સ્પર્શને શબ્દોમાં વર્ણવી જ ન શકાય. એની તો માત્રને માત્ર અનુભૂતિ જ થાય. સ્પર્શની મૃદુતા, રુજુતા માણ્યાથી જ અનુભવી શકાય. કલ્પના કે વર્ણન સાંભળીને તો એનો આભાસ માત્ર ઊભો થાય છે. હકીકતે જ્યારે મનગમતો સ્પર્શ મળે ત્યારે મનને એક અદ્ભૂત સુખની અનુભૂતિ થાય, શરીરમાંથી વિજળી પસાર થઈ હોય એવું લાગે.મનમાં રોમાંચ સર્જાય. એ સ્પર્શ શરીરને અડીને જ હોઈ શકે એ જરૂરી નથી. આંખમાં આંખ પરોવાય ને અલૌકિક સ્પર્શ અનુભવાય. ક્યારેક મધમીઠાં શબ્દો ઉચ્ચારાય ને મમતાળુ સ્પર્શની અનુભૂતિ થાય. હૈયે હૈયું ભીંસાય ને પ્રેમાળ સ્પર્શની ઝાંખી થાય. બાળક અને મા બંને આ સ્પર્શની સંવેદનાનો આહલાદ જીંદગીભર માણતા હોય છે.
લાખો વેદનાઓ મનને ઘેરી વળી હોય ત્યારે જરા સરખો મનગમતો સ્પર્શ મળે એટલે મન બધી વેદના ભૂલીને ખીલી ઊઠે. ફૂલોને ઝાકળનો સ્પર્શ મળતાં જ ખીલી હસી ઊઠે છે. સૂર્યના બાળ કિરણોનો કોમળ સ્પર્શ મળતાં જ પ્રકૃતિમાં જાણે જીવનસંચાર થાય છે. આ છે સ્પર્શની સંવેદના. પણ શરત એ કે સ્પર્શ મનગમતો હોય, એક થપ્પડ પણ સ્પર્શ છે પણ એ અનુભૂતિ કેવી હોય એ કહેવાની જરૂર ખરી???
એટલે જ મૃદુ સ્પર્શ હર એક વ્યક્તિ તો શું સમગ્ર પ્રકૃતિ પણ ઝંખતી હોય છે.
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'