શું આત્માની અદલા-બદલી થઇ શકે?
ઘણા સમયે સમય મળ્યો છે,તો ચાલો આજે કંઈક નવું જાણીએ...
આત્મા...ચેતન...જીવ...
શું બે આત્માઓ એકબીજાના શરીરમાં પ્રવેશ કરી શકે?
ઉત્તર છે ... હા...અવશ્ય કરી શકે છે.
તો ચાલો આ ઉત્તરને યથાર્થ સાબિત કરે એવી કુદરતની અલૌકીક ઘટનાની આજે વાત કરું...
પ્રાણં દેવા અનુપ્રાણન્તિ । મનુષ્ય પરાવરચમે ।
પ્રાણો હિ ભૂતાનુમાયુ: । તસ્મત્સર્વાયુષમુચ્યતે ।
સર્વમેવત આયુર્વન્તિ મે પ્રાણં બ્રહ્મો પાસતે ! પ્રાણો
હિ ભૂતાનામાયુ: તસ્માત્ સર્વાયુષમુચ્યતે ।
અર્થાત્....
દેવ, મનુષ્ય, પશુ અને સમસ્ત પ્રાણીઓ પ્રાણથી અનુપ્રમાણિત છે. પ્રાણ જ જીવન છે એટલે જ એને આયુષ્ય કહેવાય છે. આ જાણીને જે પ્રાણસ્વરૂપ બ્રહ્મની ઉપાસના કહે છે તે ચોક્કસ જ પૂર્ણ આયુષ્યને પ્રાપ્ત કરી લે છે.
પ્રાણમય ચેતના અલૌકિક શક્તિથી યુક્ત છે અને નિરંતર અવનવા ચમત્કારો સર્જતી રહે છે. એ આપણા શરીર સાથે જોડાયેલી રહે છે ત્યાં સુધી આપણે જીવિત રહીએ છીએ. જ્યારે આ ચેતના શરીરથી છૂટી પડી પરમ તત્ત્વમાં ભળતી હોય છે ત્યારે કોઇવાર અપ્રત્યાશિત - માન્યામાં ન આવે એવી ઘટના બનતી હોય છે. આવી જ એક અદ્ભુત ઘટના પર દ્રષ્ટિપાત કરીએ...
# એક જ દિવસે, એક જ સમયે દુનિયાના બે વિપરીત છેડાઓ પર આવેલાં સ્થળોએ એકસમાન નામ ધરાવતા બે માણસો ગંભીર રીતે બીમાર પડયા અને મૂર્છિત અવસ્થામાં પહોંચી ગયા. એમના પ્રાણ શરીરમાંથી નીકળી જાય એવી દશા ઊભી થઇ ગઇ. છેલ્લી ઘડીઓ ગણાતી હતી ત્યાં એક ચમત્કાર થયો. એમના પ્રાણ પાછા આવી ગયા.
પણ એક વિચિત્ર બાબત પણ એ સાથે બની. બન્નેના આત્મા અને સૂક્ષ્મ દેહની અદલાબદલી થઇ ગઇ ! એકના પ્રાણ બીજામાં પ્રવિષ્ટ થઇ ગયા અને બીજાના પ્રાણ પહેલાના શરીરમાં પ્રવિષ્ટ થઇ ગયા ! સર્વોપરી ચેતનાથી સંચાલિત આત્માઓનો આ ખેલ વિસ્મયની પરાકાષ્ઠા સર્જે એવો બની રહ્યો... ચાલો, આપણે એ ઘટનાઓને વધારે વિગતવાર જોઇએ...
એ દિવસ હતો ૨૨ સપ્ટેમ્બર ૧૮૭૪નો અને સ્થળ હતું રશિયાના યુરાલ પર્વતીય પ્રદેશનું "ઓરનબર્ગ". ત્યાં રહેતી વ્યક્તિનું નામ હતું "ઈબ્રાહીમ ચારકો". ઈબ્રાહીમ ચારકો એક ધનવાન યહૂદી હતો. ગંભીર બીમારીને કારણે તે અર્થહીન લવારા કરવા લાગ્યો. તેની નાડી તૂટવા લાગી, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, શરીર ખેંચાવા લાગ્યું અને થોડું તરફડિયાં મારવા લાગ્યું. પણ છેલ્લી ઘડીએ અચાનક પરિસ્થિતિમાં સુધારો આવવા લાગ્યો.
