ. આશ્રમવ્યવસ્થા પ્રમાણેનો સંન્યાસ બહુ સળફ થયો લાગતો નથી, એટલે બૌદ્ધકાળમાં મઠ-વિહાર-પદ્ધતિના સંન્યાસને વધુ પ્રશ્રય મળ્યો. મોટા વિહારો કે મઠોમાં સેંકડો સાધુઓ રહે. સૌને ભોજનવસ્ત્રાદિ તથા આવાસ મળે. અધ્યનન કરવા ઇચ્છનારને અધ્યયનની સગવડ મળે.



ધર્મ પ્રચાર માટે કાર્યકર્તા તૈયાર થાય, વગેરે વગેરે વ્યાવહારિકતા અને વાસ્તવિકતાને સાથે રાખીને થયેલી આ વ્યવસ્થા વધુ સફળ રહી. મઠ-આશ્રમ કે વિહાર હોય એટલે એનું સંચાલન કરવાની તથા આર્થિક જવાબદારીઓ પણ હોય. રાજા - મહારાજાઓ તથા શેઠશ્રીમંતોએ આપેલી જમીન-જાગીરો વગેરે દ્વારા નિભાવ થતો હોય. કોઈ સુયોગ્ય સાધુ મહન્ત થાય, ઉત્તરાધિકારીની પદ્ધતિ વિકસી અને આ રીતે મઠ-આશ્રમ વગેરેનું સંચાલન થાય.



પ્રાચીનકાળથી આ દેશની પ્રજા ધર્મ તરફ ખૂબ જ વળેલી છે, એટલે ધાર્મિક હેતુઓ માટે સંપત્તિનો ઢગલો બહુ સરળતાથી કરી શકાય છે. પ્રજામાં હજી સમાજ તથા રાષ્ટ્રલક્ષિતાનો જોઈએ તેવો વિકાસ થયો નથી. ન થવામાં નિવૃત્તિમાર્ગી ધર્મગુરુઓનો પ્રભાવ મુખ્ય કારણ છે. હજી પણ સમાજ તથા રાષ્ટ્રને સાંસારિક પ્રપંચ સમજનારા ગુરુઓની મોટી સંખ્યા છે.



હું સ્વયં એવા જ પ્રભાવમાં હતો. મઠો, આશ્રમો, મંદિરો વગેરેમાં હું ઊતરતો રહેતો, જમતો, પણ અંદરથી આ બધાંને ધિક્કારતો, કારણ કે મારા મસ્તિષ્કમાં ઊંડે સુધી વાત બેઠી હતી કે કાંચનકામિનીના ત્યાગી જ કલ્યાણનો ભાગી થઈ શકે તથા કલ્યાણ કરાવી શકે. મને મોટા મોટા મઠાધિપતિઓ પ્રત્યે સૂગ હતી. જોકે તેમાં કેટલાંક સાચાં કારણો પણ હતાં. પણ માનવસ્વભાવની દુર્બળતા ઊંચામાં ઊંચા માણસની સાથે પણ જડાયેલી રહેતી હોય છે, તેવી સમજણ ત્યારે મારામાં ન હતી.



કુંભમેળામાં હું જે સ્થળે રહ્યો હતો તેનું નામ શ્રીકૃષ્ણનિવાસ આશ્રમ હતું. માનવીય સ્વભાવની દુર્બળતાઓ હોવા છતાં આશ્રમના અધ્યક્ષમાં કેટલાક ઉત્તમ સદ્ગુણો પણ હતા, એ મેં આગળ જણાવ્યું છે. અમારા સૌ સાધુઓનો ભાર તેઓ વહન કરતા હોવા છતાં, પૂર્વગ્રહના કારણે મને એમ જ થયા કરતું કે આ મઠાધિપતિ છે. સંસારના રગડામાં પડ્યા છે. હું કોઈ કાંચનકામિનીના ત્યાગીની શોધમાં હતો.



અંતે મારી ઇચ્છા પૂરી થઈ. એ જ આશ્રમમાં પંજાબથી આવેલા એક સંત ઊતર્યા હતા. જાડી ખાદીનાં કપડાં પહેરે, લક્ષ્મીનો સ્પર્શ ન કરે. કોઈની સાથે વગર જોઈતી વાત ન કરે. ગૌર વર્ણ, ઊંચો અને હૃષ્ટપુષ્ટ દેહ, જ્યાં ઊભો હોય ત્યાં એક પ્રભાવપુંજ પ્રગટ થઈ જાય. સૌ તેમની મર્યાદા રાખે. ખુદ અધ્યક્ષ પણ તેમને માન આપે. ફક્કડ, અક્કડ, અને નિર્ભય છતાં વ્યવહારકુશળ વ્યક્તિત્વ. મારું મન ઠર્યું. લગભગ બે મહિના સુધી મેં તેમની ઝીણી ઝીણી ક્રિયાઓનું અવલોકન કર્યું. બસ મને થયું કે આ જ મારા ગુરુ છે. હું જેને શોધી રહ્યો છું તે આ જ છે. મનના કાંઈ પણ ભાવ જણાવ્યા વિના હું તેમની પાસે વધુ ને વધુ બેસતો, તેમની વાતો સાંભળતો અને નિશ્ચય દૃઢ કરતો.



કુંભમેળો પૂરો થતાં જ તેઓ પણ પંજાબમાં આવેલા ફીરોજપુર શહેરમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓનો નાનો સરખો આશ્રમ હતો.



તેમના ગયા પછી હું વિચારતો રહ્યો કે હવે કઈ રીતે આગળ વધવું ? પ્રયાગરાજના કુંભમાં પેલા કાશ્મીરી પંડિતના કહેવાથી મેં બ્રહ્મચર્યની દીક્ષા લીધી હતી, જેનો કડવો અનુભવ થયો જ હતો. તેવો ફરી ન થાય તેની ચિંતા હતી. વિચારમાં ને વિચારમાં કેટલાક મહિનાઓ વીતી ગયા.



આભાર

સ્નેહલ જાની