અંગત ડાયરી
============
શીર્ષક :બચ્ચે મન કે સચ્ચે
લેખક : કમલેશ જોશી
બાળક વધુ સમજદાર કે વડીલ? આ પ્રશ્નનો જવાબ આપવો તમે ધારો છો એટલો સહેલો નથી.કેમકે વડીલના ગંભીર,ગમગીન,માયુસ ચહેરા સામે બાળકનો ખીલ-ખીલ હસતો, નિષ્ફિકર,ખીલેલા ગુલાબ જેવો ચહેરો સરખાવીએ તો વડીલ કરતા બાળક જીવનને વધુ માણતો-સમજતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી.એક મિત્રે ખૂબ જ સરસ અવલોકન રજૂ કરેલું: બાળક જે કંઈ પણ કરશે એ સંપૂર્ણ કરશે. જીદ પૂરી નહિ થાય તો ધ્રુસકે-ધ્રુસકે રડશે, સંપૂર્ણ રુદન..!આપણે રડીએ તોયભીતરે મુસ્કુરાતા હોઈએ..! હોસ્પિટલમાં આપણા બોસને મળવા જઈએ ત્યારે ભીતરી આનંદને દબાવી ચહેરા પર ગંભીરતા માંડ-માંડ ધારણ કરી હોય.ગંભીર અવાજે કહીએ કે‘ભારે કરી, તમારા જેવા સારા માણસો સાથે જ આવું કેમ થતું હશે?’અને ભીતરે‘કેમ બાકી, ઈશ્વરને ત્યાં દેર છે અંધેર નથી..પડ્યો ને ઉંધા માથે...લેતો જા...’એવું વાક્ય ગુંજતું હોય. બાળકમાં આવી સમજણ(કે દંભ) નથી હોતો. એ તો રડે એટલે રડે અને હસે એટલે હસે,કિટ્ટા-બિચ્ચાની આવી સમજણ જો વડીલોમાં હોત તો અનેક પરિવારો‘કેટલીક કડવાશ’થી મુક્ત હોત.
બાળકોના પણ પોતાના પ્લાનિંગ હોય છે..એક વાર ત્રીજું ભણતા ભાણીયાએ મારી સાથે આવવાની જીદ કરી.હું એને યુનિવર્સીટીએ મારી સાથે લઇ ગયો. અમે પાછા ફરતા હતા ત્યારે એણે મને રસ્તામાં ચારેક વખત પૂછ્યું ‘કેટલા વાગ્યા..?’ મેં કહ્યું.. ‘ચાર..,ચાર ને દસ,સવા ચાર..’હવે અમે ઘર નજીક પહોંચ્યા હતા. ભાણીયાએ ફરી પૂછ્યું..‘મામા, કેટલા વાગ્યા..?’ મેં કહ્યું..‘સાડા ચારમાં પાંચ ઓછી...’એ ગંભીર થઇ ગયો.મેં પૂછ્યું..‘કેમ કંઈ કામ હતું તારે..? વારે-વારે કેમ સમય પૂછે છે...?’આખરે એ બોલ્યો..‘મામા,મારે સાડા ચારે ટ્યુશન જવાનું છે...જો દસ મિનીટ મોડું થઇ જાય તો મમ્મી..મને ટ્યુશન નહીં મોકલે..જરા ધીરે ચલાવો ને ગાડી..!’હું ક્યાંય સુધી એના નિર્દોષ ચહેરાને તાકતો રહ્યો.
પહેલું ભણતી ભાણી રાત્રે સૂતા પહેલા એની મમ્મીને કહે..‘કાલ હું સ્કૂલે નથી જવાની’મમ્મી કહે‘ભલે ન જતી..’સવારે ભાણીનો ભેંકડો મને સંભળાયો..'મને સ્કૂલે ન મોકલ...’મારી બહેને એને નવડાવી,સ્કૂલ ડ્રેસ પહેરાવી દીધો..‘હું સ્કુલે નહિ જાઉં..’એ બોલતી હતી. એને તેડવા ઘર આંગણે આવેલી વાનમાં એને બેસાડવામાં આવી.રડમસ ચહેરે એ બોલી..‘નથી જવું.. સ્કૂલે..’પણ વાન એને લઇ જતી રહી. બપોરે એ હસતી-ખીલતી વાનમાંથી ઉતરી. ઘરમાં આવતા જ મમ્મીને વળગી પડી અને બોલી...‘આજ ભલે મોકલી..હું કાલ સ્કૂલે નહિ જાઉં...’અમે સૌ હસી પડ્યા એ નિર્દોષ વાક્ય પર.
હોળીના દિવસે એક મિત્રને અમે અબીલ-ગુલાલથી નવડાવતા હતા ત્યારે પહેલા માળની બાલ્કનીમાંથી આખી શેરી સાંભળે એમ એના ટપુડાએ બૂમ પાડેલી..‘પપ્પા,એ પપ્પા.. ઘરમાં આવો..મમ્મી આજ તમારો વારો કાઢવાની છે....’અમે સૌ પેટ પકડીને હસ્યા હતા..
ચોથું ભણતા ભત્રીજાને હમણાં મેં કહ્યું..‘તું રૂપાળો છો,હું કાળો, એટલે હવે તડકામાં રમવા તું ન જતો,તારી બદલે હું જઈશ...’એ મારી સામે સહેજ હસીને ગંભીર થતા બોલ્યો..‘તમને મિની ઠેકાવણી રમતા આવડે ..?’ મેં‘હા’કહી.બીજો પ્રશ્ન ‘ક્રિકેટ..?’મેં કહ્યું‘હા..ફૂલ ફાવે...’એ કહે‘પાળી ઠેકી શકો?’ મેં કહ્યું..‘એટલું બધું ન થાય..'એ તરત બોલ્યો.. ‘તો પછી.. બાળક બનવું કંઈ સહેલું નથી...!’એની આંખમાં વિજેતાની ખુમારી હતી.
ઓશો-રજનીશજી કહે છે કે‘નદીની રેતમાં શંખલા વીણતા બાળકની અને જગતના બજારમાં બે-પાંચ મકાન,એફ ડી,દાગીના ભેગા કરતા વડીલની‘કૃતિ’ભલે જુદી હોય પણ‘વૃતિ’તો એક જ છે...’સાંજ ઢળશે એટલે બાળક‘શંખલાનો ઢગલો’મૂકી એની મમ્મી સાથે ઘરે જતો રહેશે..અને વડીલ જેવા આપણે...એક સાંજે..મકાન,એફડી,દાગીના બધ્ધું ત્યાગી આ દુનિયા છોડી જતા રહીશું. ફર્ક એટલો રહી જશે કે બાળક સંખલાની રમતને મન ભરીને માણવાની કુનેહ ધરાવે છે..જયારે આપણે...?
પાંડુરંગ શાસ્ત્રીજી કહે છે‘લાઈફ-ઈઝ-એ-ગેમ,પ્લે-ઈટ’.તમારા ઘરમાં કે ફળિયામાં ગીતાજીના સિદ્ધાંતોનું જીવતું જાગતું નિદર્શન કરતો કોઈ કાનુડો રમતો હશે.આજના રવિવારની‘લાઈફ’એ સમજદાર બાળક સાથે બાળક બની‘રમવામાં’ગુજારીએ તો કેવું?