મનમેળાપ
મનના ગુલાબી સપનાને સાકાર કરવા કે લાગણીને વ્યક્ત કરવા બાહ્ય જગતની જરૂર પડે ખરી!
જગતની અંદર રહેલી સુંદરતાને આપણે ખરાં અર્થમાં માણી શકતાં નથી . આજકાલ તો આપણે એકબીજામાંથી ક્યાં નવરાં પડીએ છીએ તે જાતને જાણીએ મતલબ કે બીજાની ઈર્ષ્યા કરતાં કરતાં આપણે આપણી સુખદપળો ને ખોઈ બેઠા છીએ .
ઘણીવારએવું પણ બનતું હોય છે કે ઈશ્વર આગળ વધવા માટે ઈશારો કરતાં હોય યુટર્ન બતાવતાં હોય પરંતુ પાછાં વળવું જ ન હોય તો ખુદ ઈશ્વર પણ શું કરી શકે??નજર સમક્ષ કુદરતી સૌંદર્ય હોવાં છતાં વજૂદ વગરની વાતોમાં રસ ધરાવતા આપણે કેમ કરી આગળ વધી શકીએ?આગળ વધવા રાગ દ્વેષ ત્યજી મનને મોકળાશ આપવી જોઈએ પણ આપણે તો મનને બહારથી આકર્ષક કાગળોથી સુંદર દેખાતી ભેટસોગાતની જેમ પેક કરી દીધું છે. મન ને આત્મા અંદર ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેમને સમજવા કે સાંભળવાને બદલે બાહ્ય ક્ષણિક વસ્તુઓમાં સુખ શોધવા નીકળી પડ્યા છીએ.
દુનિયાની કોઈ તાકાત નથી કે મનુષ્યને તેની મરજી વગર દુઃખી કરી શકે. ખુશ થવું કે દુઃખી તે આપણા પર આધારિત છે. તમે જો ખૂશ થવા માંગતા હોવ તો કોઈ વ્યક્તિ તમને દુઃખી ન જ કરી શકે અને ખુશ થવા ન માંગતા હોવ તો કોઈપણ સુવિધા, વસ્તુ કે વિચાર તમને બદલી ન શકે ખરીદી શકાય એવું સુખ ક્યાંય વેચાતું નથી અને વેંચી શકાય એવું દુઃખ ક્યાંય હોતું નથી.
સંસારના બધાં સુખો અને સુવિધાઓ વાપરીને પણ આપણે તણાવમાં છીએ ને સંતો સંસારને છોડીને નિજાનંદમાં જીવે છે. કહેવાનો અર્થ એ જ કે આ નિજનો આનંદ માણી શકતા નથી.
દમ ઘૂંટાતી વેળાએ હસવાનો ડોળ કરીએ છીએ ને ખુશીની પળોને સાચવી રાખવા બેઠા છીએ, કુદરતના નિયમને બદલવા બેઠા છીએ. જેવા છીએ તેવા પારદર્શી બની શકતા નથી ત્યાં જ તો કંઈક ચુકી જઈએ છીએ ને નીકળીએ છે સુખને શોધવા.
"મારું મન મોર બની થનગાટ કરે..."આ થનગાટ જ નથી રહ્યો . બધાની વાતો સાંભળશું પણ મનની પુકાર જ સાંભળતાં નથી.આ મન પરથી મણનો ભાર ઉતારી હળવા બનવા પ્રયત્ન કરીએ. હાલની પરિસ્થિતિ તો કંઈક એવી છે કે ખુશ તો પછી માત્ર હળવા થઈએ તો પણ ચાલશે.
હ્ર્દયના અવાજને સાંભળવા એકાંતનો અનુભવ કરવા જેવો છે.
જવાબદારી તો કોના શિરે નથી??
બસ, અંતે એટલું જ કે,
નાનકડાં હ્ર્દય પર કેટલો ભાર!
મિત્રો, પછી ચૂકી જ જાય ને ધબકાર......
- તતિક્ષા રાવલિયા