પ્રાણ પાછા આવ્યા હોય એવું લાગવા માંડયું. ભાનમાં આવ્યા પછી તે બધાની તરફ વિસ્મયભરી દ્રષ્ટિએ જોઇ રહ્યો હતો,કેમ કે તેને એ જગ્યા અને લોકો કોણ હતા એની ઓળખાણ પડતી નહોતી. તે લેટિન ભાષામાં બોલ્યો 'તમે કોણ છો ? આ કઇ જગ્યા છે ? મને અહીં કેમ લાવ્યા છો ?'' પણ તેના ઘરમાં કોઇને ય લેટિન ભાષા આવડતી નહોતી. તેમને લાગ્યું કે આ પહેલાની જેમ લવારો કરે છે.
એક દિવસ તેણે કાગળ પર પોતાની વાત લખી. એ કાગળ ભાષાવિશેષજ્ઞોને વંચાવ્યો ત્યારે ખબર પડી કે તે લેટિન ભાષામાં લખાયેલો છે. એ પછી એને સેન્ટ પીટ્સબર્ગની મેડિકલ યુનિવર્સિટીમાં લેટિન ભાષાના જાણકાર "ડૉ.ઓરેલો" પાસે લઇ જવામાં આવ્યો. ઈબ્રાહીમે તેની સાથે લેટિન ભાષામાં કડકડાટ વાતો કરી.
બધાને નવાઇ લાગી કે લેટિન ભાષાનો એક અક્ષરે નહોતો આવડતો એવો ઈબ્રાહીમ ચારકો લેટિનનો જબરદસ્ત જાણકાર કેવી રીતે થઇ ગયો ? તેણે ડૉ.ઓરેલોને કહ્યું - તમે કદાચ નહીં માનો, પણ સાચી હકીકત એ છે કે આ બધા માને છે કે હું ઈબ્રાહીમ ચારકો છું. પણ એ હું છું જ નહીં. હું તો ઉત્તર અમેરિકાના બ્રિટિશ કોલંબિયામાં રહેનારો "ઈબ્રાહીમ ઉરહમ"છું.
મારે એક પત્ની અને બાળક પણ છે.'
પ્રોફેસર ઓરેલોએ ઈબ્રાહીમ ચારકોના કુટુંબીઓને આ વાત કરી.
પણ તેઓ એ માનવા ક્યાંથી તૈયાર થાય ?
એમણે કહ્યું કે,"ઇબ્રાહીમને ભૂતબાધા(વળગાડ) થઇ છે"...
એક દિવસ "ઈબ્રાહીમ ચારકો" કંટાળીને ઘર છોડીને ભાગી ગયો. આજુબાજુમાં ક્યાંય મળ્યો નહીં. ઘરના લોકોએ માની લીધું કે તે વધારે ગાંડો થઇ ગયો હશે અને ક્યાંક નદી-નાળામાં પડીને મરી ગયો હશે. પણ વાસ્તવમાં તો તે બ્રિટિશ કોલંબિયામાં ન્યુવેસ્ટ મિનિસ્ટર જવા નીકળી ગયો હતો.
આ બાજુ બ્રિટિશ કોલંબિયાના ન્યુવેસ્ટ મિનિસ્ટર ખાતે રહેતો "ઈબ્રાહીમ ઉરહમ" પણ ૨૨ સપ્ટેમ્બર ૧૮૭૪ના રોજ એ જ સમયે ભારે બીમાર પડયો હતો અને બેભાન થઇ ગયો હતો. એની પણ અંતિમ ઘડીઓ ગણાતી હતી ત્યાં એના શરીરમાં જાણે પ્રાણ પાછા આવી ગયા હોય એમ એકાએક જીવંતતાં લક્ષણો દેખાવા લાગ્યા હતા.
એ જાગૃત અવસ્થામાં આવ્યો પછી ઈબ્રાહીમ ચારકોની જેમ જ બધાની સામે વિસ્મયથી જોયા કરતો હતો. તે લેટિન ભાષામાં બોલવાને બદલે યહૂદીઓની "હિબુ્ર ભાષા"માં બોલવા લાગ્યો હતો. તે ઘરના કોઇને ઓળખતો નથી એવું ઈશારાથી જણાવવા લાગ્યો હતો. ઘરના લોકોએ માન્યું કે એના રોગને લીધે આવું થઇ ગયું હશે.
