૨૧ દિલ્હીનો સુરત્રાણ વજીર નુસરતખાન સાથે માધવ મહામંત્રી સુરત્રાણના દરબારમાં ગયો. બાદશાહનો એક હજાર થાંભલાનો મહેલ, દારુલખિલાફત દિલ્હીની ભવ્યમાં ભવ્ય ઈમારત હતી. માધવ મહેતો આ ભવ્યતા જોઈ જ રહ્યો. સિત્તેર સિત્તેર હજાર ઘોડેસવારોનું દળ જેનો હુકમ ઉઠાવવા ખડું ઊભું રહેતું હોય એ દિલ્હીના સુરત્રાણને છાજે એવી બધી ભવ્યતા આહીં હાજર હતી. દરવાજે દરવાજે સૈનિકો ઊભા હતા. ખડી તલવારની ચોકીઓ હતી. ગજદળ ને પાયદળની પંક્તિઓ હાજર હતી. પણ આખા મહાલયમાં એક વસ્તુ જાણે હવામાં વણાઈ ગયેલી માધવ મહેતા ને જણાઈ. આંહીંની ઈમારતનો એક નાનકડો પથ્થર પણ, બીજા પથ્થરનો વિશ્વાસ કરવામાં માનતો નહિ હોય. એટલી બધી આંખો એને રાજમહાલયમાં જતો જોઈ