Bhagvat Rahasaya - 191 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 191

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 191

ભાગવત રહસ્ય-૧૯૧

 

અંબરીશ શબ્દનો જરા વિચાર કરો-અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે.જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ.

જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે,

જયારે ભક્તિમાર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે.

 

ભક્ત ઈન્દ્રિયોને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે,ઈંદ્રિયોને પરમાત્મા સાથે પરણાવે છે.

ભગવાન ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી છે.

અંબરીશ રાજા મહાન ભક્ત હતા.મર્યાદા ભક્તિના આચાર્ય –રાજા અંબરીશ છે.

તેઓ પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે.તેમનું મન ભગવાનના ચરણ કમળમાં,વાણી ભગવદગુણોનું વર્ણન કરવામાં,હાથ હરિમંદિરને સાફ કરવામાં,પગ ભગવાનના મંદિર-ક્ષેત્ર વગેરેની પગપાળા યાત્રા કરવામાં,

કાન ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં,બંને આંખો મુકુન્દ ભગવાનની મૂર્તિના દર્શન કરવામાં,

અને મસ્તકથી તે ભગવાન શ્રીકૃષ્ણને વંદન કર્યા કરતા હતા.

 

ભગવદસેવામાં શરીરને ઘસાવે છે, તેનું દેહનું અભિમાન (દેહાભિમાન) ઓછું થાય છે.

ભક્તિમાર્ગમાં ધન મુખ્ય નથી,તન મુખ્ય નથી પણ મન મુખ્ય છે.

તેથી અંબરીશ મહારાજ પ્રથમ કહે છે-કે-મારું મન સદા શ્રીકૃષ્ણના ચરણયુગલોમાં રહો.

કારુણ્યભાવ રાખી, હે પરમાત્મા મારું રક્ષણ કરો.

 

પરમાત્માની સેવામાં “મન” મુખ્ય છે.સેવાનો અર્થ છે,સેવ્ય (જેની સેવા કરવાની છે તે) –

શ્રીકૃષ્ણમાં મનને પરોવી રાખવું. સેવાનો સંબંધ મન સાથે છે.

શરીરથી જે ક્રિયા (સેવા) થાય તેમાં મનનો સહકાર ન મળે તો તે ક્રિયા (સેવા) વ્યર્થ છે.

 

અંબરીશની સેવા નો ક્રમ બતાવ્યો છે.સેવાની શરૂઆત મનથી થાય છે.મન સૂક્ષ્મ છે,

તે એકી સાથે જગત અને ઈશ્વર –બંને સાથે સંબંધ કરી શકે નહિ.

મનને મનાવવું પડે છે, અને મનને જાતે મનાવો તો જ તે માને છે,

બીજો કોઈ ઉપદેશ કરે તો મન પર –તેની કોઈ અસર થતી નથી.

 

અંબરીશ રાજાના ઇષ્ટદેવ દ્વારકાનાથ છે.પોતે રાજા હતા છતાં ઠાકોરજીની સેવા જાતે કરે છે, ઘરમાં અનેક નોકરો છે,પણ રાજા માને છે-કે ઠાકોરજીનો હું દાસ છું,તેમની સેવા મારે જાતે જ કરવી જોઈએ.

સેવામાં દાસ્યભાવ મુખ્ય છે.

જે ભોજન કરે તેનું જ પેટ ભરાય છે,તેમ જે ભજન કરે છે,જે સેવા કરે છે-તેને જ ફળ મળે છે.

 

ચાર વસ્તુમાં બદલી ચાલતી નથી,ભોજનમાં બદલી નહિ ચાલે,મરણમાં બદલી નહિ ચાલે,પરણવામાં બદલી નહિ ચાલે-તેમ જ ઠાકોરજીની સેવામાં બદલી ચાલતી નથી.

ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે-કે-રાજા અંબરીશ-ઠાકોરજીના મંદિરમાં જાતે બુહારી (સાફસુફી) ની સેવા કરે છે.

રાજા અંબરીશ, મંદિરમાં ભગવાનના દર્શન કરવા ઉઘાડા પગે -ચાલતા જાય છે.

 

અંબરીશ સદા ભગવાનના સેવા સ્મરણમાં લીન રહે છે, તેથી ભગવાનને ચિંતા થઇ,કે-

તેના રાજ્યનું રક્ષણ કોણ કરશે ? ભક્તની ચિંતા હંમેશા ભગવાનને રહે છે.

ભગવાને સુદર્શન ચક્રને અંબરીશના રાજ્યની રક્ષા કરવા મોકલી આપ્યું.

 

એકવાર અંબરીશ રાજાએ ,ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવા માટે –

એક વર્ષ સુધી નિર્જળા એકાદશીનું વ્રત કરવાનો નિયમ ગ્રહણ કર્યો.

પુરાણોમાં એકાદશીના વ્રતના બહુ વખાણ કર્યા છે.

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -  -  - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - -- -- - ------ -- -- --  -- - --- -- --  - -- - -  -