૨૭-૨૮ પાટણનું જુદ્ધ એ ઉત્સાહનું મોજું શમતાં જ મહારાજ કર્ણદેવે પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘પાટણના નાગરિકો! આ નગરને આપણે હવે ત્યારે તજી શકીએ તેમ રહ્યું નથી. આપણને બીજી તૈયારીનો સમય મળ્યો નથી. તુરુકને મેદપાટે રસ્તો આપ્યો એટલે દોડતાં ફાવ્યું છે. હવે તો જે થાય તે કાં તો આંહીં સૌ સાથે સૂઈ જઈએ છીએ અથવા સાથે વિજય મેળવીએ છીએ. પણ જેને આ નગર તજવું હોય તે હમણાં જ તજી દે. પછી એવું હિચકારું કામ કોઈ ન કરે. જે રહે તે મરવા માટે જ રહે. જેને ધનવૈભવ વહાલાં હોય, જેને બૈરાં-છોકરાંમાં જીવ હોય, જેને આશા લલચાવતી હોય, જેને બચી જવાનો મોહ