આમ થોડા દિવસો પસાર થયા બાદ રશિયાના ઓરનબર્ગથી ભાગી છૂટેલો ઈબ્રાહીમ ચારકો ત્યાં આવી પહોંચ્યો હતો. એનું શરીર તો ઈબ્રાહીમ ચારકોનું હતું પણ એનો આત્મા, મન અને વ્યક્તિત્વ ઈબ્રાહીમ ઉરહમનું હતું. તેણે લેટિનમાં વાત કરી અને એની પત્ની અને બાળકને ઓળખ્યા એટલું જ નહીં, એમની સાથે ભૂતકાળમાં વિતાવેલી જિંદગીની અંગત વાતો પણ કરી. એની પત્નીએ એ બધી વાતો સાચી છે એમ કબૂલ કર્યું.
તેણે ભારે વિમાસણ અનુભવતાં કહ્યું - 'ચહેરાથી અને શરીરથી તમે મારા પતિથી અલગ પડો છો. મારે તમારા બેમાંથી કોને મારા પતિ માનવા એ એક મૂંઝવણભર્યો પ્રશ્ન બની ગયો છે.' ઈબ્રાહીમ ઉરહમનું શરીર ભલે એનું એ જ હતું પણ એનું મન, ચેતના અને વ્યક્તિત્વ તો ઈબ્રાહીમ ચાહકોના હતા.
ઈબ્રાહીમ ચારકોના કુટુંબીઓ માટે એ પ્રશ્ન થઇ ગયો કે એમણે કોને ઈબ્રાહીમ ચારકો માનવો અને ઈબ્રાહીમ ઉરહમના કુટુંબીઓને માટે પણ એ પ્રશ્ન થઇ ગયો કે એમણે કોને ઈબ્રાહીમ ઉરહમ માનવો. શરીરને કે એની અંદર રહેલા વ્યક્તિત્વને ? કોને નિર્ણાયક સમજવા એનો ઉકેલ કોઇ લાવી ન શક્યું.
ઈબ્રાહીમ ચારકો વિરુદ્ધ ઈબ્રાહીમ ઉરહમના સમાચાર બ્રિટિશ કોલંબિયામાં છપાયા પછી ડૉ. ઓરેલોને ત્યાં બોલાવવામાં આવ્યા. તેમણે ઈબ્રાહીમ ચારકોને જોઇને કહ્યું - 'આ ઈબ્રાહીમને તો હું મળ્યો છું. રશિયન પ્રદેશની ખાસિયતવાળા શરીરમાં તે લેટિન ભાષા બોલતો હોવાથી તેને મારી પાસે લાવવામાં આવ્યો હતો. અને હવે અહીંનો ઈબ્રાહીમ હિબુ્રમાં બોલે છે !'
આત્માની અદલાબદલી કે પ્રાણ પરિવર્તનનો આ કિસ્સો અજબગજબનો છે. કોના અસ્તિત્વને સાચું માનવું ? ઈબ્રાહીમ ઉરહમની પત્નીએ કોને પોતાનો પતિ માનવો ? ઈબ્રાહીમ ઉરહમનું શરીર ધરાવે તેને કે તેના પ્રાણ જેનામાં હતા તે ઈબ્રાહીમ ચારકોને ? ઈબ્રાહીમ ઉરહમની પત્ની રશિયન દેહયષ્ટિવાળા ઈબ્રાહીમને પોતાના પતિરૂપે સ્વીકારવા તૈયાર ન થઇ ! એ રીતે રશિયન કુટુંબના લોકો લેટિન બોલતા ઈબ્રાહીમને પોતાના ઘરની વ્યક્તિ માનવા તૈયાર ન થયા !
એક જ દિવસે અને સમયે મૃત્યુની નિકટની અવસ્થામાં અનાયાસ એક નામધારી બે વ્યક્તિઓમાં થયેલી આત્માની અદલાબદલી એ એક રહસ્યમય ઘટના છે. ઉત્તર અમેરિકાના બ્રિટિશ કોલંબિયાનું ન્યૂવેસ્ટ મિનિસ્ટર અને ઓરનબર્ગ પૃથ્વીના ગોળામાં વિપરીત છેડા પર હોવા છતાં એકદમ સામસામે સીધી લાઇનમાં આવે છે. માનો કે કોઇ લાંબી ખીલી રશિયાના મુરાલના ઓરનબર્ગની ધરતીમાં મારવામાં આવે તો તેેે તેને ભેદીને ન્યૂવેસ્ટ મિનિસ્ટરમાં જ નીકળે !