૩૦ માધવ મંત્રીની સલાહ આ તરફ યુદ્ધના દિવસો તો હવે વધારે ને વધારે કપરા થતા ગયા. લંબાતા ગયા. તુરુકો પાટણને જીત્યા વિના ક્યાંય જવા માગતા ન હતા, એ નક્કી હતું. પ્રજાનું નૈતિક બળ ટકી રહ્યું હતું. પણ તુરુકોનો પથારો ચારે બાજુ પડ્યો હતો. એટલે વ્યવહાર ખોટવાઈ ગયો હતો. બહારથી એક ચકલું પણ પાટણમાં ફરકે તેમ ન હતું. આંહીંથી બહાર જવું પણ મુશ્કેલ હતું. ધાન્ય હતું, પણ તે ખૂટવાની અણી ઉપર. પાણીનો પુરવઠો આપનારી સરસ્વતી નદીની સરવાણીમાં, કાંઈક વાંધો તુરુકોએ ઊભો કરી દીધો હોવો જોઈએ એમ લાગતું હતું. પાણી ખૂટવાની બૂમો આવવા મંડી હતી. એ બૂમો લાંબી ચાલે તો એક